કચ્છ: કચ્છના પૂર્વ IAS પ્રદીપ શર્માને જમીન ફાળવણીના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. જમીન ગોટાળાના કેસમાં ભૂજ કોર્ટે પ્રદિપ શર્મા સહિત કુલ 4 જેટલા આરોપીઓને દોષી જાહેર કર્યા હતા. પૂર્વ કલેક્ટરે જિંદાલ ગ્રુપને જમીન આપી તેમા નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. આજે ભુજની નામદાર કોર્ટે પ્રદીપ શર્મા સહિત ચાર આરોપીને દોષિત જાહેર કરીને તમામ આરોપીને પાંચ વર્ષની સજા ફટકારી છે.
જિંદાલ કંપનીને જમીન ફાળવવાના કૌભાંડ
સોપાઇપ્સ લિમિટેડ જિંદાલ કંપનીને જમીન ફાળવણી કેસમાં કચ્છના પૂર્વ કલેકટર પ્રદીપ શર્મા તથા સહ આરોપીઓને ભુજની નામદાર કોર્ટ દ્વારા 5 વર્ષની સખત કેદ તથા રૂ.10,000 નો દંડ ફટકારવામાં આવ્યો છે. આ કેસમાં રાજય સરકાર સી.આઇ.ડી.ક્રાઇમ, એજન્સીના પ્રોસિકયુશન તરફે સ્પેશ્યલ પબ્લિક પ્રોસિકયુટર એચ.બી.જાડેજાએ હાજર રહી સાક્ષી તપાસીને દલીલ કરી હતી.
જમીન ફાળવણીમાં સરકારના પરિપત્ર અને નિયમોનું ઉલ્લંઘન
સ્પેશ્યલ પબ્લિક પ્રોસિકયુટર એચ.બી.જાડેજાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, સોપાઇપ્સ લિમિટેડે મુન્દ્રા તાલુકાના મોજે સમાઘોઘાની સીમમાં આવેલી સરકારી જમીનની ફાળવણીની વિગતે પ્રદિપ શર્માએ જિલ્લા કલેકટર તરીકે સરકારના પરિપત્ર 6 જૂન 2003 તેમજ પરિપત્ર ઠરાવ 27 નવેમ્બર 2000માં થયેલા હુકમ મુજબ 2 હેકટર, 15 લાખની કિંમત સુધીની ઔદ્યોગિક હેતુ માટે જમીન મંજુર કરવાની સત્તા આપવામાં આવેલ છે. તેમ છતાં પણ પ્રદીપ શર્માએ આ માંગણીની ઔદ્યોગિક હેતુના જમીન ફાળવણી અંગેના પ્રકરણમાં 47,173 ચોરસ મીટર જમીન મંજૂર કરેલી. જે અંગે મહેસુલ વિભાગ સચિવાલય, ગાંધીનગરના ક્રમાંક નં.જમન-ઇન્ડસ્ટ્રી- 5611-779-અ,01, 18 એપ્રિલ 2021 સેકશન અધિકારીના પત્રોની વિગતો મુજબ જયારે એક જ ગામની જમીન માટે, જુદા-જુદા સર્વે નંબર માટે, એક જ દિવસે એક જ હેતુ માટે એક જ એકમે જમીન માંગણીની અરજી થયેલી હોય, તો આવી બધી અરજીઓ સંકલીત કરી સાથે ચલાવી, એક જ હુકમથી જમીન ફાળવણી બાબતે નિર્ણય કરવો જોઇએ.
27,173 ચોરસ મીટર જમીનો વધારે ફાળવેલી
પરંતુ હાલના એક જ ગામનાં ત્રણ અલગ-અલગ સર્વે નંબર વાળી જમીન, એક જ હેતુ માટે એક જ દિવસે, એક જ એકમ માટે માંગણી મુકવામાં આવેલી હતી. તેવા સંજોગોમાં પૂર્વ કલેક્ટરે રેવન્યુ વિભાગના વડા તરીકે સરકારી જમીનના કસ્ટોડીયન તરીકે આ જોગવાઇઓ જાણતા હોવા છતાં સર્વે નં.326 માં 20538 ચોરસ મીટર જમીન ફકત એક જ સર્વે નંબર 20,000 ચોરસ મીટર જમીન ફાળવવાની મર્યાદાની બહાર જઇ, સત્તા બહાર વધુ 538 ચોરસ મીટર જમીન મંજુર કરીને માંગણીદારને જમીન ફાળવેલી. તેમજ આ જમીન ફાળવણીના હુકમો 25 માર્ચ 2005 ના રોજ કુલ 47,173 ચોરસ મીટર જમીન એક જ માંગણીદાર કંપનીને, એક જ દિવસે, એક જ હેતુ માટે એક જ એકમને ફાળવી આપી કુલ 27,173 ચોરસ મીટર જમીનો વધારે ફાળવેલી.
માંગણીદાર કંપનીને ઔદ્યોગિક હેતુ માટેની સરકારી જમીન ફાળવી ગુનો
પૂર્વ કલેકટર પ્રદીપ શર્માએ સત્તા અધિકાર બહાર જઇને તેમજ સરકારના વખતો-વખતના પરિપત્રો અને હુકમોને ધ્યાને નહી લઇ, સરકારના હુકમોની અવગણના કરી માંગણીદાર કંપનીને આર્થિક રીતે ફાયદો કરાવી આપવાના એક માત્ર બદઇરાદે અને સરકારને આર્થિક રીતે નુકશાન કરેલું. તેમ કરીને તમામ આરોપીઓએ જિલ્લા જમીન મુલ્યાંકન સમિતિની બેઠકમાં અરસ-પરસ મેળાપીપણામાં ગુનાહિત માનસથી કાવતરું રચી માંગણીદાર કંપનીને ઔદ્યોગિક હેતુ માટેની સરકારી જમીન ફાળવી ગુનો કરેલ જે સબંધે સી.આઇ.ડી.ક્રાઇમ રાજકોટ ઝોન પો.સ્ટે. ફ.ગુ.ર.નં. 1/11 ઇ.પી.કો.ક.217,409,120(બી), મુજબનો ગુનો નોંધાયેલ.
આ ગુનામાં 4 આરોપીને દોષી ઠરાવીને 5 વર્ષની સખત કેદની સજા
આ કામેના તમામ આરોપીઓને આઇ.પી.સી. કલમ 409, 120(બી), મુજબના ગુનામાં દોષી ઠરાવીને 5 વર્ષની સખત કેદની સજા અને 10,000 નો દંડ કરવામાં આવ્યો છે. આઇ.પી.સી. કલમ 217 મુજબના ગુનામાં દોષી ઠરાવીને 3 માસની સાદી કેદની સજા. તેમજ આરોપી પ્રદીપકુમાર એન. શર્માને હાલ પશ્ચિમ કચ્છ એ.સી.બી. પો.સ્ટે. ગુ.ર.નં. 06/2014 સેશન્સ કેસ નં. 192/2017 ના કેસમાં નામદાર અમદાવાદ સેશન્સ કોર્ટ દ્વારા કરવામાં આવેલી 5 વર્ષની સજા પુર્ણ કર્યા બાદ આજે જાહેર કરેલ 5 વર્ષની સજાની અમલ શરૂ કરવા હુકમ કરવામાં આવ્યો છે. તેમજ દંડની રકમ ન ભરે તો વધુ 6 માસની સખત કેદની સજા કરવામાં આવશે.
આ પણ વાંચો: