બનાસકાંઠા : જમ્મુ કાશ્મીરના રામબનમાં ફસાયેલા લોકોમાં પાલનપુરના ફાંસીયા ટેકરા વિસ્તારના લોકો હોવાથી પરિવાર ચિંતિત બન્યો છે. પરિવારે વિડીયો કોલ દ્વારા પોતાના માતા-પિતા સાથે વાત કરી છે. જોકે, તંત્ર દ્વારા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી અને જમવાનું આપતા પરિવારે હાલ તો રાહતનો શ્વાસ લીધો છે.
જમ્મુમાં ફસાયો પાલનપુરનો પરિવાર : જમ્મુ કાશ્મીરના રામબનમાં બનેલી ઘટનામાં ગાંધીનગરના 30 અને બનાસકાંઠાના 20 એટલે કે કુલ 50 ગુજરાતીઓ બસમાં ફસાયા છે. આ લોકોમાં પાલનપુરના ફાંસીયા ટેકરા વિસ્તારમાં રહેતા પરમાર પરિવારના માતા-પિતા પણ ફસાયા હોવાની માહિતી મળતા જ પરિવાર ચિંતિત બન્યો હતો. પરમાર પરિવારે માતા-પિતા સાથે વીડિયો કોલ દ્વારા વાતચીત કરી હતી.
જમ્મુ કાશ્મીરના રામબનમાં ભૂસ્ખલન : જમ્મુ કાશ્મીરના રામબન જિલ્લામાં અચાનક જ હવામાન ખરાબ થયું હતું, જે બાદ ભૂસ્ખલન થતાં હાઈવે માર્ગ બંધ થયો હતો. આગળ ન જઈ શકાય તેવી પરિસ્થિતિ ઉભી થતા અધ્ધવચ્ચે જ શ્રીનગરથી રિટર્ન આવતા ગુજરાતીઓની બસ ફસાઈ હતી. બસમાં સવાર લોકોએ તાત્કાલિક તંત્રને મદદ કરવા માટે વિડીયો દ્વારા અપીલ કરી હતી.
ગુજરાતી પ્રવાસીઓને મળી મદદ : પ્રવાસીઓએ માહિતી આપતા જણાવ્યુ કે, જમવા કે રહેવાની કોઈ જ વ્યવસ્થા નથી. અહીંયા હવામાન ખરાબ છે, નુકસાન થઈ શકે છે તેવી પરિસ્થિતિ છે. જે બાદ બનાસકાંઠા કલેકટરે સતત સંપર્કમાં રહીને ત્યાં મદદ પહોંચાડી હતી. હાલમાં ફસાયેલા તમામ ગુજરાતીઓને આર્મી જવાનો અને જમ્મુ કાશ્મીરના સ્થાનિક તંત્ર દ્વારા જમવા અને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી પરિવારે હાલ હાશકારો અનુભવ્યો છે.
હિમાંશુના માતા-પિતાએ કહ્યું, "હેમખેમ છીએ"
પાલનપુર ફાંસીયા ટેકરામાં રહેતા હેમુભા પરમાર અને તેમના પત્ની જમ્મુમાં ફસાયા છે. તેમના પુત્ર હિમાંશુએ માતા-પિતા સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. સાથે જ તંત્રને પણ અપીલ કરી છે કે વહેલી તકે તેઓ ફસાયેલા માતા-પિતા અને લોકોને પરત ઘરે લાવે. ઉપરાંત હાલમાં જરૂરી વ્યવસ્થા અને જરૂરિયાત પૂરી કરે તેવી પણ અપીલ છે. હાલમાં તમામ સુરક્ષિત છે અને તંત્ર દ્વારા તેમને વહેલી તકે ગુજરાત મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.