અમદાવાદ : જમ્મુના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં જીવ ગુમાવનાર મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે અમદાવાદ નહેરુ બ્રિજ ખાતે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના નેતા ગ્યાસુદ્દીન શેખ, ઇમરાન ખેડાવાલા અને અન્ય મુસ્લિમ સંસ્થાઓના આગેવાનોએ આ હુમલાની નિંદા કરી અને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
આતંકી હુમલાના હતભાગીઓને શ્રદ્ધાંજલિ : આ મુદ્દે પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું કે, ગતરોજ કાશ્મીરના પહેલગામ ખાતે ત્રણ ગુજરાતી પર્યટકો સહિત અનેક લોકોના આતંકવાદી હુમલામાં મૃત્યુ થયા હતા.
આ ઘટનાને અમે કડક શબ્દોમાં વખોડીએ છીએ અને મૃતકને શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ. ઉપરાંત મૃતકોના પરિવારજનોને અમે શાંત્વના પાઠવીએ છીએ. આવા આતંકી કૃત્ય કરનાર કોઈપણ હોય તેને પકડી કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી અમારી માંગ છે.

શહેરમાં કેન્ડલ માર્ચનું આયોજન : આ મુદ્દે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ જણાવ્યું હતું કે, પહેલગામ ખાતે થયેલા હિચકારા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા નાગરિકોને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આતંકવાદીનો કોઈ ધર્મ હોતો નથી. આ આતંકવાદી હુમલા પર ઊંડો શોખ અને દુઃખ અમે વ્યક્ત કરીએ છીએ અને સખત શબ્દોમાં તેની નિંદા કરીએ છીએ.

આતંકવાદીઓને ઝડપીને સજા કરવા માંગ : અમદાવાદ શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખ ઝીલ શાહે જણાવ્યું કે, આ ઘટના બહુ જ શરમજનક છે. સરકારે 370ની કલમ હટાવીને આ વિસ્તારને પર્યટન વિસ્તાર ડિક્લેર કર્યો, તો સરકારે લોકોની સુરક્ષા માટે વ્યવસ્થા કરવાની ફરજ હોય છે. પરંતુ ત્યાં કોઈપણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નહીં અને ત્યાં આતંકવાદી હુમલો થયો એ બહુ જ મોટી અને શરમજનક ઘટના છે. અમે મૃતકોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને આવા આતંકવાદીઓને ઝડપથી પકડીને સજા આપવાની માંગ કરીએ છીએ.
જમીયત ઉલેમા-એ-હિન્દ અર્પી શ્રદ્ધાંજલિ : તદુપરાંત જમીયત ઉલેમા-એ-હિન્દ, ગુજરાતે પહલગામ હત્યાકાંડને બર્બરતાપૂર્ણ, હીન અને અમાનવીય કૃત્ય ગણાવતા સખત શબ્દોમાં તેની નિંદા કરી. આ મુદ્દે ઉલેમા-એ-હિન્દ ગુજરાતના જનરલ સેક્રેટરી પ્રોફ. નિસાર અહમદ અન્સારીએ જણાવ્યું કે, જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પર ઊંડો શોક અને દુઃખ વ્યક્ત કરતા સખત શબ્દોમાં તેની નિંદા કરીએ છીએ.
"નિર્દોશ પ્રવાસીઓની ક્રૂર હત્યા એક અમાનવીય કૃત્ય છે, જેને કોઈપણ ધર્મ સાથે જોડી શકાય નહીં. જે લોકો આ હુમલાને ઇસ્લામ સાથે જોડવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેઓ ઇસ્લામના સાચા શિક્ષણથી અજાણ છે. ઇસ્લામમાં કોઈ નિર્દોષ વ્યક્તિની હત્યાને સમગ્ર માનવતાની હત્યા માનવામાં આવે છે." -- પ્રોફ. નિસાર અહમદ અન્સારી
નાગરિકોને શાંતિ, ભાઈચારો રાખવા અપીલ : આ હુમલાને વખોડતા જમિયત ઉલેમા-એ-હિન્દના પ્રમુખ મોલાના મહેમુદ મદનીએ કહ્યું, પીડિત પરિવારોના દુઃખમાં સહભાગી છીએ અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરીએ છે. આ પ્રસંગે, જમિયત ઉલેમા-એ-હિન્દ તમામ નાગરિકોને દરેક પરિસ્થિતિમાં શાંતિ, ભાઈચારો અને સહિષ્ણુતા જાળવવા અપીલ કરે છે. આવી ઘટનાઓનો ઉદ્દેશ્ય ફક્ત ભય, નફરત અને સાંપ્રદાયિકતાને પ્રોત્સાહન આપવાનો છે, જેને રોકવા માટે આપણે એક થવું પડશે.
SDPI દ્વારા પણ કેન્ડલ માર્ચ યોજાઈ : આના સિવાય સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા (SDPI) દ્વારા અમદાવાદના સરદારનગર ખાતે પહેલગામ આતંકવાદી હુમલા મામલે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ હુમલામાં માર્યા ગયેલા દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પી અને આતંકી ઘટનાની નિંદા કરી હતી.