સુરત: જિલ્લાના હીરા ઉદ્યોગના ઇતિહાસમાં દાયકાઓ પછી રત્નકલાકારોએ આજે હડતાળ પાડી રેલી કાઢી હતી. હીરા ઉદ્યોગની મંદીને લીધે છેલ્લા 15 મહિનામાં 62 રત્નકલાકારોના આપઘાત, હજારો કારીગરો બેરોજગાર બન્યા છે. જેની પાસે કામ છે. તેઓ 50% વેતન કા૫ સ્વીકારી મજૂરી કરી રહ્યા છે. ત્યારે આ 62 રત્નકલાકારોનું લિસ્ટ જે સરકારને આપવામાં આવ્યું છે, તે સામે આવ્યું છે. જોકે, આ યાદી સરકાર પાસે પહોંચી ગઈ હોવા છતાં પણ કોઈ સંવેદના ન દાખવતા રોષ પણ જોવા મળી રહ્યો છે.
હડતાલને કોંગ્રેસનું સમર્થન: હીરાની મજૂરીના ભાવ અને પગાર વધારવા સહિતની અલગ અલગ માંગણીઓને લઈ કોઈ નિવેડો નહીં આવતા રત્નકલાકાર યુનિયન હડતાળ પાડી રેલી કાઢી હતી. ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતની આગેવાનીમાં હડતાળમાં રત્નકલાકારો કતારગામ પુલ નીચે એકત્ર થયા બાદ નંદુ દોશીની વાડીથી રેલી કાઢી વિરોધ પ્રદર્શન કર્યો હતો. આ હડતાલને કોંગ્રેસ દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું હતું.
રત્નકલાકાર યુનિયનની માંગણી: રત્નકલાકાર યુનિયન દ્વારા રત્નકલાકારો માટે આર્થિક પેકેજ, રત્નકલાકાર બોર્ડ બનાવવા, મોંઘવારી મુજબ પગાર અને મજૂરીના ભાવ વધારવા, હીરાઉદ્યોગમાં મજૂર કાયદાનું ચુસ્તપણે પાલન કરવા, રત્નકલાકારો પાસેથી લેવામાં આવતો વ્યવસાય વેરો નાબૂદ કરવા, આપઘાત કરનારા રત્નકલાકારોના પરિવારોને આર્થિક મદદ કરવા અને રત્નદીપ યોજના જાહેર કરવા માંગ કરવામાં આવી રહી છે.

મુખ્યમંત્રી દ્વારા ઉચ્ચસ્તરીય બેઠક: ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે, હડતાળ મુદ્દે સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યા બાદ ઓલ ડાયમંડ એસોસિયેશનના સભ્યો મુખ્યમંત્રીને મળ્યા હતા. ત્યારબાદ મુખ્યમંત્રીએ મંત્રીઓ સહિત પાંચ સભ્યોની એક ઉચ્ચસ્તરીય કમિટી બનાવી છે. બીજી બાજુ સુરત જિલ્લા કલેક્ટર અને ડેપ્યુટી લેબર કમિશનરે યુનિયનના હોદ્દેદારો અને ડાયમંડ ઈન્ડસ્ટ્રીના વિવિધ સંગઠનો સાથે બેઠક કરી હતી.

રત્નકલાકારો હડતાળ પાડવા મજબૂર: તમામ બેઠકમાં રત્નકલાકારોના પગાર વધારવા બાબતે ચર્ચા થઈ હતી. આ સાથે ડાયમંડ વર્કર યુનિયન પાસે આપઘાત કરેલા રત્નકલાકારો અંગે માહિતી માંગવામાં આવી હતી. તે પ્રમાણે જાન્યુઆરી 2024થી માર્ચ 2025 સુધીમાં 62 રત્નકલાકારોએ આપઘાત કર્યો હોવાનું લિસ્ટ આપવામાં આવ્યું હતું. તેમ છતાં હજી કોઈ ઉકેલ આવ્યો નથી. જેને પગલે હવે રત્નકલાકારો હડતાળ પાડવા મજબૂર બન્યા હતા.

આંદોલનની આગળની રણનીતિ: ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે, કારીગરોની મજૂરીના ભાવ વધારવા માટે ઉચ્ચ સ્તરીય કમિટી બનાવવી જોઈએ. જેમાં સરકારી અધિકારીઓની સાથે એસડીએ, એસડીબી, જીજેઈપીસીના પદાધિકારી હોવા જોઈએ. પરંતુ કમનસીબી એ છે કે, જ્યારે પણ રત્નકલાકારોના હિતોની વાત આવે છે, ત્યારે આવા સંગઠનો રત્નકલાકારોના પક્ષમાં આગળ આવતા નથી. આ હડતાળ પછી પણ કોઈ હકારાત્મક અભિગમ દાખવવામાં નહીં આવે તો આંદોલનની આગળની રણનીતિ ઘડવામાં આવશે.
આ પણ વાંચો: