દિવાળી અને શિયાળામાં અસ્થમાનો વધતો પ્રકોપ: કારણો, લક્ષણો અને બચાવના ઉપાયો
અસ્થમા એ ફેફસાંનો એક રોગ છે, જેમાં શ્વાસનળીઓમાં સોજો આવે છે. આ શ્વાસનળીઓ દ્વારા ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપ-લે થાય છે.

Published : October 11, 2025 at 7:14 PM IST
અમદાવાદ: અત્યારે બદલાતા વાતાવરણને કારણે અસ્થમાના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. થોડા દિવસોમાં દિવાળી આવી રહી છે, અને દિવાળી દરમિયાન ફટાકડાથી થતું પ્રદૂષણ તેમજ શિયાળામાં બદલાતું હવામાન અસ્થમાના દર્દીઓમાં દર વર્ષે નોંધપાત્ર વધારો કરે છે. આજે આપણે જાણીશું કે અસ્થમા શું છે, તેનાં કારણો, લક્ષણો અને બચાવના ઉપાયો શું છે. સોલા સિવિલના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. મેઘના પટેલે અસ્થમા વિશે વિગતવાર માહિતી આપી છે.
અસ્થમા શું છે?
અસ્થમા એ ફેફસાંનો એક રોગ છે, જેમાં શ્વાસનળીઓમાં સોજો આવે છે. આ શ્વાસનળીઓ દ્વારા ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપ-લે થાય છે. સોજાને કારણે શ્વાસનળી સાંકડી થઈ જાય છે, જેનાથી શ્વાસ લેવામાં તકલીફ થાય છે. ગુજરાતીમાં આને 'દમ' કહેવાય છે.
અસ્થમા થવાનાં કારણોઅસ્થમાનાં ઘણાં કારણો હોઈ શકે છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:
- એલર્જી: ધૂળ, પરાગરજ, બીજકણો વગેરે એલર્જીનું કારણ બની શકે છે.
- પ્રદૂષણ: ધુમાડો, સ્મોકિંગ અને ફટાકડાથી થતું પ્રદૂષણ.
- વાતાવરણમાં ફેરફાર: ગરમીથી ચોમાસું કે ચોમાસાથી શિયાળો જેવા હવામાનના બદલાવથી અસ્થમા ટ્રિગર થઈ શકે છે.
અસ્થમાનાં લક્ષણોઅસ્થમાનાં નીચેનાં લક્ષણો જોવા મળે છે:
- સૂકી ખાંસી
- શ્વાસ લેવામાં તકલીફ
- છાતીમાં ભારેપણું
- એલર્જીના કારણે નાકમાંથી પાણી વહેવું
- વધુ સંવેદનશીલ વ્યક્તિઓમાં ત્વચા પર ચાઠાં
અસ્થમાની સારવારઅસ્થમાના હુમલા દરમિયાન ઝડપી રાહત આપતી દવાઓ (ડિલિવર મેડિકેશન) અને નિયંત્રણ માટેની દવાઓ (કંટ્રોલર મેડિકેશન) આપવામાં આવે છે. આ દવાઓ ઓરલ, ઇન્હેલર (કેપ્સ્યુલ કે સ્પ્રે) સ્વરૂપે હોઈ શકે છે, જે લક્ષણોને નિયંત્રણમાં લાવે છે.



અસ્થમાથી બચવાના ઉપાયો
અસ્થમાને નિયંત્રણમાં રાખવા માટે નીચેના ઉપાયો અપનાવવા જોઈએ:
- માસ્કનો ઉપયોગ: ધૂળ, પરાગરજ કે પ્રદૂષણથી બચવા માસ્ક પહેરવું.
- પ્રદૂષણ ટાળવું: પ્રદૂષિત વિસ્તારોમાં જવાનું ટાળવું.
- સમતોલ આહાર: સ્વસ્થ આહાર અપનાવવો.
- ઇન્હેલરનો ઉપયોગ: ઘણા દર્દીઓને ઇન્હેલરની આદત પડવાનો ડર હોય છે, પરંતુ તેની આડઅસર નગણ્ય હોય છે અને તે ખૂબ અસરકારક છે.
દિવાળી અને શિયાળા દરમિયાન અસ્થમાના દર્દીઓએ વધુ સાવચેતી રાખવી જોઈએ, જેથી તેઓ સ્વસ્થ અને સુરક્ષિત રહી શકે.
આ પણ વાંચો:

