જૂનાગઢ : રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા વિસાવદર ખાતે કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપવા માટે જૂનાગઢ આવી પહોંચ્યા હતા. અહીં તેમણે સર્કિટ હાઉસ ખાતે પત્રકારો સાથે વાતચીત દરમિયાન તેમના રાજકીય જીવનને લઈને અનેક વાતો કરી હતી. શંકરસિંહ વાઘેલાએ કહ્યું, "આગામી વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં તેમના પક્ષનો ઉમેદવાર ઉભો રાખીને ભાજપ, કોંગ્રેસ અને આપ સામે નવો વિકલ્પ આપીશું."
જૂનાગઢની મુલાકાતે શંકરસિંહ વાઘેલા : પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ જૂનાગઢ મુલાકાતે આવ્યા હતા. શંકરસિંહે ખાસ અંદાજમાં ભાજપ, કોંગ્રેસ અને વર્તમાન રાજકીય સ્થિતિ પર પોતાના પ્રતિભાવ વ્યક્ત કર્યા. આજે સવારે વિસાવદરમાં તેમના રાજકીય પક્ષના કાર્યકરો સાથે બેઠક કરશે અને આગામી વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં તેમના ઉમેદવાર ઉતારવાની રણનીતિ બનાવશે. આ પૂર્વે આજે જૂનાગઢ ખાતે તેમણે પોતાની રાજકીય સફરના અનુભવ શેર કર્યા.
શંકરસિંહ વાઘેલાના બોલ બચ્ચન...
શંકરસિંહ વાઘેલા તેમના બોલ બચ્ચન સ્વભાવ માટે રાજકારણમાં આજે પણ એટલા જ જાણીતા છે. જૂનાગઢ આવેલા શંકરસિંહ વાઘેલાએ ભાજપને ગુંડા, બદમાશ અને અપરાધ કરેલા વ્યક્તિઓનું જાહેરમાં મંચ પરથી સન્માન કરનારી પાર્ટી તરીકે ઓળખાવી હતી.
શંકરસિંહ વાઘેલા માને છે કે ગુજરાતમાં ભાજપને લાવનાર તેઓ પ્રથમ વ્યક્તિ હતા. ભાજપ ત્રણ દશકાથી સત્તા પર છે. ભાજપમાં થઈ રહેલા અનેક પરિવર્તન ખૂબ જ અયોગ્ય છે.
"કોંગ્રેસની દાનત સરકાર બનાવવાની ન હતી, જેના કારણે તે સત્તા બહાર છે" : શંકરસિંહ વાઘેલા
બીજી તરફ બાપુના નિશાને કોંગ્રેસ પાર્ટી પણ હતી. શંકરસિંહ વાઘેલાએ સ્પષ્ટ કહ્યું કે, 2017માં કોંગ્રેસ પાર્ટી સત્તા અને સરકાર બંને હાંસલ કરી શકે તેટલી મજબૂત હતી. પરંતુ પાર્ટીના નેતાઓમાં મેચ ફિક્સિંગના કારણે 2017માં કોંગ્રેસના હાથમાં આવેલી સત્તા અને સરકાર બંને ભાજપને કોંગ્રેસે સોંપી હોવાનો સનસનીખેજ આક્ષેપ પણ તેમણે કર્યો હતો.
"ભાજપને કારણે વિસાવદરના લોકો પ્રતિનિધિ વિહોણા" : શંકરસિંહ વાઘેલા
વિસાવદર વિધાનસભા મત વિસ્તારના લોકોને પ્રતિનિધિ વિહોણા કરવાનું પાપ ભાજપે કર્યું હોવાના આક્ષેપ કરતા શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે, ભાજપ કોઈપણ કાળે વિસાવદર વિધાનસભા બેઠક જીતવા માંગે છે. કોંગ્રેસમાંથી જીતેલા ધારાસભ્યોને ભાજપમાં સામેલ કરીને ચૂંટણી લડાવી તેની હાર થઈ. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૂંટણી જીતીને આવ્યા તો તેને પણ ભાજપમાં સામેલ કરીને વિસાવદર વિધાનસભા બેઠક પરના મતદારોને પ્રતિનિધિ વગરના રાખવાનું પાપ ભાજપે કર્યું છે. ભાજપ પાર્ટી આજે પક્ષના મૂલ્યો આધાર અને મેનિફેસ્ટોથી ભટકી રહી છે.
"અમારો ઉમેદવાર ચીટર, બદમાશ કે તેલ ચોપડેલો નહીં હોય" : શંકરસિંહ વાઘેલા
વિસાવદર વિધાનસભા બેઠક પર પાર્ટીના ઉમેદવારને લઈને શંકરસિંહ વાઘેલાએ ચોંકાવનારું નિવેદન આપતા જણાવ્યું કે, વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં અમારો ઉમેદવાર ચીટર, બદમાશ કે તેલ ચોપડેલો નહીં હોય. તે પાર્ટી અને મત વિસ્તારને વફાદાર હશે.
ઈકો ઝોનને લઈને પણ શંકરસિંહ વાઘેલાએ ખૂબ જ મુક્ત મને જવાબો આપ્યા હતા. તેઓ માને છે કે સરકારના કાયદોનો કઈ રીતે અમલ થાય અને તેનો અમલ કઈ રીતે રોકી શકાય તે હું ખૂબ સારી રીતે જાણું છું. અને તેનો અનુભવ રાજ્યની પ્રજાને તેમના સત્તાકાળ દરમિયાન થયો છે.