સુરેન્દ્રનગર: જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે આવેલ મા ચામુંડાના ચૈત્રી પૂનમે દર્શન કરવાનું અનેરૂ મહત્વ રહેલું છે. પરિણામે આ સમય દરમિયાન સમગ્ર રાજ્યમાંથી હાલ પદયાત્રીઓ પગપાળા ચોટીલા તરફ જઈ રહ્યાં છે અને સુરેન્દ્રનગર જિલ્લાના માર્ગો પદયાત્રીઆેથી ઉભરાઈ રહ્યા છે અને સાથે સાથે ઠેર ઠેર પદયાત્રીઓની સેવા માટેના કેમ્પ પણ ધમધમી ઉઠ્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા ખાતે ડુંગર પર બિરાજતા મા ચામુંડા લાખો લાકોની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે. ત્યારે ચૈત્રી પૂનમે મા ચામુંડાના દર્શનાર્થે હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. ચૈત્રી પુનમે ખાસ કરીને સમગ્ર રાજ્યમાંથી પગપાળા સંઘ માતાજીના દર્શનાર્થે આવતા હોય છે, જેમાં ખાસ કરીને મહેસાણા, ગાંધીનગર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતાં તમામ માર્ગો પર પદયાત્રીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે જેમાં નાના બાળકોથી લઇ વૃદ્ધો પણ ધોમધખતા તાપમાં પગપાળા ચાલતા નજરે પડે છે.
મા ચામુંડા દરેક વ્યક્તિની મનોકામના પૂર્ણ કરતા હોવાની ભાવિકોની શ્રધ્ધા છે અને એટલે જ દર વર્ષે હજારોની સંખ્યામાં પદયાત્રીઓ ચોટીલા મા ચામુંડાના ચરણોમાં શીશ ઝુકાવવા આવે છે. પદયાત્રીઓની સેવા માટે સુરેન્દ્રનગર જિલ્લામાં હાઇવે પર ઠેર-ઠેર ચા પાણી, નાસ્તો, જમવાનું, દવા તેમજ આરામ કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવે છે. ઉપરાંત રસ્તામાં પણ અલગ અલગ વાહનો દ્વારા પદયાત્રીઓને ઠંડા પાણી, છાશ તેમજ ફ્રુટ સહીતની સેવા સેવાભાવીઓ દ્વારા પુરી પાડવામાં આવે છે.


શ્રદ્ધાળુઓમાં કહેવત છે કે, 'હોય શ્રદ્ધાનો વિષય તો પુરાવાની જરૂર હોતી નથી'. આમ, આવી શ્રધ્ધા સાથે જ દર વર્ષે ચૈત્રી પૂનમે મા ચામુંડાના દર્શન કરવા હજારો પદયાત્રીઓ ઉમટી પડે છે. જોકે આટલી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે છતાં કોઇ પણ પદયાત્રીને કોઇ તકલીફ નથી પડતી કે કોઈ અનિચ્છનીય કે અકસ્માતનો બનાવ બનતો નથી, પદયાત્રીઓની શ્રધ્ધા છે કે મા ચામુંડાની કૃપાથી જ આ શક્ય છે. આમ, આ શ્રદ્ધા સાથે ચૈત્ર પૂનમ સુધીમાં અંદાજે પાંચ લાખ (500,000) લોકો મા ચામુંડાના ચરણોમાં શીશ ઝુકાવશે.

આ પણ વાંચો: