ગાંધીનગર: 16 ફેબ્રુઆરીના રોજ યોજાયેલી જુનાગઢ મહાનગર પાલિકા, 68 નગર પાલિકાઓ, ગાંધીનગર, કઠલાલ, કપડવંજ તાલુકા પંચાયતોની સામાન્ય અને મધ્યસત્ર ચૂંટણી તથા સ્વરાજ્યના એકમોના પ્રસંગોપાત ખાલી પડેલી બેઠકોની પેટાચૂંટણીઓ માટે 16 ફેબ્રુઆરીએ મતદાન યોજાયું હતું જેનું પરિણામ આજે જાહેર થયું છે.
મતગણતરી આજે સવારે 9 વાગ્યે શરૂ થશે. ઈલેક્ટ્રોનિક ઉપકરણો દ્વારા ચૂંટણી થયેલી હોવાથી બપોર સુધીમાં પરિણામો જાહેર થઈ શકશે.
રાજ્યમાં એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં સ્થાનિર સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે. ક્યાંક ઈવીએમ બગડ્યાનું ફરિયાદ તો ક્યાંક બટન નહીં દબાતું હોવાના કારણે હોબાળો મચ્યો હોવાની છૂટક-છૂટક ઘટનાઓ સામે આવી હતી, તો કેટલીક જગ્યાઓ પર ઓછું મતદાન થવાના કારણે રાજકીય પક્ષો મૂંઝવણમાં મુકાયા છે.
આજે જ્યારે મતગણતરી થઈ રહી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોમાં પોતપોતાની જીતના દાવા સાથે ઉત્સાહના મૂડમાં છે, વાત કરીએ જુનાગઢ મહાનગર પાલિકા, 68 નગરપાલિકા અને 3 તાલુકાની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતાં 5 હજારથી વધુ ઉમેદવારોના ભાવિ આજે ઈવીએમમાંથી નક્કી થશે, મતગણતરીને લઈને પણ ચૂંટણી પંચ અને વહિવટી તંત્રએ તમામ તૈયારીઓ કરી છે.
મહત્વપૂર્ણ છે કે, આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 5775 દાવેદારો મેદાનમાં ઉતર્યા હતા અને કુલ 36 લાખ 71 હજાર 479 મતદારોને મતાધિકાર મળ્યો હતો. રાજ્યમાં પાલિકા-પંચાયતના યોજાયેલા મતદાનમાં ઘણા મતદાન મથકો પર મતદારોની લાંબી લાંબી કતારો પણ જોવા મળી હતી.
રાજ્ય ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર જુનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણીમાં 44.32 ટકા, અમદાવાદ સહિત તર્ણ બેઠકની ચૂંટણીમાં સરેરાશ 31.72 ટકા, નગરપાલિકાઓમાં 66 નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં 61.65 ટકા, મઘ્યસત્ર હેઠળની બે નગર પાલિકાની ચૂંટણીમાં 35.23 ટકા અને પેટાચૂંટણી હેઠળની 19 બેઠકો ઉપર 37.85 ટકા, તેમજ જિલ્લા પંચાયતોની પેટાચૂંટણીમાં 8 બેઠકો ઉપર સરેરાશ 43.67 ટકા અને તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીમાં 65.07 ટકા તથા પેટાચૂંટણી હેઠળની 76 બેઠકો પર સરેરાશ 57.04 ટકા મતદાન નોંધાયું હતું.