અમદાવાદ: ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, ભૌગોલિક સ્થાન અને વૈવિધ્યસભર કળા માટે માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વભરમાં જાણીતું છે. ભારત સરકાર તરફથી ગુજરાતને અત્યાર સુધીમાં 28 GI ટેગ આપવામાં આવ્યા છે. જેમાંથી 23 હસ્તકળા માટે, 4 એગ્રીકલ્ચર માટે અને અંબાજીના સફેદ માર્બલને GI ટેગ આપવામાં આવ્યા છે. ભારતની વાત કરીએ તો 26 જુલાઈ 2024 સુધીના રેકોર્ડ મુજબ દેશના જુદા જુદા રાજ્યોમાં વિવિધ ખાસિયતોના આધારે 606 GI ટેગ આપવામાં આવેલા છે. ત્યારે ગુજરાતને કઈ-કઈ બાબતોને લઈને GI ટેગ મળ્યા છે, GI ટેગ શું હોય છે અને કેવી રીતે તેના માટે અરજી કરવામાં આવે છે, આ રિપોર્ટમાં જાણીએ.
શું હોય છે GI ટેગ?
GIનું પૂરું નામ Geographical Indication છે. જેનો ગુજરાતીમાં અર્થ ભૌગોલિક સંકેત એવો થાય છે. GI ટેગ કોઈ નિશ્ચિત ભૌગોલિક વિસ્તાર કે ગામમાં ઉત્પાદિત થતી અથવા બનતી ખાસ વસ્તુ જે બીજે ક્યાંય થતી હોય તેને જ અપાય છે. ઉપરાંત આ વસ્તુ કોઈ વિશેષ ગુણવત્તા ધરાવતી હોય અને જે તે વિસ્તાર તે ખૂબ જ જાણીતી હોય. જેમ કે પાટણના પટોળા, જામનગરની બાંધણી, ભાલિયા ઘઉં. આવી વિશેષ ગુણવત્તા ધરાવતી અને કોઈ નિશ્ચિત વિસ્તારમાં જ થતી વસ્તુને આ GI ટેગ આપવામાં આવે છે. ભારતમાં ખેતી, હસ્તકલા, ઉદ્યોગમાંથી બનતી, ખાદ્ય સામગ્રીને જ GI ટેગ આપવામાં આવે છે.

કેવી રીતે થઈ GI ટેગની શરૂઆત?
વૈશ્વિક સ્તરે ભૌગોલિક સંકેત (GI) ટેગ્સનો ઇતિહાસ પ્રાચીન કાળથી શરૂ થાય છે જ્યારે ઉત્પાદનોના મૂળ અને ગુણવત્તાને ઓળખવા માટે સ્થળના નામનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ ખ્યાલને ઔપચારિક રીતે 1994 માં વિશ્વ વેપાર સંગઠન (WTO) દ્વારા માન્યતા આપવામાં આવી હતી, જેમાં TRIPS કરારમાં GI સુરક્ષા માટે લઘુત્તમ ધોરણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
ભારતમાં GI ટેગનો ઇતિહાસ 1999 માં ભૌગોલિક સંકેતો (નોંધણી અને સંરક્ષણ) અધિનિયમના અમલીકરણથી શરૂ થાય છે, જે 2003 માં અમલમાં આવ્યો હતો. દાર્જિલિંગ ચા 2004 માં GI ટેગ મેળવનાર પ્રથમ ભારતીય ઉત્પાદન બન્યું, જેણે તેની ખાસ ગુણવત્તા અને સ્વાદને માન્યતા આપી. આ પછી અરનમુલા કન્નડી અને પોચમપલ્લી ઇકટ જેવા અન્ય ઉત્પાદનોનો પણ સમાવેશ થયો. આ કાયદાનો હેતુ પરંપરાગત ચીજવસ્તુઓની પ્રામાણિકતાનું રક્ષણ કરવાનો અને પ્રાદેશિક વારસાને પ્રોત્સાહન આપવાનો હતો.
GI ટેગ કેવી રીતે મળે છે?
GI ટેગ મેળવવા માટેનું રજીસ્ટ્રેશન કન્ટ્રોલર જનરલ ઓફ પેટન્ટ, ડિઝાઈન અને ટ્રેડમાર્ક (CGPDTM) માં કરવામાં આવે છે. જ્યાં કોઈ ઉત્પાદિત વસ્તુને ભૌગોલિક સંકેતો, 1999 ના આધારે GI ટેગ આપવામાં આવે છે. CGPDTM નું મુખ્યાલાય ચેન્નઈ (તમિલનાડુ) ખાતે છે. CGPDTM વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ આવે છે, જેમાં ઉદ્યોગ સંવર્ધન અને આંતરિક વેપાર વિભાગ (Industry Conservation & Internal Trade Department) તરફથી આ ટેગ એનાયત કરવામાં આવે છે. GI ટેગનો સમયગાળો 10 વર્ષ સુધીનો હોય છે અને 10 વર્ષ પૂરા થવા પર તેને ફરીથી રીન્યુ કરવામાં આવે છે.

હાલમાં ગુજરાતને મળ્યા બે GI ટેગ
તાજેતરની વાત કરીએ તો હાલમાં જ ભારત સરકારે નવસારીમાં અમલસાડ ચીકુ અને ઘરચોળાને GI ટેગ આપ્યો છે. નવસારી જિલ્લાના અમલસાડ વિસ્તારમાં ઉગાડાતું “અમલસાડ ચીકુ” ભૌગોલિક માનાંકન (Geographical Indication - GI) ટેગથી સન્માનિત થયું છે. આ ટેગ મેળવતું દક્ષિણ ગુજરાતનું આ પ્રથમ કૃષિ પેદાશ છે.
તો ઘરચોળાની કલા વારસાને સુરક્ષિત રાખવાના ગુજરાતના સમર્પણને પ્રતિબિંબિત કરે છે. આ જીઆઇ ટેગ ગુજરાતની ઘરચોળા હસ્તકલાના સમૃદ્ધ વારસા અને જટિલ કારીગરીને વ્યાખ્યાયિત કરે છે. ગુજરાતનું ઘરચોળું હિંદુ અને જૈન સમાજમાં લગ્ન જેવા માંગલિક પ્રસંગોએ પહેરવામાં આવે છે. પરંપરાગત રીતે, ઘરચોળા લાલ, મરૂન, લીલા અથવા પીળા જેવા રંગોમાં બનાવવામાં આવતા હતા, જેને હિંદુ પરંપરામાં શુભ રંગો માનવામાં આવે છે. આજે ગુજરાતના વણકરો આધુનિક સમયને અનુરૂપ ઘરચોળા સાડીની બનાવટમાં તેમની ડિઝાઇન્સ અને ટેકનીક્સને અપડેટ કરી રહ્યા છે. તેઓ વધુ આકર્ષક સાડીઓ બનાવવા માટે કૌશલ્ય વિકસિત કરી રહ્યા છે, જેના કારણે બજારમાં ઘરચોળા સાડીઓની માંગમાં પણ ઘણો સુધારો થયો છે.
આ પણ વાંચો: