છોટાઉદેપુરમાં આદિવાસી પોશાકમાં શેરી ગરબા યોજાયા, મહિલાઓ 5 કિલો ચાંદીના ઘરેણા ધારણ કરી ગરમે ઝૂમી
છોટાઉદેપુર નગરની ખનીજ હાઉસિંગ સોસાયટીમાં આદિવાસ મહિલાઓ પોતાના પારંપરિક પોશાકમાં પાંચ કિલોના ચાંદીના ઘરેણાં ધારણ કરી ગરબા રમે છે.

Published : September 28, 2025 at 9:16 PM IST
છોટાઉદેપુર: રાજ્ય સહીત દેશ ભરમાં શારદીયા નવરાત્રીના ગરબા યોજાય રહ્યા છે, ત્યારે છોટાઉદેપુર નગરમાં આવેલા ખનીજ હાઉસિંગ સોસાયટીમાં આદિવાસીઓના પારંપરિક પોશાકમાં ગરબા રમવામાં આવી રહ્યા છે.
છોટાઉદેપુર જિલ્લામાં નવરાત્રી
આમ તો છોટાઉદેપુર જિલ્લામાં છોટાઉદેપુર, પાનવડ, કવાંટ, નસવાડી, તણખલા, ચલામલી, કોસીંદ્રા, બોડેલી, જબુગામ, જેતપુર-પાવી, તેજગઢ, કદવાલ, સંખેડા, ભાટપુર, જેવા બજારોમાં નવરાત્રી મહોત્સવમાં ગાયક કલાકરો દ્વારા નવરાત્રી યોજાતી હોય છે. તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ સાઉન્ડ સિસ્ટમ અને દેશી ઢોલ વગાડી શેરી ગરબા યોજાઈ રહ્યા છે.
આદિવાસી પોશાકમાં ગરબા
આદિવાસી બહુલ ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં શહેરો સહીત ગ્રામીણ વિસ્તારોમાં પણ શાંતિપૂર્ણ માહોલમાં મા આદ્યશક્તિની ઉપાસના સાથે નવરાત્રીના શેરી ગરબા ગામે ગામ યોજાઈ રહ્યા છે. ત્યારે છોટાઉદેપુર નગરની ખનીજ હાઉસિંગ સોસાયટીમાં આદિવાસ મહિલાઓ પોતાના પારંપરિક પોશાકમાં પાંચ કિલોના ચાંદીના ઘરેણાં ધારણ કરી ગરબા રમે છે. તો પુરુષો અને બાળકો પણ પોતાની સંસ્કૃતિ મુજબના પારંપરિક પોષક ગરબા રમે છે, જોકે ગરબા પૂર્ણ થાય ત્યારે છેલ્લી 15 મિનિટ ટીમલી નૃત્ય પણ કરતાં હોય છે, ત્યારે વરસાદ વરસી જતાં, ચાલુ વરસાદમાં પણ ટીમલી ની મઝા માણી હતી.

આ અંગે ખનીજ ઉદ્યોગ સોસાયટીના પ્રમુખ ગોપાલભાઈ રાઠવાએ ETV ભારત સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, અમારી ખનીજ સોસાયટીમાં 90 ટકા જેટલાં આદિવાસી સમુદાયના લોકો નિવાસ કરતાં હોવાના લઇને દર વર્ષે સાતમા, આઠમા નોરતાના દિવસે આદિવાસી પોશાકમાં ગરબા ગાવાનું આયોજન કરવામાં આવે છે. જેમાં યુવતીઓ, મહિલાઓ, પરંપરાગત પોશાકમાં ગરબા રમવા આવે છે. ગરબા પુરા થતા 15 મિનિટ આદિવાસી ટીમલીની મઝા પણ માનવામાં આવે છે. આમ આમરી આદિવાસી સમાજની સંસ્કૃતિ જળવાય રહે તે માટે આમારી સોસાયટીના રહીશો દ્વારા સર્વાનુમતે આદિવાસી પોશાકમાં ગરબા ગાવાનો નિર્ણય લેવાય છે.
આદિવાસી પોશાકમાં ગરબા રમવા આવેલા બેલાબેન રાઠવાએ ETV ભારત સાથે વાત કરતાં જણાવે છે કે, આદિવાસી મહિલાઓ પોતાનો એક આદિવાસી ડ્રેસ રાખતી જ હોય છે. ડ્રેસ તો 1500 થી 2000 માં તૈયાર થઇ જતો હોય છે પણ આદિવાસી પોશાક સાથે મહિલાઓ ચાંદીના ઘરેણાં ધારણ કરતી હોય તે લગભગ પાંચ કિલોના હોય છે અને ઘરેણાંનો આખો સેટ અઢી લાખ રૂપિયાની કિંમતનો હોય છે. અને એ અમારો પરંપરાગત પોશાક એ આદિવાસીની ઓળખ છે, અને આ પોશાક ધારણ કરી અમે ગૌરવ અનુભવીએ છીએ.
આ પણ વાંચો:

