સુરત: રાજ્યમાં નિર્દોષ નાગરિકોને રંજાડતા વ્યાજખોરો સામે ગુજરાત પોલીસે ખુબ કડકાઇ સાથે આકરા પગલા ભર્યા છે. ત્યારે દેશના ઇતિહાસમાં પ્રથમવાર ગુજરાત પોલીસ દ્વારા આવા વ્યાજખોરોની મિલકત જપ્ત કરી લઇ વ્યાજખોરોને આ પ્રકારનો ગુનો આચરવાનો વિચાર પણ ન આવે તે પ્રકારનો દાખલો બેસે તેવી કડક કાર્યવાહી થઇ છે. આ નોંધપાત્ર કાર્યવાહી બદલ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કચ્છ પૂર્વના એસ.પી. સાગર બાગમાર અને તેમની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે.
ગુજરાતમાં કચ્છ જિલ્લાના અંજાર શહેરમાં વ્યાજખોરીની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા અંજાર પોલીસે ઐતિહાસિક કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ, ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ (જી.સી.ટી.ઓ.સી.) કાયદા અન્વયે વ્યાજખોરીની ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા આરોપીઓ સામે કડક પગલાં લેવામાં આવ્યાં છે. આ કાર્યવાહીમાં આરોપીઓ દ્વારા વ્યાજખોરી દ્વારા મેળવેલી લગભગ 63.46 લાખ રૂપિયાની મિલકત એટલે કે ચાર મકાન, બે પ્લોટ અને એક સ્કોર્પિયો ગાડી સહિતની મિલ્કત જપ્ત કરવામાં આવી છે, જે દેશના ઇતિહાસમાં પ્રથમવાર આ પ્રકારની કાર્યવાહી તરીકે નોંધાઈ છે.
જપ્ત કરાયેલી મિલકતોમાં રિયાબેનના નામે મેઘપર બોરીચીમાં એક પ્લોટ (2.52 લાખ), મહિન્દ્રા સ્કોર્પિયો ગાડી (14.79 લાખ), અને અંજારમાં દેવનગરમાં પ્લોટ (12.42 લાખ); આરતીબેનના નામે અંજારના દેવનગરમાં પ્લોટ (6.45 લાખ); તેમજ આરોપીઓની માતાનાં નામે મેઘપર બોરીચીમાં બે પ્લોટ (0.60 લાખ અને 12.94 લાખ) અને અંજારમાં ગંગોત્રી-02માં પ્લોટ (13.71 લાખ)નો સમાવેશ થાય છે. આ કુલ મિલ્કતોની કિંમત 63.46 લાખ રૂપિયા છે.
આ કાર્યવાહી દરમિયાન, પોલીસે આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ તપાસ્યો, જેમાં અનેક ગંભીર ગુનાઓનો સમાવેશ થાય છે. આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા, ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમ અને જી.સી.ટી.ઓ.સી. કાયદા હેઠળ કેસ નોંધવામાં આવ્યા છે. પોલીસે આ મિલકતોની ઝડતી અને જપ્તીની પ્રક્રિયા પૂર્ણ કરી, જેની દરખાસ્ત ગૃહ વિભાગ, ગાંધીનગરને મોકલવામાં આવી હતી. ગૃહ વિભાગના હુકમ આધારે આ મિલ્કતોને જપ્ત કરવામાં આવી છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ઘણા વ્યાજખોરોએ વ્યાજના ધંધાથી કમાઈને જે મિલકત ઉભી કરી છે, એવી મિલકતોને પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી રહી છે. આ મિલકતોની હરાજી બોલાવીને તેમાંથી મળનારી રકમ રાજ્યના લોકોના લાભ માટે વપરાય તેવી યોજના બનાવવામાં આવશે. આ પ્રકારની પહેલ ગુજરાતમાં તો નહિં પરંતુ સમગ્ર દેશના ઇતિહાસમાં પ્રથમવાર થઈ રહી છે.
આ પણ વાંચો: