બનાસકાંઠા: જમ્મુ-કાશ્મીરમાં બનેલી આતંકી ઘટનાના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે, ઠેર ઠેર દરેક સમાજના લોકો એક પ્લેટફોર્મ પર આવીને આતંકવાદ વિરોધમાં પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છ, ત્યારે બનાસકાંઠાના ડીસા, ધાનેરા અને પાલનપુરમાં પણ મુસ્લિમ સમાજના લોકોએ એકત્ર થઈ આતંકવાદ વિરુદ્ધ સૂત્રોચાર કર્યા હતા અને મૃતકોના પરિવારજનોને સાથે ઊભા હોવાની વાત કરી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી, બીજી તરફ પાલનપુરમાં હિન્દુ સમાજના લોકોએ પણ આતંકવાદના પૂતળાને ફાંસી આપી પૂરજોશમાં વિરોધ કર્યો હતો.
પાલનપુરના રામલીલા મેદાનમાં હિન્દુ સમાજના ભાઈઓએ એકત્ર થઈ આતંકવાદના પૂતળાને ફાંસી આપી હતી, ત્યાર બાદ આતંકવાદના પૂતળાનું દહન કરી આતંકવાદ મુર્દાબાદના જોરશોરથી નારા લગાવી જમ્મુ કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ ઉપર થયેલી આતંકી ઘટનાનો ભારોભાર વિરોધ નોંધાવ્યો છે, ત્યારે મુસ્લિમ સમાજના લોકોએ જુમ્માની નમાજમાં કાળી પટ્ટી ધારણ કરી એકત્ર થયા હતા અને કાશ્મીરની આતંકવાદની ઘટનાને વખોડી કાઢી હતી.
ડીસામાં મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા તેમને બેનરો સાથે જમ્મુ કાશ્મીરની આતંકી ઘટના સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો તેમને પાકિસ્તાન મુર્દાબાદ અને આતંકવાદ મુર્દાબાદના નારા લગાવી આતંકવાદ વિરુદ્ધ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો તેમણે દોષિત આતંકવાદીઓને વહેલી તકે ઝડપી શ્રીનગર ચોકમાં તેમને જાહેરમાં ફાંસીના માંચડે લટકાવી દેવાની માંગ કરી હતી. સાથે જ મુસ્લિમ સમાજના લોકોએ મૃતકોને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી પરિવાર સાથે ઉભા હોવાની વાત કરી હતી.
આતંકવાદની ઘટનાનો વિરોધ કરવા ધાનેરાના મુસ્લિમ સમાજના લોકો પણ સાંજની નમાજ બાદ પાલિકા ચોક ખાતે એકત્ર થયા હતા અને કેન્ડલ જલાવી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ધાનેરાના મુસ્લિમ સમાજના લોકોએ આતંકવાદ અને પાકિસ્તાન વિરુદ્ધમાં નારેબાજી કરી આતંકવાદીઓને પકડીને કડકમાં કડક સજા આપવાની માંગ કરી હતી.
નોંધનીય છે કે જમ્મુ કાશ્મીરમાં પ્રવાસીઓ ઉપર થયેલા આતંકવાદી હુમલા બાદ તમામ સમાજના લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, અને ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરી આતંકવાદીઓને ફાંસીની સજા આપવાની માંગ કરવામાં આવી રહી છે.