નડીયાદ: કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાને લઈ નડીયાદના ભાજપના ધારાસભ્ય પંકજ દેસાઈની જીભ લપસી હતી. કાશ્મીરમાં હુમલો ક્યાં થયો છે તેનાથી અજાણ હોય તેમ ધારાસભ્યએ પઠાણકોટમાં હુમલો થયો હોવાનુ જણાવ્યું હતુ.જેને કારણે સમગ્ર દેશને હચમચાવી નાખનાર ઘટનાને લઈ ધારાસભ્યની કેટલી ગંભીરતા છે તેને લઈ સવાલો ઉઠ્યા હતા.
ધારાસભ્યએ ભૂલ સુધારી
નડીયાદ ખાતે ભાજપ દ્વારા આયોજિત શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ધારાસભ્યએ પઠાણકોટમાં હુમલો થયાનું જણાવ્યું હતું.જો કે પત્રકારો દ્વારા ધ્યાન દોરવામાં આવતા ધારાસભ્યએ ભૂલ સુધારી હતી.
ભાજપ દ્વારા યોજાયો હતો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ
કાશ્મીરના પહેલગામ ખાતે નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા ઘાતકી આતંકવાદી હુમલાને લઈ દેશભરમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.જેને લઈ આતંકી ઘટનાને વખોડી તેનો ઠેરઠેર વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.તેમજ આતંકી હુમલામાં જીવ ગુમાવનાર લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે કાર્યક્રમ આયોજીત કરવામાં આવી રહ્યા છે. ત્યારે આતંકી હુમલામાં જીવ ગુમાવનાર નિર્દોષ લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે નડીયાદ ખાતે ભાજપ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ અને નડીયાદ વિધાનસભાના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં નિર્દોષ મૃતકોની યાદમાં બે મિનિટ મૌન પાળી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી.જેમાં ધારાસભ્ય પકંજ દેસાઈની જીભ લપસી હતી અને તેમણે પઠાણકોટમાં હુમલો થયો હોવાનુ જણાવ્યું હતું.જે બાદ તેમણે ભૂલ સુધારી અને પહેલગામમાં હુમલો થયો હોવાનું જણાવ્યું હતું.