ખેડા: પહેલગામમાં નિર્દોષ નાગરિકો પર થયેલ ઘાતકી આતંકી હુમલાના વિરોધમાં અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા ખેડા જિલ્લાના કપડવંજ શહેરમાં બંધ પાળવામાં આવ્યો હતો. જેમાં શહેરના દરેક ધર્મ અને સમાજના લોકોએ જોડાઈને સજ્જડ બંધ પાળ્યો હતો. બંધ પાળી પહેલગામમાં હુમલો કરનાર અને કરાવનાર સામે સખત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. શહેરના મુસ્લિમ સમાજે આતંકી ઘટનાને વખોડી પાકિસ્તાન સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો. મુસ્લિમ સમાજ દ્વારા બેનરો સાથે રેલી યોજી પાકિસ્તાન વિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ નાગરિકો પર થયેલા ઘાતકી આતંકવાદી હુમલાને લઈ સમગ્ર દેશભરમાં ભારે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર દેખાવો અને બંધ પાળીને ઘટનાનો વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ત્યારે પહેલગામની ઘાતકી આતંકી ઘટનાને વખોડવા અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા ખેડા જિલ્લાના કપડવંજ શહેરમાં બંધ પાળવામાં આવ્યો હતો.
શહેરે પાળ્યો સજ્જડ બંધ: આજે શનિવારે વહેલી સવારથી જ કપડવંજ શહેર સ્વયંભૂ સજ્જડ બંધ રહ્યું હતું. તમામ બજારો બંધ રહ્યા હતા. શહેરના હિન્દુ મુસ્લિમ તમામ વિસ્તારોમાં વેપારીઓએ વેપાર ધંધા દુકાનો બંધ રાખી સજ્જડ બંધ પાળ્યો હતો. બંધ પાળી પહેલગામમાં હુમલો કરનાર અને કરાવનાર સામે સખત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

મુસ્લીમ સમાજે પાકિસ્તાન સામે રોષ વ્યક્ત કર્યો: પહેલગામમાં આતંકવાદી ઘટનાને લઈ શહેરના મુસ્લિમ સમાજના લોકો દ્વારા પાકિસ્તાન સામે ઉગ્ર રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આતંકી ઘટનાને વખોડી શહેરમાં પાકિસ્તાન વિરોધી બેનરો સાથે રેલી યોજી સૂત્રોચ્ચાર કરી પાકિસ્તાનનો વિરોધ કર્યો હતો. 'પાકિસ્તાન મુર્દાબાદ' અને 'પાકિસ્તાન હાય હાય' અને 'ગલી ગલી મેં શોર હે પાકિસ્તાન ચોર હૈ' જેવા નારા લગાવ્યા હતા.

'દરેક ધર્મ દરેક સમાજના લોકોએ બંધ પાળી એકતાનો પરિચય આપ્યો' -- વેપારી, ખેડા
શહેરના વેપારી ઝફરૂભાઈએ જણાવ્યું હતું કે, 'કપડવંજ શહેરમાં હિન્દુ અને મુસ્લિમ સમાજ દ્વારા દરેક ધર્મ દરેક સમાજના લોકોએ બંધ પાળ્યો છે અને એકતાનો પરિચય આપ્યો છે. પાકિસ્તાનના આતંકવાદી દ્વારા જે પહેલગામમાં નિર્દોષ લોકોની હત્યા કરવામાં આવી છે તેને પગલે પાકિસ્તાનના વિરોધમાં કપડવંજ તાલુકો અને કપડવંજ શહેર આખું બંધ જાહેર કરવામાં આવ્યું છે.'


આ પણ વાંચો: