ભુજ: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકવાદી હુમલામાં 27 લોકોનાં મોત થયાં હતાં. આ વખતે કચ્છના લોકો પણ કાશ્મીર જવાનો પ્લાન બનાવતા હતા, ત્યારે કાશ્મીરમાં આતંકવાદી હુમલા બાદ કાશ્મીર ફરવાનો પ્લાન બનાવતા લોકો હવે પોતાનો પ્લાન કેન્સલ કરી રહ્યા છે. ટુર ઓપરેટર પાસેથી મળતી માહિતી મુજબ હાલ 90 ટકા ટુર કેન્સલ થઈ ગઈ છે, અને હજુ બુકિંગ કેન્સલેશન તેમજ ડેસ્ટીનેશન બદલવા માટેના ફોન આવી રહ્યા છે.
કાશ્મીર જવાનું પ્લાન મોખરે હતું જે હવે કેન્સલ
આ અગાઉ ઈટીવી ભારત દ્વારા કચ્છના પ્રવાસીઓ ઉનાળાના વેકેશન દરમિયાન સૌથી વધારે ક્યાં જવાનું પસંદ કરી રહ્યા છે, તે અંગે અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો, જેમાં કચ્છના લોકો ગરમીના દિવસોમાં ઠંડા પ્રદેશોમાં જવાનું વધારે પસંદ કરી રહ્યા છે. જેમાં ખાસ કરીને કાશ્મીર જવાનો પ્લાન મોખરે હતો. પરંતુ હવે કાશ્મીરમાં પ્રવાસીઓ પર થયેલા હુમલા બાદ અનેક પ્રવાસીઓ પોતાની બુકિંગ કેન્સલ કરાવી રહ્યા છે. ત્યારે પ્રવાસીઓને કોઈપણ તકલીફ ન પડે તેના માટે ટુર ઓપરેટર પણ કોઈ પણ ચાર્જ વિના બુકિંગ કેન્સલ કરી રહ્યા છે અથવા તો ફરવા જવા માટેના સ્થળો બદલી રહ્યા છે.
કાશ્મીર માટેનું 100 ટકા બુકિંગ કેન્સલ
હેલી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના ટુર ઓપરેટર અંશુલ વચ્છરાજાણીએ જણાવ્યું હતું કે, કાશ્મીરમાં આતંકી હુમલો થયા બાદ એપ્રિલ મહિના બાદની કાશ્મીર ફરવા જવા માટેની બુકિંગ હતી, તે કેન્સલ કરવા માટે ફોન આવી રહ્યા છે. તો મોટાભાગની એરલાઈન્સ અને હોટલ પણ પ્રવાસીઓના ચાર્જીસ 100 ટકા રિફંડ આપવા માટે તૈયાર છે. એરલાઇન્સ દ્વારા પણ ક્રેડિટમાં રિફંડ આપવામાં આવશે.આ ઉપરાંત એરલાઇન્સનું રિફંડ તો મળશે અને કાશ્મીરની જગ્યાએ અન્ય શહેરમાં જવા માટે એરલાઇન્સની ટિકિટ પણ મળી શકશે તેવા સર્ક્યુલર એરલાઈન્સ દ્વારા બહાર પાડવામાં આવ્યા છે. હાલમાં કાશ્મીર માટેનું 100 ટકા બુકિંગ કેન્સલ કરવામાં આવી રહ્યું છે, અને તેની જગ્યાએ અન્ય સ્થળો જેમાં હિમાચલ, ઉતરાખંડ અને ગંગટોક ફરવા જવા માટેના બુકિંગ કરવામાં આવી રહ્યા છે.
લોકોએ અન્ય સ્થળોના પ્લાન પસંદ કર્યા
કચ્છના ટૂર ઓપરેટરોએ પણ કાશ્મીરની ટ્રીપ બુક કરાવનારા પ્રવાસીઓ કે જે હવે બુકિંગ રદ્દ કરાવી રહ્યા છે, તેની સામે એમના માટે બીજા ઓપ્શન પણ મૂક્યા છે, જેમાં હિમાચલ, કેરળ, ગંગટોક, દાર્જીલિંગ, ઉતરાખંડ અને સિક્કિમ પણ જવા માટે પ્રવાસીઓ બુકિંગ કરાવી રહ્યા છે. પહેલગામના આતંકી હુમલા બાદ કાશ્મીરનો પ્રવાસ કરનારા લોકો બુકિંગ કેન્સલ કર્યા બાદ શ્રીનગરની ફલાઈટના ભાવમાં પણ ધરખમ ઘટાડો આવ્યો છે.આ ઉપરાંત ચાર ધામ યાત્રા કરનારા પ્રવાસીઓ પણ પ્રવાસ કરવો કે કેમ તેના વિચારમાં આવી ગયા છે પરંતુ હજુ સુધી તેની બુકિંગ કોઈએ રદ્દ કરાવી નથી.
એરલાઈન્સ દ્વારા પણ ટિકિટ કેન્સલેશન પર 100 ટકા રિફંડ
યથાર્થ ટ્રાવેલ કંપનીના ચિરાગ સોલંકીએ જણાવ્યું હતું કે, કાશ્મીરમાં આતંકી હુમલા બાદ આગામી મહિનામાં જે લોકોએ કાશ્મીરની ટ્રીપ બુક કરાવી હતી તેવા 2 ગ્રૂપ હતા જે પૈકી 1 ગ્રૂપે અત્યાર સુધી બુકિંગ રદ્દ કરાવી છે, અને તેની જગ્યાએ તેઓ હિમાચલ ફરવા જવાનું પસંદ કર્યું છે, જ્યારે બીજા ગ્રુપ દ્વારા હજુ સુધી બુકિંગ કેન્સલ કરવા માટે કોઈ પગલા ભરવામાં નથી આવ્યા.જોકે એરલાઈન્સ દ્વારા પણ આ હુમલાને જોઈને ફ્લાઇટ રદ્દ કરવામાં આવી હતી અને જે લોકો બુકિંગ કેન્સલ કરાવી રહ્યા છે તેમને કા તો એની સ્થળે જવા માટેની ટિકિટ એરલાઈન્સ દ્વારા કરી આપવામાં આવી રહી છે અથવા તો 100 ટકા જેટલું રિફંડ પણ આપવામાં આવી રહ્યું છે.
કાશ્મીરનું બુકિંગ થઈ ચૂક્યું હતું તેવા લોકો કાશ્મીર ટ્રીપ કરી આવ્યા હવે નવી કોઈ બુકિંગ નહીં
રાજશ્રી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ના રાજન ઠક્કરે જણાવ્યું હતું કે તેમના પાસે જે કાશ્મીરનું બુકિંગ થઈ ચૂક્યું હતું તેવા લોકો કાશ્મીર ટ્રીપ કરી આવ્યા હતા હવે આગામી સમયમાં કાશ્મીરની કોઈ બુકિંગ છે નહીં. આ ઉપરાંત કાશ્મીર, લેહ લદાખ અને હિમાચલ ફરવા જવા માટેની ઇન્ક્વાયરી છે જેમાં જુલાઈ બાદ લેહ લદાખ જવા માટેનું બુકિંગ છે જ્યારે કાશ્મીર જવા માટે નવી કોઈ બુકિંગ હજુ સુધી આવી નથી.
અગાઉથી જ અનેક બુકિંગ હતી જેથી ટિકિટો નહોતી મળતી
ચંદ્ર મૌલી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના ઓમ ઠક્કરે માહિતી આપતા જણાવ્યું હતું કે આ વખતે કાશ્મીર જવા માટેની બુકિંગ અત્યાર સુધી તેમની પાસે ન હતી પરંતુ કાશ્મીરની ટ્રીપ પ્લાન કરવા લોકોની ઇન્ક્વાયરી હતી પરંતુ આ વખતે કચ્છ અને ગુજરાતમાંથી અનેક લોકો કાશ્મીર જવાનું પ્લાનિંગ કર્યું હતું જેથી ટિકિટો અને હોટલનું બુકિંગ મળવું ખૂબ મુશ્કેલ હતું જેથી તેમની પાસે કાશ્મીર માટેની કોઈ બુકિંગ ના હતી.