ભુજ: વર્લ્ડ હેરિટેજ ડે નિમિત્તે ભુજમાં આવેલા ઐતિહાસિક સ્થળોની હેરિટેજ વોક યોજવામાં આવી હતી. આ હેરિટેજ વોકમાં 55 જેટલા રસિકો જોડાયા હતા અને 15થી પણ વધુ ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેવામાં આવી હતી. ભુજ શહેરની સ્થાપના સાથે સંકળાયેલ અને ઇતિહાસ સંગ્રહીને બેઠા છે તેવા ઐતિહાસિક સ્થળોની મુલાકાત લઈને રસિકોને ઇતિહાસથી માહિતગાર કરવામાં આવ્યા હતા.
ઇતિહાસપ્રેમીઓ અને યુવાનોએ યોજી હેરિટેજ વોક
આ હેરિટેજ વોકમાં અનુભવી ઇતિહાસપ્રેમીઓ અને યુવાનો કે, જેઓ આતુરતા પૂર્વક ભુજમાં આવેલા ઐતિહાસિક વારસાના ઈતિહાસ અને મહત્વ અંગે જાણવા માટે જોડાયા હતા. ઇતિહાસકાર દલપતભાઈ દાણીધારીયા, સંજયભાઈ ઠાકર, રાજેશભાઈ માંકડ, દિનેશભાઈ મચ્છર સાથે જાગૃતિ વકીલ અને ડોક્ટર સમૃદ્ધિ રામાણી સહિતના લોકોએ આ હેરિટેજ વોક દરમિયાન ભુજમાં આવેલા ઐતિહાસિક સ્થળોની મુલાકાત કરાવી હતી. આ ઉપરાંત ઐતિહાસિક વારસા અંગેની માહિતી પણ વિગતવાર પૂરી પાડી હતી, તો સંયોજક તરીકે એમ.આઈ. બાયડે વ્યવસ્થા સંભાળી હતી.
હેરિટેજ વોકમાં મુલાકાતમાં લેવાયેલ ઐતિહાસિક સ્થળો
આ હેરિટેજ વોક્માં ભુજમાં આવેલ આઇના મહલ, પ્રાગ મહલ,દરબાર ગઢ, રાણી મહેલ, ખીલીપૂજન સ્થળ, ચાવડી, જૂની શાક માર્કેટ, તોરણ ગેટ, ટંકશાળ,જયુબિલી હોસ્પિટલ, જૂની જેલ, મોટી પોશાળ જાગીર, સરપટ ગેટ, વિવિધ નાકાઓ તેમજ વિવિધ જૂના ફળિયા સિસ્ટમ કે જે ભૂકંપમાં વિસરાઈ ગયેલ છે વગેરે જેવા સ્થળોની મુલાકાત લેવામાં આવી હતી.
આઈના મહલ: આઈના મહેલ એ કચ્છ જિલ્લાના ભુજ શહેરમાં આવેલો 18મી સદીમાં બંધાયેલો એક મહેલ છે. આ મહેલ પ્રાગ મહેલની બાજુમાં આવેલો છે. આ મહેલ 1761માં રાવ લખપતજી દ્વારા બંધાવવામાં આવ્યો.આના મુખ્ય વાસ્તુકાર કચ્છી મિસ્ત્રી રામ સિંહ માલમ હતા.મહેલની દિવાલો સફેદ આરસની છે જેમાં અરીસાઓ લગાવવામાં આવ્યા છે.

પ્રાગ મહેલ: ભુજ શહેરમાં આવેલો 19મી સદીમાં બંધાયેલો એક મહેલ છે. આના બાંધકામની શરૂઆત રાવ પ્રાગમલજી એ 1865માં કરાવી હતી. આની સંરચના કર્નલ હેનરી સેંટ વીલ્કીન્સ દ્વારા ઈટાલિયન ગોથીક શૈલીમાં કરવામાં આવી હતી. આ મહેલના બાંધકામ માટે ઘણાં ઈટાલિયન કારીગરો તેડાવવામાં આવ્યા હતા.

રાણી વાસ: દરબારગઢમાં જ પ્રાગ મહેલની સામે રાણીવાસ આવેલું છે જ્યાંથી રાણી દરબારગઢના પ્રાંગણમાં યોજાતા કાર્યક્રમોને રાણીવાસના ઝરૂખામાંથી નિહાળતા હતા. વર્ષ 2001ના ભૂકંપમાં રાણીવાસને પણ ઘણુ નુકસાન થયું હતું પરંતુ આજે પણ રાણીવાસનું કલાત્મક બાંધકામ અડીખમ ઊભું છે તે જોવાની પણ પ્રવાસીઓને મજા આવે છે.


જયુબિલી હોસ્પિટલ: ભુજના સરપટ નાકા પાસે જ્યુબિલી હોસ્પિટલ આવેલી છે. હોસ્પિટલની શરૂઆત ઇ.સ.1849માં થઇ હતી. ઇ.સ. 1860માં 10 બેડની સગવડ હોસ્પિટલમાં ઊભી કરવામાં આવી હતી. ઇ.સ. 1887માં બ્રિટનના રાણી વિક્ટોરિયા જયંતી ઉજવણી ઉત્સવ ઉજવાયો હતો ત્યારે હોસ્પિટલનું વિસ્તૃતિકરણ કરવામાં આવ્યું હતું અને ત્યારથી હોસ્પિટલનું નામ જ્યુબિલી હોસ્પિટલ રાખવામાં આવ્યું હતું. તેનો પાયો ડ્યૂક ઓફ કોનેટના હસ્તે નાખવામાં આવ્યો હતો. ઇ.સ. 2001ના ભૂકંપમાં હોસ્પિટલની ઇમારતને ખૂબ નુકસાન થયું હતું.

ખીલીપૂજન: રાવ ખેંગારજી પહેલાએ વિક્રમ સંવત 1605 માગસર સુદ-પાંચમના દિવસે ખીલી ખોડીને ભુજ શહેરની સ્થાપના કરી હતી. ભુજિયા ડુંગરના કારણે આ નગરનું નામ ભુજ પાડવામાં આવ્યું છે. રાજાશાહી શાસન બાદ આજે ભુજ સમગ્ર જિલ્લાનું વડુમથક બન્યું છે.ત્યારે દર વર્ષે ભુજના સ્થાપના દિવસે અહીં ભુજ નગરપાલિકાના પ્રમુખ અને રાજ પરિવાર દ્વારા અહીં પૂજા કરવામાં આવે છે.


ટંકશાળ: ભુજ ટંકશાળ જ્યાં કચ્છરાજનું તત્કાલિન ચલણી નાણું છપાતું હતું.ટંકશાળ એટલે કે જ્યાં ચલણી નાણું છાપવામાં આવે એ જગ્યા. રાજાશાહી વખતમાં અહીં ટંકશાળ હતી, અને તેમાં 562 રજવાડા પૈકી 13 રજવાડાંઓને જ સિક્કા બહાર પાડવાની મંજૂરી હતી. 300 વર્ષ અગાઉ દરબાર ગઢની બહાર જુની ટંકશાળ હતી, ત્યાં કચ્છરાજનું તત્કાલિન ચલણી નાણું છપાતું હતું.
આ પણ વાંચો: