કચ્છ: કચ્છ કે જે છેલ્લાં બે દાયકાથી પ્રવાસન ક્ષેત્રે ખૂબ વિકસી રહ્યું છે અને અહીં અનેક પ્રવાસન સ્થળો આવેલા છે જે વૈશ્વિક સ્તરે પણ ખ્યાતિ ધરાવે છે. ત્યારે વેકેશન દરમિયાન કચ્છ આવતા લોકોની સંખ્યા પણ વધી રહી છે ત્યારે કચ્છના ઇતિહાસકાર દલપત દાણીધારીયાએ ETV ભારત સાથે કચ્છ પ્રવાસનનું સપ્તપરિમાણી દર્શન અંગે માહિતી આપી હતી. જો આપ કચ્છ ફરવા આવવા માટે પ્લાન કરી રહ્યા છો તો તમારા માટે આ માહિતી ખૂબ ઉપયોગી થશે.
કચ્છ ફરવા જવાના હોય તો આ માહિતી કામ આવશે
કચ્છ એટલે માત્ર સફેદ રણ નહીં પરંતુ કચ્છની આ ધીંગી ધરા એટલે કચ્છની કળા, સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસાનું સમન્વય છે. કચ્છ પાસે અનેક ઐતિહાસિક, કુદરતી, હસ્તકલાના અને આસ્થાના સ્થાનો છે. કચ્છમાં છેલ્લાં 2 દાયકાથી પ્રવાસન ક્ષેત્રે ખૂબ વિકાસ થયો છે. પરંતુ જ્યારે પ્રવાસન સ્થળોની વાત કરવામાં આવે તો સફેદ રણ, માતાના મઢ, ધોળાવીરા જેવા સ્થળો જ મુખ્યત્વે પ્રવાસીઓ વધુ માત્રામાં આવતા હોય છે પરંતુ કચ્છની ચારેય દિશામાં અનેક પ્રવાસના સ્થળો આવેલા છે. જે પ્રવાસીઓથી વંચિત છે જેથી કચ્છના અન્યો સ્થળો માટે માહિતી પ્રવાસીઓને મેળવવી જરૂરી છે.
ભુજ અને ભુજની ચારે દિશાના પર્યટન સ્થળોની મુલાકાત
કચ્છના વિશાળ અને વૈવિધ્યપૂર્ણ પર્યટન જગતને અનુભૂતિના આધારે વધુ સારી રીતે સમજી શકાય છે. કચ્છના જિલ્લામથક ભુજમાં પણ અનેક પ્રવાસનના સ્થળો છે. જેમાં ઇનસાઈડ ભુજ, સરાઉન્ડીંગ ભુજ, નોર્થ ટ્રીપ, ઇસ્ટ ટ્રીપ, સાઉથ ટ્રીપ, વેસ્ટ ટ્રીપ અંગે ઇતિહાસકારે માહિતી આપી હતી. જેમાં પ્રત્યેક રૂટમાં આવતા આસ્થા સ્થાનો, પુરાતત્ત્વીય બંધારણો, હસ્તકલા કેન્દ્રો, કુદરતી દૃશ્યો અને ભૂગોળીય સ્થળોની જાણકારી પણ તેઓએ જણાવી છે.

કચ્છની અંદર અન્ય ક્ષેત્રોમાં પણ ટુરિઝમ વિકસાવવાની તક
જેમ કહેવાય છે કે 'કચ્છડો બારે માસ' તેમ કચ્છની અંદર બે મહિના પ્રવાસીઓને આકર્ષવાની ક્ષમતા રહેલી છે. જ્યારે નવેમ્બરથી ફેબ્રુઆરી માસ સુધી જ કચ્છની અંદર પ્રવાસીઓની સંખ્યા વધારે જોવા મળતી હોય છે પરંતુ કચ્છની અંદર એગ્રો ટુરિઝમ, જીઓ હેરિટેજ ટુરિઝમ , એક્સપિરિયન્સિયલ ટુરિઝમ વિકસાવવાની અનેક તકો રહેલી છે.
ભુજમાં 50 થી પણ વધારે સ્થળો જોવાલાયક
કચ્છના આસ્થા સ્થાનો, પક્ષીઓ માટેના સ્થાનો, કુદરતી સ્થાનો, ગ્રામ્ય જીવન માણવાના સ્થળો, હેન્ડીક્રાફટના સ્થળો માટે પણ પ્રવાસીઓ સ્પેશિયલ ટ્રીપ પ્લાન કરી શકાય છે. ભુજમાં 50 થી પણ વધારે સ્થળો જોવાલાયક છે. તો હેરિટેજ વોક એટલે કે સાંસ્કૃતિક વારસાનું દર્શન કરવા માટે 30થી 32 જેટલા સ્થળો છે. કચ્છની અંદર 17 જેટલા મ્યુઝિયમ આવેલા છે.

- ઇનસાઇડ ભુજ:
જિન્દાશા પીર, ભુજની સ્થાપના સાથે સંકળાયેલ મોટી પોશાળ, પ્રાગ મહેલ, રઘુનાથજીનો આરો, પાવડી, આઈના મહેલ, કચ્છ મ્યુઝિયમ, રામકુંડ, શરદ બાગ પેલેસ, સ્મૃતિવન, છતેડી , ભુજિયો કિલ્લો, આશાપુરા મંદિર, સ્વામિનારાયણ મંદિર, રિજનલ સાયન્સ સેન્ટર, ખારી નદી, નાનબાઈ પાઠશાળા, જૂની શાકમાર્કેટ, ફતેહ મામદ ખોરડો, જુની કોર્ટ, જયુબિલી હોસ્પિટલ, હમીરસર ઓગન, જૂનું સ્વામિનારાયણ, કોઠા વાવ, પાટવાડી નાકું, હઝરત લધાશા પીર, ફૂલ વાડી, વ્રજભાષા પાઠશાળા, સંસ્કૃતિ દર્શન પાઠશાળા, કૃષ્ણાજી પુલ, રાજેન્દ્ર બાગ, શમી વૃક્ષ, આલ્ફ્રેડ હાઈસ્કુલ, નવી ટંકશાળ, મહાદેવ નાકું, રાણી મહલ, દરબારગઢ, ચાવડી, જીન્નત મસ્જિદ, દેડકા વાવ, દારા વાડી, રણજીત વિલાસ પેલેસ, ભીડ ગેટ, દેશલસર તળાવ, દાંડીવાળા હનુમાન, જૂની જેલ, હાથીસ્તાન, નાની રુદ્રાણી, મેકરણ દાદાનું સ્થાનક.
- સરાઉન્ડીંગ ભુજ:
ભુજિયો ડુંગર, ભુજિયો કિલ્લો, LLDC મ્યુઝિયમ, ખમીર, કુકમા ચિંતન ફાર્મ સજીવ ખેતી, અજરખપુર, ગંગેશ્વર મહાદેવ, સુરલપીઠ, હિલગાર્ડન, ભુજંગ દેવ, સ્મૃતિ વન ,હીરાલક્ષ્મી પાર્ક, વંદે માતરમ્ મ્યુઝિયમ, ભુજોડી ગામ, માધાવાવ, સનદાદા મંદિર, રક્ષકવન, લાખા ફુલાણી, ભૂતનાથ મહાદેવ, હનુમાન ટેકરી, લેર હનુમાન મંદિર, ટપકેશ્વરી, મોટા પીર , ધુનારાહ ડેમ, ભેડમાતા, ઢોસા મહાદેવ, ચાંદ્રોડ ડુંગર, રુદ્રમાતા, ધ્રંગ, શ્રવણ કાવડિયા, હબાય.

- કચ્છની નોર્થ સાઇડ:
સુરખાબ નગર, કાળો ડુંગર, કુનરીયા, ગોરેવલી, હોડકો વેકરીયાનો રણ, નિરોણા, કોટાય, સુમરાસર, લુડીયા, ખાવડા ધ્રોબાણા, કુંવરબેટ, મોરીબેટ, ભીરંડીયારા, ડુમડો, લોડાઇ, લોરિયા કે જ્યાં વિવિધ આસ્થાના સ્થાનો અને પુરાતત્વીય મહત્વ ધરાવતા સ્થાનકો પણ આવેલા છે તો નિરોણા ગામમાં વિવિધ કળાઓ સાથે સંકળાયેલા કલાકારોની કળા પણ માણી શકાય છે.
- કચ્છની ઇસ્ટ સાઇડ:
ભુજથી ઈસ્ટ સાઈડ પર્યટન સ્થળોની વાત કરવામાં આવે તો અંજાર, ગાંધીધામ અને ભચાઉ ખાતે ઐતિહાસિક મહત્વ ધરાવતા અનેક સ્થળો આવેલા છે. તો વાગડ વિસ્તારમાં રવેચીનું મંદિર, એકલ માતાનું મંદિર, વ્રજવાણી, ગોવર્ધન પર્વત, વરણું, તો ખડીર વિસ્તારમાં 5,000 વર્ષનો જૂની હડપ્પન સંસ્કૃતિના નગર ધોળાવીરા ખાતે પ્રાચીન નગર અને સંસ્કૃતિ અંગે માહિતી પણ મેળવી શકાય છે તો કંથકોટની પણ મુલાકાત કરી શકાય છે.

- કચ્છની વેસ્ટ સાઇડ:
ભુજથી વેસ્ટ દિશામાં જતા વાંઢાય ખાતે પ્રાચીન રામમંદિર, મોમાઈ માતાનું મંદિર, કચ્છની કુળદેવીમાં આશાપુરાનો મઢ માતાનામઢ લખપત કિલ્લો કોટેશ્વર ખાતે મહાદેવનું મંદિર, હાજીપીર, કરોલપીર , ઝારાનો યુદ્ધ મેદાન અને ડુંગર, પાનધ્રો ખાતે લિગ્નાઈટની ખાણ, પવિત્ર યાત્રાધામ નારાયણ સરોવર, જખૌ બંદર, રાતા તળાવ પાંજરાપોળ, મોટા યક્ષ બૌતેરા, લક્ષ્મીનારાયણ મંદિર, રોહા ફોર્ટ, મણિયારો ગઢ જેવા ઐતિહાસિક મહત્વ અને ધાર્મિક મહત્વ ધરાવતા અનેક પર્યટન સ્થળો છે જેની લોકો ખૂબ ઓછી મુલાકાત લેતા હોય છે.
- કચ્છની સાઉથ સાઇડ:
ભુજથી સાઉથ દિશા તરફ જ્યારે પ્રવાસીઓ મુલાકાત લેતા હોય ત્યારે અચૂકથી ખત્રી તળાવ, વિજયસાગર ડેમ, ગજોડ ડેમ, સમર્પણ આશ્રમ, કોડાય ખાતેના 72 જિનાલય, માંડવી ક્રાંતિ તીર્થ, વિજય વિલાસ પેલેસ, રાવળપીર, માંડવી બંદર, તુણા બંદર, તુડાવાંઢ, લુણી, મુન્દ્રા તાલુકામાં મુન્દ્રા પોર્ટ, ભદ્રેશ્વર, જોગણીનાર, રતડીયા, પ્રાગપર અહિંસા ધામ, વાંકી, બાબીયા, જાંબુડી વિસ્તારની મુલાકાત લેવી જોઈએ જ્યાંથી કચ્છના ઇતિહાસ અને ધાર્મિક સ્થળો અંગે પણ માહિતી મળે છે.

ડિમાન્ડ આધારિત ટ્રીપ્સ
આ ઉપરાંત કચ્છમાં આવતા લોકો પોતાના અંગત રસના વિષયો મુજબ પર્યટન સ્થળોની મુલાકાત લેતા હોય છે. જેમાં જે લોકો માત્ર ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી કરવા માટે આવતા હોય છે તેઓ મોટાભાગે કચ્છના દરિયા અને સફેદ રણ જેવા વિસ્તારોની મુલાકાત લેતા હોય છે. જે લોકો વાઇલ્ડ લાઇફ પસંદ કરે છે તેવા લોકો કચ્છના છારી ઢંઢ કન્ઝર્વેશન વિસ્તારની મુલાકાત લે છે. તો સાથે સાથે ચિંકારા સેન્ચ્યુરી, સુરખાબ નગર, ઘોરાડ અભ્યારણ, ઘુડખર અભ્યારણની મુલાકાત લે છે. તેવી જ રીતે દરિયો, ડુંગર, નદીઓ, હસ્તકલાઓ, ઐતિહાસિક સ્થળો, પૌરાણિક સ્થળો અને આર્કિયોલોજીકલ સ્થળો ધરાવતા વિસ્તારની મુલાકાત પણ પ્રવાસીઓએ લેવી જોઈએ.

કચ્છ ફરવા આવતા લોકો માટે અપીલ
કચ્છએ માત્ર એક ફરવાનું સ્થળ નથી. કચ્છની અંદર અનેક ઐતિહાસિક વારસો ધરબાયેલો છે અને દરેક સ્થળ એક કહાની સંગ્રહી બેઠું છે. કચ્છ આવતા લોકોએ આ તમામ સ્થળોની મુલાકાતની સાથે સાથે અહીંની જાણકારી પણ મેળવવી જોઈએ અને ઇતિહાસ સંબંધિત દંત કથાઓ પણ જાણીને તેને સમજવું જોઈએ. કચ્છ ફરવા આવતા લોકોએ પર્યટન સ્થળની મર્યાદાઓ અને સ્વચ્છતા સંબંધીત કાળજી પણ કેળવવી જોઈએ.

કચ્છના યુવાનો ટુર ગાઈડ તરીકે મેળવી શકે છે રોજગાર
આ ઉપરાંત ઇતિહાસકાર દલપતભાઈ દાણીધારીયા પ્રવાસીઓને કચ્છના વિવિધ પર્યટન સ્થળોની માહિતી પણ આપે છે. તો જે લોકો ગાઈડ બનવા ઇચ્છતા હોય તેવા લોકોને પણ તે માર્ગદર્શન આપે છે. જેથી કરીને કચ્છના યુવાનો ટુર ગાઈડ તરીકે કાર્યરત રહીને રોજગાર પણ મેળવી શકે છે અને કચ્છ આવતા પ્રવાસીઓને પણ કચ્છની વિગતવાર માહિતી મળી શકે છે.
"કચ્છ પ્રવાસનનું સપ્તપરિમાણી દર્શન"
ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા KSKV કચ્છ યુનિવર્સિટીના વ્યાવસાયિક અભ્યાસ વિભાગના સહયોગથી "કચ્છ પ્રવાસનનું સપ્તપરિમાણી દર્શન" વિષય પર એક દિવસીય ઇન્ટરેક્ટિવ વર્કશોપનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય પ્રાદેશિક પર્યટનમાં જાગૃતિ અને નવીનતાને પ્રોત્સાહન આપવાનો હતો. જેમાં વિદ્યાર્થીઓ, નિષ્ણાતો અને સ્થાનિક હિસ્સેદારોને એકત્ર કરવામાં આવ્યા હતા. વર્કશોપમાં 70 થી વધુ પ્રવાસન ઇચ્છુકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો, જેમણે માહિતીપ્રદ અને પ્રેરણાદાયી સત્રો માટે ઊંડી પ્રશંસા વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમ કચ્છમાં વધુ મજબૂત અને નવીન પર્યટન ઇકોસિસ્ટમ બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું હતું. વ્યાવસાયિક અધ્યયન અને લલિત કલા વિભાગના ડીન ડૉ. કાશ્મીરા મહેતાએ યુવા સહભાગીઓને પ્રવાસન ક્ષેત્રમાં સક્રિય રીતે જોડાવા માટે પ્રોત્સાહિત કરવાના હેતુથી પ્રેરણાદાયી સ્પીચ આપી હતી. આ કાર્યક્રમનું સુવ્યવસ્થિત અને કાર્યક્ષમ રીતે સંકલન ડૉ. રૂપલ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: