સાવધાન ! શું તમે પણ સિંહ દર્શન માટે બુકિંગ કરી રહ્યા છો ? તો આ લેખ ખાસ વાંચો... - Sasan Gir Lion Safari
સાસણ ગીરના જંગલોમાં સિંહ દર્શન માટે બોગસ ટ્રાવેલિંગ કંપનીઓ ઓનલાઈન બુકિંગના નામે લોકો પાસેથી પૈસા ખંખેરતી હોવાની ફરિયાદ ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગને મળી હતી. માનવ અધિકાર પંચે સુઓમોટો સંજ્ઞાન લઈને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને ખાનગી વેબસાઈટ ઓપરેટરો પાસેથી ખુલાસો માગ્યો છે.

Published : September 20, 2024 at 12:52 PM IST
ગાંધીનગર : દિવાળી વેકેશનને કારણે સાસણ ગીરના જંગલોમાં સિંહ દર્શન માટે અત્યારથી પ્રી-બુકિંગ શરૂ થઈ ગયા છે. ગીર નેશનલ પાર્ક અને ગીર ઓનલાઇન બુકિંગ વેબસાઈટ પર ગીર સફારી માટે વન વિભાગની કોઈ પણ અધિકૃત પરવાનગી વિના બુકિંગ લેવા અને પ્રવાસીઓ પાસેથી વધુ પૈસા ઉઘરાવવા અંગેની મૌખિક ફરિયાદ ગુજરાત રાજ્ય માનવ અધિકાર પંચને મળી હતી.
સિંહ દર્શન માટે બુકિંગ : આ ફરિયાદને આધારે પંચે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને ખાનગી વેબસાઈટ ઓપરેટરો પાસેથી ખુલાસો માંગ્યો છે. આયોગે જણાવ્યું કે ગીર નેશનલ પાર્કની વેબસાઈટ લોન્ચ કરી છે. આ વેબસાઈટમાં વન વિભાગે વાહન ફાળવ્યા છે. પ્રવાસીઓને પેમેન્ટ લિંક આપી છે. તેમાં તફાવત વાળી રકમ ચૂકવવા જણાવ્યું છે. જે બાબતે તાત્કાલિક ખુલાસો માંગવામાં આવ્યો છે.
માનવ અધિકાર પંચે માંગ્યો ખુલાસો : વન વિભાગમાંથી તમને કોણે આવા બુકિંગ માટે અધિકૃત કર્યા છે. વન વિભાગની પૂછપરછમાં તેને જાણવા મળ્યું છે કે તમને આવા બુકિંગ લેવાની કોઈ સત્તા છે કે નહીં ? આયોગે એ બાબતે પણ ખુલાસો માગ્યો છે કે તમને બુકિંગ લેવાની પરવાનગી કોણે આપી છે કે જ્યારે અત્યારે પાર્ક બંધ છે. ઓનલાઈન બુકિંગ પણ બંધ છે ત્યારે કેવી રીતે વન વિભાગે એક શ્રેણી હેઠળ વાહનની ફાળવણી કરી? સાયબર ક્રાઇમને છેતરપિંડી કરવા બદલ તમારે માટે પગલા લેવાનો નિર્દેશ કેમ ન આપવો જોઈએ? આયોગે હુકમની નકલ પ્રિન્સિપલ ચીપ કંજરવેટર ઓફ ફોરેસ્ટ અને વન વિભાગના વડાને મોકલી આપવા હુકમ કરી અને ખુલાસો કરવા જણાવ્યું છે.
બોગસ બુકિંગ થયું ? ગુજરાત માનવ અધિકાર આયોગના રજીસ્ટ્રાર ટી. વી. જોશીએ જણાવ્યું કે, ગીર ફોરેસ્ટમાં ફરવાનું બુકિંગ કરાવવા અને વ્હીકલ એલોટમેન્ટ કરવાના નામે કેટલીક ખાનગી વેબસાઈટોના નામે પૈસા એકત્ર કરી રહ્યા છે. ગીર ફોરેસ્ટ વિભાગમાં હાલમાં આવી કોઈ પ્રવૃત્તિ ચાલતી નથી. વેબસાઈટ દ્વારા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિથી પ્રવાસીઓના માનવ અધિકારનું હનન થાય છે. ગીર ફોરેસ્ટ વિભાગ દ્વારા બુકિંગ કરવા માટે કોઈ વેબસાઈટ અથવા વ્યક્તિને અધિકૃત કરી હોય તેવું સાબિત થયું નથી.
જાગૃત નાગરિક દ્વારા અરજી : માનવ અધિકાર પંચમાં વેબસાઈટ વિરુદ્ધ એક જાગૃત નાગરિકે અરજી કરી હતી. અરજીના આધારે પ્રોટેક્શન ઓફ હ્યુમન રાઈટ એકટની કલમ 12 અને 13 ના આધારે આયોગે આ અરજીને સુઓમોટો લીધી છે. આવા પ્રકારની વેબસાઈટને મંજૂરી આપી છે કે નહીં તે પણ ખબર નથી. વન વિભાગમાં તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે, વિભાગ તરફથી કોઈ વેબસાઈટને અધિકૃત કરવામાં આવી નથી. એટલે માનવ અધિકારનું હનન થાય છે. વન વિભાગના ઉચ્ચ અધિકારીઓને સ્પષ્ટતા કરવા જણાવ્યું છે. વન વિભાગ દ્વારા આવા કોઈ વેબસાઈટ અથવા વ્યક્તિને અધિકૃત કર્યા છે કે નહીં તે અંગે ખુલાસો માંગવામાં આવ્યો છે.
ગુજરાત માનવ અધિકાર આયોગ : આવી ઘણી બધી ફેક વેબસાઈટો છે જે ગીર સોમનાથ વનમાં ફરવા માટે જુદા-જુદા પ્રલોભનો આપીને પૈસા એકત્ર કરી રહ્યા છે. તેમના માટે પણ કોગ્નાઇઝન્સ લેવાનું નક્કી કરવામાં આવ્યો છે. કોઈની પાસે સજ્જડ માહિતી હોય તો તેઓ થર્ડ પાર્ટી તરીકે ફરિયાદ કરી શકે છે.

