નવસારી: નવસારી જિલ્લાના એરૂ ગાર્ડનમાં રહેતા વૃદ્ધ દંપતી સાથે વર્ષ 2024માં એક ડિજિટલ એરેસ્ટની ઘટના ઘટી છે. ઑનલાઇન ઠગોએ પોતાને પોલીસ અધિકારી તરીકે ઓળખાવી તેમની સાથે ભયાનક છેતરપિંડી આચરી છે. આ કેસમાં ઠગોએ વોટ્સએપ વીડિયો કોલ દ્વારા દંપતીનો વિશ્વાસ જીતીને તેમને ખોટા આરોપોમાં ફસાવવાનો પ્રયાસ કર્યો અને એક મોટું નાણાકીય નુકસાન પહોંચાડ્યું.
આ બનાવ 20 મે, 2024ના રોજ શરૂ થયો, જ્યારે ફરિયાદીના મોબાઈલ પર અજાણ્યા નંબરથી વોટ્સએપ વીડિયો કોલ આવ્યો. વીડિયો કોલ કરનાર વ્યક્તિએ પોલીસ યુનિફોર્મ પહેરીને પોતાને IPS અધિકારી તરીકે ઓળખાવ્યો. તેણે દાવો કર્યો કે પ્રવીણભાઈના નામે ખાનગી બેંકમાં એક ખાતું છે, જેમાંથી મની લોન્ડરીંગ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થઈ રહી છે.
વૃદ્ધ દંપતિને ડરાવીને ખાતામાં પૈસા ભરાવ્યા
આ બનાવથી ભયભીત દંપતીને વધુ ભ્રમિત કરવા માટે, ઠગોએ તેમને જણાવ્યું કે, દિલ્હીમાં ધરપકડ થયેલા સંદીપ કુમાર નામના આરોપી સાથે તેમનું નામ જોડાયેલું છે. જ્યારે પ્રવીણભાઈએ આ આરોપોનો ઇનકાર કર્યો, ત્યારે ઠગોએ તેમની ઉપર દબાણ વધારવાનું શરૂ કર્યું. દંપતીને ધરપકડ વોરંટના નકલી દસ્તાવેજો પણ મોકલવામાં આવ્યા, જેમાં પોલીસ વિભાગના લોગોનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો.
ઠગોએ દંપતીને ધમકી આપી કે જો તેઓ ફોન બંધ કરશે કે કોઈને જાણ કરશે તો સ્થાનિક પોલીસ તેમની ધરપકડ કરશે. આવા મૌખિક દબાણ અને ડર વચ્ચે દંપતીને મનાવાયું કે તેમના ખાતામાં રહેલા નાણાં ગેરકાયદેસર છે અને તેમને ત્યાંથી બહાર કાઢીને ‘તપાસ માટે’ અન્ય ખાતામાં જમા કરાવા પડશે.

15 લાખથી વધુની છેતરપિંડી
આ સમગ્ર કૌભાંડ દરમિયાન, 20થી 26 મે વચ્ચે, ઠગોએ દંપતીને "ડિજિટલ એરેસ્ટ" હેઠળ રાખ્યા. આ દરમિયાન દંપતી પાસેથી રૂ. 15.67 લાખ રૂપિયા અલગ અલગ હપ્તામાં ટ્રાન્સફર કરાવ્યા. આ સમગ્ર વ્યવહાર ડર અને ગેરમાર્ગે દોરીને કરવામાં આવ્યો હતો.
આર્થિક નુકસાન બાદ, દંપતીએ હિંમત કરીને સાયબર ક્રાઈમ શાખામાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ વિભાગે અજાણ્યા ઠગો સામે ગુનો નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે. તેઓ કયા પ્રૌદ્યોગિકી સાધનોનો ઉપયોગ કરીને આ ઠગાઈ અંજામ આપી અને કેવી રીતે ફેસબુક, વોટ્સએપ અને અન્ય ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો તેની વિગતો એકઠી કરવામાં આવી રહી છે.
પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી
સાયબર ક્રાઇમમાં ફરીયાદ નોંધાય બાદ આ સમગ્ર ઘટના અંગે આગળ તપાસ જલાલપોર પોલીસને સોંપવામાં આવી છે. જોકે જલાલપોર પોલીસના PI ના દ્વારા જણાવવામાં આવ્યું કે, સાયબર ક્રાઇમનો જે ગુનો નોંધાયો છે તેના આધારે તાત્કાલિક જલાલપોર પોલીસ આરોપીના મોબાઈલ નંબર અને બેંક ડિટેલ્સ વડે તપાસ હાથ ધરી છે અને આરોપીઓને શોધી કાઢવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
આ ઘટના એ સ્પષ્ટ સંકેત આપે છે કે હાલના સમયમાં ગુનાઓ માત્ર યુવાનોને નહીં પરંતુ વૃદ્ધ નાગરિકોને પણ લક્ષ્ય બનાવી રહ્યા છે. આવા કિસ્સાઓમાં સામાન્ય નાગરિકોએ સાવચેત રહેવું જોઈએ અને કોઈપણ નકલી પોલીસ અધિકારી, ધમકીભર્યા ફોન કે ફેક વોરંટની માહિતી તરત સત્તાવાર પોલીસ સ્ટેશનમાં આપવા જોઈએ. આ ઘટના આપણને શીખવે છે કે ડિજિટલ યુગમાં સાવધાની અને જાગૃતિ સૌથી મોટું હથિયાર છે.
આ પણ વાંચો: