બનાસકાંઠા: જમ્મુ કાશ્મીરના રામબનમાં અચાનક ખરાબ હવામાન થવાના કારણે ગુજરાતી મુસાફરો ભરેલી બસ ફસાઈ ગઈ છે. આ બસમાં ગાંધીનગરના 30 અને બનાસકાંઠાના 20 જેટલા ગુજરાતી મુસાફરો પરત આવતા હતા. તે દરમિયાન ભારે વરસાદના કારણે ભૂસ્ખલન થતા અત્યારે બસ સાથે જ ફસાઈ ગયા છે. બનાસકાંઠા કલેક્ટરે જમ્મુ કાશ્મીરમાં કલેકટર સાથે વાતચીત કરી બચાવ અને રાહતની કામગીરી શરૂ કરાઈ છે.
50 મુસાફરોને લઈને ગયેલી બસ ફસાઈ
ગુજરાતમાંથી જમ્મુ કાશ્મીર ગયેલા ગાંધીનગરના 30 અને બનાસકાંઠાના 20 જેટલા મુસાફરો અચાનક જ ખરાબ હવામાનના કારણે બસમાં ફસાયા છે. ભૂસ્ખલન થતા જમ્મુ કાશ્મીરના રામબન જિલ્લામાં બસ ફસાઈ છે. આથી તાત્કાલિક જ બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલે જમ્મુ કાશ્મીરના કલેકટર સાથે ટેલિફોનિક વાત કરી હતી. તેમજ બસમાં સવાર એક મુસાફર કેતન વણસોલા સાથે વાત કરી હતી તે બાદ તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું છે.
ભારે વરસાદના કારણે રસ્તા પર ભૂસ્ખલન
જમ્મુ કાશ્મીર ગયેલા મુસાફરો શ્રીનગરથી પરત આવતા હતા. તે દરમિયાન હવામાન બદલાયું અને પડેલા ભારે વરસાદના કારણે ભૂસ્ખલન થતા રોડ-રસ્તા બંધ થયા હતા. જેના કારણે બસ અત્યારે ફસાઈ છે. બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલે ટેલીફોનિક વાતચીત કરી રામબન જિલ્લા વહીવટી તંત્રની ટીમને મદદ માટે રવાના કરી છે. જોકે તમામ મુસાફરોને રાત્રે નજીકના સેન્ટર હોમમાં રાખવાની વ્યવસ્થા કરવામાં આવશે.
મુસાફરોએ વીડિયો બનાવી મદદ માગી
બનાસકાંઠા જિલ્લાના કેતન વણસોલા મુસાફરે વીડિયો દ્વારા તંત્રની મદદ માગી હતી. જે બાદ સ્થાનિક તંત્ર દ્વારા તેમને યોગ્ય જગ્યાએ સુરક્ષિત ખસેડવામાં આવ્યા છે. પરંતુ વધુ વીડિયોમાં કેતન વણસોલાએ જ્યાં તેમને રાખવામાં આવે છે ત્યાં કોઈ જ પ્રકારની વ્યવસ્થા ન હોવાની વાત કરી છે. જ્યાં તેમને રોકવામાં આવ્યા છે ત્યાં જમવા, પીવાના પાણી અને લાઈટ સહિતની પણ વ્યવસ્થા ન હોવાનો ખુલાસો ગુજરાતી મુસાફરે કર્યો છે. તો બસમાં રહેલા મુસાફરો પણ પાણીમાં બિસ્કિટ પલાળીને બાળકોને ખવડાવવા પડતા હોવાની સ્થિતિ છે તેમ જણાવ્યું હતું. બીજી તરફ તંત્ર એ તમામ પ્રકારની મદદ મળી રહી હોવાનું અને સુરક્ષિત હોવાનું જણાવ્યું છે જોકે ત્યાં ફસાયેલા એક મુસાફરે ટેલિફોનિક કહ્યું કે, ગમે ત્યારે મોસમ બદલાઈ શકે છે અને નુકસાન થઈ શકે છે તેવી સ્થિતિમાં હોવાનું જણાવ્યું છે.

જમ્મુ-કાશ્મીરના રામબનમાં વાદળ ફાટવાને કારણે ભૂસ્ખલનની ઘટના બની છે, જેમાં ગુજરાતના ગાંધીનગર અને બનાસકાંઠાના પ્રવાસીઓ ફસાયા હોવાની માહિતી મળતા જ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસને જરૂરી પગલાં લેવા સૂચના આપી છે. ગુજરાત પોલીસે તાત્કાલિક જમ્મુ-કાશ્મીર પોલીસ કંટ્રોલ રૂમ અને રામબન એસ.એસ.પી. સાથે સંપર્ક કરી પ્રવાસીઓની માહિતી મેળવી છે. તમામ ગુજરાતી પ્રવાસીઓ સુરક્ષિત છે. પ્રવાસીઓ માટે જમવા સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. ગુજરાત પોલીસ સેન્ટ્રલ આઈ.બી. સહિત જમ્મુ-કાશ્મીર પ્રશાસન સાથે સતત સંપર્કમાં છે. ગુજરાત સરકાર અને પોલીસે તાત્કાલિક જમ્મુ કાશ્મીર પ્રશાસનના સંપર્કમાં રહી ગુજરાતના પ્રવાસીઓની સલામતી સુનિશ્ચિત કરી છે.
આ પણ વાંચો:
જમ્મુ અને કાશ્મીરમાં પૂર અને ભૂસ્ખલન, ત્રણ લોકોના મોત, IMD એ પ્રવાસીઓને આપી સલાહ