કચ્છ: એક સમય હતો જ્યારે ભુજ શહેરનું ઐતિહાસિક અને પરંપરાગત સ્વાવલંબી જળ વ્યવસ્થાપન હતું. જ્યારે આજે ભુજને નર્મદાના નીર પર આધારિત રહીને પાણી મેળવવું પડે છે અને જ્યારે નર્મદાની લાઇનમાં ખામી સર્જાય છે ત્યારે ભુજવાસીઓને પાણી માટે વલખા મારવા પડે છે. ઉપરાંત 2,500 થી 3,000 રૂપિયા આપીને ટેન્કર દ્વારા પાણી મેળવવું પડે છે. ત્યારે આજે આપણે જાણીશું કે ભુજની ઐતિહાસિક જળ વ્યવસ્થા કેવી હતી અને આજે પણ જે પાણીના જૂન સ્ત્રોતો હતા તેને કઈ રીતે પુનઃજીવિત કરી શકાય.
ભુજનું પારંપારિક જળ વ્યવસ્થાપન બેનમુન અને ઐતિહાસિક: જળ સંવર્ધન માટે કાર્યરત જય અંજારિયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ભુજની ઓળખસમી પંક્તિ “અઢી કાંગરા, એક કટારી, પાંચ નાકા ને છઠ્ઠી બારી, ત્રણ આરા, ચોથી પાવડી ને બજાર વચ્ચે કરી ચાવડી”નું મહત્વ છે અને ભુજ કે જે ઐતિહાસિક શહેર છે અને 39થી પણ વધુ ઐતિહાસિક વારસાના સ્થળો અહીં આવેલ છે. ત્યારે ભુજનું પારંપારિક જળ વ્યવસ્થાપન બેનમુન અને ઐતિહાસિક છે. ડ્રોન વિડિયો સ્મિત સોની દ્વારા લેવામાં આવ્યા છે તો ફોટો સોર્સ જય અંજારિયા.
ભુજમાં 80થી પણ વધારે તળાવો હતા: એક સમય હતો જ્યારે ભુજમાં 80થી પણ વધારે તળાવો હતા, આજે જેની સંખ્યા માત્ર 38 જેટલી જ રહી છે. આ 38 તળાવો પૈકી માત્ર 13 તળાવો જ એવા છે જે રેવેન્યુ રેકર્ડ પર છે જ્યારે 25 તળાવો નોંધારા છે. આ 25 નોંધારા તળાવો ક્યારેય નામશેષ બની જશે એ પણ એક ચિંતાનો વિષય છે. કચ્છના રાજાશાહી સમયમાં રાજાઓની જે ઇચ્છાશક્તિ હતી અને મનોબળ હતું તેમજ જે એન્જિનિયરિંગ સમજદારી હતી તે ખૂબ જ સારું હતું. જેથી કરીને ભુજના તળાવોને ભરવા માટે 3 અલગ અલગ કેચમેન્ટ વસાવ્યા હતા.
તળાવની આસપાસ વાવ, કૂવા તથા નહેરોનું માળખું: ભુજ શહેરના હૃદયસમાં હમીરસર તળાવ અને તે આસપાસના સ્થાનિક જળસ્ત્રોતની ડિઝાઇન ઐતિહાસિક શહેર ભુજના વિકાસને તેમજ જળ સબંધિત સ્ત્રોતોને ટકાવી શકે તેવી રીતે તૈયાર કરવામાં આવી હતી. છેલ્લાં 300 વર્ષમાં ભુજમાં તળાવની આસપાસ વાવ, કૂવા તથા નહેરોનું સુવ્યવસ્થિત માળખું પણ રચાયું હતું, કે જે કોઈ પણ પરિસ્થિતિમાં જળાશયોના પાણી સાચવી રાખવા માટે સક્ષમ હતું. પરંતુ સમય જતાં શહેરના આધુનિક માળખાકીય વિકાસમાં જળ વ્યવસ્થાની કાર્યક્ષમતા છીનવી લેતા પાણી માટે સ્વાવલંબી ભુજ આજે પાણી માટે પરાવલંબી બનીને નર્મદાના નીર પર નિર્ભર બન્યું છે.

તળાવો, કૂવાની વાવ સાથે સંકળાયેલા: એક સમયે હમીરસરની આસપાસ 100થી પણ વધારે કુવા હતા જે પૈકી આ 2થી 3 કૂવાઓ જીવિત છે. અગાઉ નગરજનો પોતાની આસપાસના જળસ્ત્રોતોમાંથી પાણી મેળવીને જરૂરિયાત પૂર્ણ કરતા હતા પરંતુ આજે સંપૂર્ણરીતે નર્મદાના નીર પર નિર્ભર થવું પડી રહ્યું છે .તો જ્યારે નર્મદાના પાણી નગરજનો સુધી નથી પહોંચતું ત્યારે લોકોને વલખા પણ મારવા પડી રહ્યા છે. આપણા પાસે જે જીવંત જળવ્યવસ્થા છે તેને ફરીથી પુનર્વત કરી શકાય તો ભુજની નર્મદાના પાણી પરની જે નિર્ભરતા છે તેની સામે સ્વાધીનતાથી સ્વમાન સાથે પોતાનું પાણી મેળવી શકાય તેમ છે.ભુજના તળાવો અને 24 કૂવાની આવ ખૂબ સારી રીતે એકબીજા સાથે સંકળાયેલા છે.

ઐતિહાસિક જળ વ્યવસ્થા આધુનિક વિકાસમાં લુપ્ત થઈ: ઉલ્લેખનીય છે કે, ભુજની ઐતિહાસિક જળ વ્યવસ્થાની વિશેષતા એ હતી કે જ્યારે ભુજમાં પાણીની અછત સર્જાય અને હમીરસર સુકાઈ જાય ત્યારે તેને ભર ઉનાળે ભરી શકાય તેવી વ્યવસ્થા રાજાશાહી સમયે કરવામાં આવી હતી. પશ્ચિમે આવેલા અન્ય તળાવમાં જે સંગ્રહિત પાણી હોય તેને 24 કુવાની આવ દ્વારા તળાવ સુધી પહોંચાડવાની વ્યવસ્થા હતી. આ ઉપરાંત અનેક કુવા, તળાવો અને કેનાલ થકી ભુજ શહેરની જળ વ્યવસ્થા સચવાયેલી હતી જે આજના આધુનિક વિકાસમાં લુપ્ત થઈ ચૂકી છે.

ભુજના હયાત 38 તળાવોના સંરક્ષણ માટે પણ લોકભાગીદારી પણ જરૂરી: ભુજની ઐતિહાસિક જળ વ્યવસ્થાને માત્ર સરકાર કે તંત્ર નહીં પરંતુ નાગરિક તરીકે આપણે આપણી ફરજ નિભાવીએ તો ભુજના પાણીના ઐતિહાસિક સ્ત્રોતોને પુનઃજીવિત કરી શકાય તેમ છે અને પાણી માટે ફરી સ્વાધીન બની શકાય તેમ છે. ભુજના હયાત 38 તળાવોના સંરક્ષણ માટે પણ લોકભાગીદારી પણ જરૂરી છે.

ઐતિહાસિક જળસ્ત્રોતો છે તેમને પુનઃજીવિત કરવાની તક: ભુજના છે ઐતિહાસિક જળસ્ત્રોતો છે તેમને પુનઃજીવિત કરવા માટેના પ્રયત્નો અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે ભુજના જે તળાવો છે કે જે નામશેષ થવાના આરે છે કે જેના પર દબાણો થઈ ગયા છે તેવા તળાવોને નોટીફાય કરવા જોઈએ જેથી તે સરકારી ચોપડે નોંધાયા પછી આ તળાવો રક્ષિત સ્મારક તરીકે એટલે કે સરકારી ચોપડે નોંધાયા બાદ તેના પર કોઈ દબાણ નહીં કરી શકે જેથી તે સૌપ્રથમ પગલું હોવું જોઈએ. આ ઉપરાંત આપણે જે જોઈ નથી શકતા તેવા ભૂગર્ભ જળો છે તેના સ્તરો પણ ખૂબ નીચા થતા જાય છે ત્યારે વરસાદી પાણીના સંગ્રહ માટે પણ નાગરિકોએ વ્યવસ્થા કરવી જોઈએ અને પાણીના સ્થાનિક સ્ત્રોત તરીકે તેનો ઉપયોગ આવનારા ભવિષ્યમાં કરી શકાય છે.વરસાદી પાણીના સંગ્રહ માટે પ્રયત્નો કરવાથી કૂવાઓ પણ પુનઃજીવિત કરી શકાય છે.

ભુજને પાણી માટે ફરી સ્વાવલંબી બનાવવાની ઉતમ તક: ભુજની ઐતિહાસિક જળ વ્યવસ્થા કે જે અંદાજિત 450 વર્ષ જૂની છે તે વૈશ્વિક સ્તરે સ્થાન પામી છે ત્યારે સ્થાનિક તંત્ર ભુજના જળસ્ત્રોતોને ઝડપથી નોટિફાય તથા સંરક્ષિત કરવા સક્રિય બનશે અને લોકો, વિવિધ સંસ્થા તેમજ તંત્રના સહિયારા પ્રયાસો દ્વારા ભુજને પાણી માટે ફરી સ્વાવલંબી બનાવવાની ઉતમ તક રહેલી છે.

ભુજ શહેરની ઐતિહાસિક જળ વ્યવસ્થાને વર્લ્ડ મોન્યુમેન્ટ્સ વોચમાં સ્થાન મળ્યું: ઉલ્લેખનીય છે કે, હાલમાં જ ભુજ શહેરની ઐતિહાસિક જળ વ્યવસ્થાને વર્લ્ડ મોન્યુમેન્ટ્સ વોચમાં સ્થાન મળ્યું છે. કચ્છની 6 સ્વૈચ્છિક સંસ્થાઓના સહિયારા પ્રયાસથી આ સ્થાન મળ્યું હતું જેમાં ભુજની ઐતિહાસિક જળ વ્યવસ્થાપનનું નોમિનેશન સેન્ટર ફોર હેરિટેજ કન્ઝર્વેશન, સીઈપીટી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા સબમિટ કરવામાં આવ્યું હતું. આ નોમિનેશનનું નેતૃત્વ સેન્ટર ફોર હેરિટેજ કન્ઝર્વેશનના પ્રો. જીજ્ઞા દેસાઈ તથા પ્રોગ્રામ લીડ ફોર અસેસમેન્ટ એન્ડ ટ્રેનિંગ જયશ્રી વર્ધને કર્યું હતું. જોકે કચ્છની 6 સ્વૈચ્છિક સંસ્થાઓ જેમાં ભુજની હુન્નરશાળા ફાઉન્ડેશન, એરિડ કોમ્યુનિટીઝ એન્ડ ટેકનોલોજી, સેતુ અભિયાન, સાત્વિક, કચ્છ મહિલા વિકાસ સંગઠન અને ખમીર સહિતની સંસ્થાઓના સંયુક્ત પ્રકલ્પ `હોમ્સ ઈન ધ સિટી' કાર્યક્રમ સાથે સંકલન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: