નવસારી : ગુજરાત રાજ્ય પોલીસ વિભાગ દ્વારા જેલ જાપ્તામાંથી ફરાર થયેલા અને નાસતા ફરતા આરોપીઓની શોધખોળને લઈને એક સામૂહિક મુહિમ શરૂ કરવામાં આવી છે. જેને લઇને નવસારી LCB પોલીસને મોટી સફળતા હાથ લાગી છે.
ઘરફોડ ચોરીના ગુનાનો આરોપી : પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલ અને 14 વર્ષથી નાસતા ફરતા આરોપીને આખરે નવસારી LCB પોલીસે શોધી કાઢ્યો છે. આરોપી વર્ષ 2010 માં અમદાવાદ શહેરના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બંધ મકાનમાંથી 100 તોલા સોનાના દાગીના તથા રોકડા રૂપિયા મળી કુલ 15.40 લાખની મતાની ઘરફોડ ચોરીના ગુનામાં ઝડપાયો હતો.
છેલ્લા 14 વર્ષથી ફરાર હતો : આરોપી સુરેન્દ્ર ઉર્ફે ચોટી રણવીર સિંહ ચૌહાણ સાબરમતી મધ્યસ્થ જેલમાં કેદી હતો. વર્ષ 2011 માં દિલ્હી કોર્ટ ખાતે આરોપીને રજૂ કરવા લઈ જતી વખતે તે પોલીસ જાપ્તામાંથી ભાગી છૂટ્યો હતો. તેની શોધખોળ છેલ્લા 14 વર્ષથી ગુજરાત રાજ્યના પોલીસ દ્વારા કરવામાં આવી રહી હતી.
ક્યાં હતો ફરાર કેદી ? નવસારી LCB પોલીસ આ આરોપીની શોધખોળ અંગે ઝીણવટભરી રીતે તપાસ કર કરી હતી. જેમાં પોલીસને બાતમીદારે માહિતી આપી હતી કે આરોપી કોઈ જેલમાં સજા કાપી રહ્યો છે પરંતુ તે કઈ જેલમાં છે તેની માહિતી મળી નથી. ત્યારે પોલીસે ટેકનીકલ સર્વેલન્સની મદદ લઈ આરોપી હાલમાં હરિયાણાના નુંહ જેલ ખાતે સજા ભોગવી રહ્યો હોવાની માહિતી મેળવી હતી. જેની જાણ સાબરમતી મધ્યસ્થ જેલને કરી હતી.
કેદીનો ગુનાહિત ઇતિહાસ : આરોપી લાંબો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જેમાં તેણે 73 જેટલા લૂંટ, મર્ડર અને ચોરી સહિતના ગુનાઓ તેના માથે નોંધાયેલા છે. નવસારી LCB પોલીસના સ્ટાફ દ્વારા વાતની બાતમીદારના નેટવર્ક અને ટેકનિકલ સોર્સની ઝીણવટભરી માહિતી મેળવી આ અઘરા કેસને ઉકેલી કાઢી ફરાર આરોપીને જેલમાં હોવાનું શોધી કેસને ઉકેલ્યો છે.