નવસારી: છેલ્લા ત્રણ વર્ષોથી હીરા ઉદ્યોગમાં આવેલી મંદી હટવાનું નામ નથી લઈ રહી, જેના કારણે હીરાના વેપારીઓ, કારખાનેદારો તેમજ રત્નકલાકારોની સ્થિતિ કફોડી થઈ છે. મંદીનો સીધો મારો રત્નકલાકારોને પડ્યો છે, કારખાનામાં હીરા મળતા બંધ થતા આવક અડધી થઈ ગઈ છે. જીવનનો કપરો સમય કાઢવો ઘણા રત્નકલાકારો માટે પહાડ સમાન દેખાતા તેઓ ડિપ્રેશનમાં સરી પડે છે અને ક્યારેક આત્મહત્યા જેવા અંતિમ પગલાં ભરતા પણ અચકાતા નથી.
નવસારીમાં એક સમયે હીરાની ચમક આસમાને હતી અને નવસારી હીરા ઉદ્યોગનું હબ હતું. પહેલા ગોળ હીરા નવસારીની ઓળખ હતી. સમય વીતતા નવસારીમાં 80 % પોલકી હીરા બનવા લાગ્યા અને નવસારી પોલકી હીરાનું હબ બની ગયું હતું. પરંતુ રશિયા યુક્રેન વચ્ચે યુધ્ધ શરૂ થયા બાદ નવસારીના હીરા ઉદ્યોગને જાણે કોઈની નજર લાગી ગઈ હોય એમ મંદીની શરૂઆત થઈ હતી. રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધનો કોઈ નિવેડો આવે, ત્યાં ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ છેડાયું. જેને કારણે કાચા હીરા મેળવવામાં તકલીફ શરૂ થઈ, કાચા હીરાના ભાવ વધ્યા અને તેની સામે તૈયાર હીરાનો ભાવ ઓછો મળતા વેપારી અને કારખાનેદારોનું આર્થિક વ્યવસ્થાપન ખોરવાયું હતું. જેની સીધી અસર હજારો રત્ન કલાકારો ઉપર થઈ અને તેમની આવક ધીરે ધીરે ઘટવા માંડી હતી.
વાત 1 વર્ષની નહીં, પણ હવે 3 વર્ષોની થઈ છે. વેપારી અને કારખાનેદારોએ વર્ષોથી તેમની સાથે જોડાયેલા રત્નકલાકારોને છૂટા કરવાને બદલે કામના કલાકો ઘટાડ્યા, અઠવાડિયામાં બે દિવસ રજા સાથે જ હીરા પણ ઓછા આપવા લાગ્યા હતા. જેથી કોઈને છૂટા કર્યા વિના કામ ચલાવ્યું, પણ આંતરરાષ્ટ્રીય બજારમાં તૈયાર હીરાની ખરીદી ઓછા ભાવે થતા, તેમને આર્થિક સંકડામણમાંથી પસાર થવાનો વારો આવ્યો, જેની સીધી અસર રત્નકલાકારો પર પડી અને તેમની મહિનાની આવક 50 ટકા થઈ ગઈ.
મંદીના કારણે ઘણા નાના કારખાના બંધ થયા અનેક રત્નકલાકારો બેરોજગાર થયા. મંદીની માર સહન કરી રહેલા રત્નકલાકારોએ ક્યાં તો વતનની વાટ પકડી, ક્યાં તો અન્ય નોકરી કે વ્યવસાય તરફ વળ્યા. જોકે ઘણા રત્નકલાકારો મંદીની માર સહન ન કરી શકતા, જીવનથી હાર માની આત્મહત્યા જેવું અંતિમ પગલું ભરીને પરિવારજનોને મુશ્કેલીમાં મૂકતા ગયા છે.

મંદીનો શિકાર ચિરાગ: નવસારીના જલાલપોરના લીમડા ચોક વિસ્તારમાં પારસી ચાલમાં રહેતો ચિરાગ ભંડારી પરિવારનો મોટો દીકરો હતો. પિતાના અવસાન બાદ પરિવારની જવાબદારી ચિરાગ પર હતી. પરિવારના અન્ય સદસ્યોની જેમ ચિરાગ પણ હીરા ઉદ્યોગમાં રત્નકલાકાર તરીકે ઉતાર્યો અને લગભગ 15 વર્ષોથી એક પછી એક સારા કારખાનામાં કામ કરી ગત 7 વર્ષોથી નવસારીની જાણીતી હીરાની ફેક્ટરીમાં જોડાયો હતો. એની કામગીરીથી ખુશ થઈ ફેક્ટરીમાં તેને મેનેજરનું કામ પણ સોંપવામાં આવ્યું હતું. જોકે રાક્ષસી બની રહેલી મંદીના ખપ્પરમાં ચિરાગ પણ સપડાયો અને આર્થિક તંગી તેના જીવનમાં ચિંતા લઈને આવી હતી.

નોકરી જતા ડિપ્રેશનમાં આવ્યો: અધુરામાં પુરું 10 દિવસથી તેની નોકરી પણ છૂટી ગઈ હતી. જેથી ચિરાગ વધુ ડિપ્રેશનમાં આવી ગયો હતો. જેમાં સોમવારે સવારે ઘરેથી કોઈને કંઇપણ કહ્યા વિના તે નીકળી ગયો અને પૂર્ણા નદીમાં મોતની છલાંગ લગાવી આપઘાત કરી લેતા પરિવાર ઉપર આભ તૂટી પડ્યું છે. વિધવા માતાએ આધાર ગુમાવ્યો, તો ભાઈએ સહારો ગુમાવતા ભંડારી પરિવાર ગમગીન બન્યો છે.
હીરા ઉદ્યોગમાં ત્રણ વર્ષોથી ચાલી રહેલી મંદીમાંથી બહાર નીકળવા માટે ડાયમંડ એસોસિએશન પ્રયાસો કરી રહ્યું છે. પરંતુ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ચાલી રહેલા યુદ્ધ અને CVD હીરાનું વધતું ચલણ હીરાની મંદી માટે જવાબદાર માનવામાં આવી રહ્યું છે. યુદ્ઘને કારણે કાચા હીરા મોંઘા ભાવે અને ઓછા મળે છે, જેને બનાવીને બજારમાં વેચવા સમયે ભાવ ઓછો મળી રહ્યો છે.

બીજી તરફ રિયલ ડાયમંડ સામે CVD કૃત્રિમ હીરા વધુ અને સસ્તા ભાવે મળતા મંદી ઘેરી બની છે. જેને કારણે કારખાનેદારોએ મંદી સામે ટકવા હીરા બનાવવા માટેના ભાવ ઘટાડ્યા અને સમય પણ ઘટાડી દીધો. જેથી રત્નકલાકારો જ્યાં 30 હજારથી વધુનું કામ કરતા હતા, ત્યારે તેમની આવક 10 થી 15 હજાર રૂપિયા થઈ ગઈ છે. જોકે કારખાનેદારો રત્નકલાકારો સાથેના વર્ષોના સંબંધો સાચવવા ઓછું તો ઓછું કામ આપતા રહ્યા હતા, પણ હવે તેમની કમર પણ તૂટી ગઈ છે. કારણ કે મહિને લાખો રૂપિયાની વ્યવસ્થા તેમણે કરવી પડે છે. હવે તેટલા રૂપિયા ક્યાંથી લાવવા એ પણ કારખાનેદારો માટે ચિંતા છે. તેથી ઘણા કારખાના બંધ થયા, જ્યારે ઘણા કારખાના ઓછા ભાવે હીરા બનાવડાવી કારખાના ચલાવી રહ્યા છે.

ત્રણ વર્ષથી હીરા ઉદ્યોગમાં ઘર કરી ગયેલી મંદી સામે ટકી રહેવા હીરા ઉદ્યોગકારો, કારખાનેદારોએ ગત દિવસોમાં સરકારમાં રજૂઆતો કરી, સહાયની આશા સેવી છે. પરંતુ સરકાર દ્વારા રત્નકલાકારો કે હીરા ઉદ્યોગને મદદરૂપ થવા કોઈ જાહેરાત કે તૈયારી પણ દાખવવામાં આવી નથી. જેથી ચમકદાર હીરા ઉદ્યોગ ઝાંખો પડ્યો છે અને જો આજ સ્થિતિ રહેશે તો હજારો લોકો બેરોજગારીના અજગરી ભરડામાં સમાઈ જશે.
આ પણ વાંચો: