જામનગર: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ ક્રુરતાભર્યુ આચરણ કરીને 27 જેટલા માસુમ પ્રવાસીઓને મોતને ઘાટ ઉતાર્યા બાદ જામનગર સહિત સમગ્ર દેશમાં વિરોધનો વંટોળ શરૂ થઇ ચૂકયો છે. કેન્દ્ર સરકારના આદેશ બાદ તમામ જિલ્લાઓમાંથી પાકિસ્તાનીઓને પરત મોકલવા નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં જામનગર અને દ્વારકામાંથી ત્રણ ડઝન જેટલા પાકિસ્તાનીઓને વતન પાછા મોકલવામાં આવશે, જામનગરમાંથી 30થી વધુ પાકિસ્તાનીઓને હાંકી કાઢવામાં આવશે.
સૌરાષ્ટ્રભરમાં 142 જેટલા પાકિસ્તાનીઓ
સમગ્ર સૌરાષ્ટ્રમાંથી 142 પાકિસ્તાનીઓને પરત મોકલવાની કવાયત શરૂ કરી દેવામાં આવી છે. પહેલગામમાં થયેલા હુમલામાં ગુજરાતના ત્રણ નાગરિકો પણ મૃત્યુ પામ્યા છે. ભારત સરકારે તાત્કાલિક અસરથી તમામ પાકિસ્તાનીઓને પાછા ફરી જવા આદેશ આપ્યો છે અને તેના પગલે ગુજરાત સરકાર પણ એકશન મોડમાં આવી ગઇ છે, સમગ્ર ગુજરાતમાં લોંગ ટર્મ વિઝાવાળા 448 અને શોર્ટ ટર્મ વિઝા વાળા 7 પાકિસ્તાની નાગરિકો છે.
ગુજરાત સરકારે તમામ જિલ્લા કલેકટર અને પોલીસ વડાને આદેશ આપીને તેમના વિસ્તારમાં કેટલા પાકિસ્તાનીઓ રહે છે? અને કેટલા સમયથી રહે છે? તેની યાદી કરીને પાકિસ્તાન મોકલવા જણાવી દીધું છે, કેટલાક પાકિસ્તાનીઓ વિઝા દરમ્યાન પોલીસ સ્ટેશને સમયાંતર હાજરી પણ પુરાવે છે, શહેરમાં દોઢ ડઝન જેટલી પરિણીત મહીલાઓ પણ પાકિસ્તાની હોવાનું બહાર આવ્યું છે.
અમદાવાદ 82, સુરતમાં 44 પાકિસ્તાની
પહેલગામના હુમલા બાદ ગુજરાત સરકારે પણ કડક વલણ અપનાવ્યું છે, ગુજરાતમાં વિઝીટર વિઝા ઉપર આવેલા નાગરિકોને વીણી-વીણીને પરત કરી દેવાની કાર્યવાહી શરૂ કરી દેવાઇ છે અને અટારી બોર્ડર મારફત આ લોકોને મોકલી દેવામાં આવશે, અમદાવાદમાં 82, સુરતમાં 44, કચ્છમાં 53, જામનગર શહેરમાં 30થી વધુ, દ્વારકામાં 5/6 વધુ પાકિસ્તાનીઓને પરત મોકલવા તખ્તો ઘડાઇ રહ્યો છે, પરંતુ વહિવટી તંત્ર કેટલા પાકિસ્તાનીઓ જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લામાં છે તેનો આંકડો બહાર પાડતું નથી, ભારત આવેલા તમામ પાકિસ્તાનીઓનું લિસ્ટ તૈયાર થઇ ચૂકયું છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના આદેશ બાદ ગુજરાતનું વહિવટી તંત્ર પણ આ કાર્યવાહીમાં લાગી ગયું છે.
આ અંગે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ કહ્યું કે, અત્યારે આની બધાની કાર્યવાહી ચાલું છે. અને પોલીસ દ્વારા અલગ રૂપથી અત્યારે ઈન્વેસ્ટીગેશન ચાલે છે, અને જે પણ આની આગામી કાર્યવાહી થશે તેને લઈને મીડિયાનું ધ્યાન દોરવામાં આવશે.
આ પણ વાંચો: