રાજકોટ: કશ્મીરના પહેલગામમાં થયેલા હુમલાના વિરોધમાં ઉપલેટા મુસ્લિમ સમાજ દ્વારા જુમ્માની નમાઝ બાદ મુસ્લિમ સમાજના યુવાનો, વડીલો સહિત તમામ આગેવાનો સાથે મળી વિશાળ બાઈક રેલી યોજી ઉપલેટા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આ ઘટનાને લઈને શોક વ્યક્ત કર્યો હતો.
હાલમાં કાશ્મીર પર્યટન સ્થળ પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં અનેક ભારતીય પ્રવાસીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેમાં ભારતના હિન્દુ પરિવારે પિતા, પતિ, ભાઈ, અને પરિવારની છત્રછાયા ગુમાવી છે, તેના પડઘા સમગ્ર દેશમા પડી રહ્યા છે. દેશભરમાં આ હુમલાનો વિરોધ થઈ રહ્યો છે.
આ દરમિયાન રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં તમામ મુસ્લિમ સમાજ દ્વારા બહોળી સંખ્યામાં યુવાનો વડીલો તેમજ બાળકો સાથે મળી જુમ્માની નમાઝ બાદ જીકરીયા ચોક ખાતે એકત્ર થઈ વિશાળ સંખ્યામાં મૌન બાઇક રેલી યોજી પહેલગામમાં થયેલા હુમલાનો વિરોધ કરવામાં આવ્યો હતો.

આ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા ભાઈઓ પ્રત્યે ઉપલેટા મુસ્લિમ સમાજમાં પણ ખૂબ જ શોકની લાગણી છવાઈ છે. જેને લઈ બહોળી સંખ્યામાં મુસ્લિમ સમાજ એકત્રિત થઈ જીકરીયા ચોકથી લઇ ગાંધીચોક, બાવલા ચોક, રેલ્વે સ્ટેશન નાગનાથ ચોકથી મામલતદાર કચેરી સુધી બાઈક રેલી યોજી ઉપલેટા મામલતદારને આવેદનપત્ર આપી હુમલાવર આતંકવાદીને તાત્કાલિક અસરથી પકડી જડબાતોડ જવાબ આપવા સરકારને અપીલ કરવામાં આવી હતી.


આવા અનેક વાર થયેલા આતંકવાદી હુમલાને લઇ દેશભરમાં જ્યારે વિરોધ થાય છે અને પ્રવાસીઓ અને જવાનો પોતાનો જીવ ગુમાવે છે ત્યારે સમગ્ર દેશમાં શોકની લાગણી પ્રસરી જાય છે. જેથી આવા હુમલાઓને દેશભરમાં વખોડી કાઢી આવા હુમલા કરનારા આતંકવાદીઓને વહેલી તકે શોધી તેમને સજા કરવામાં આવે તેવી સરકાર સમક્ષ માંગણી કરવામાં આવી હતી.

આ પણ વાંચો: