નવી દિલ્હી: ગુજરાતમાં નોંધાયેલા કરોડો રૂપિયાના છેતરપિંડી અને બનાવટી કેસનો મુખ્ય આરોપી ઉપવન પવન જૈનને CBI પાછો લાવ્યા છે. UAEમાં ઇન્ટરપોલ અને કાયદા અમલીકરણ અધિકારીઓની મદદથી ઉપવન પવન જૈનને પાછો લાવવામાં CBI સફળ રહી છે. ગુજરાત પોલીસ દ્વારા વોન્ટેડ આરોપી દુબઈથી દેશનિકાલ થયા બાદ 20 જૂને ભારત આવ્યો હતો.
CBIના ઇન્ટરનેશનલ પોલીસ કોઓપરેશન યુનિટ (IPCU) અને અબુ ધાબીમાં નેશનલ સેન્ટ્રલ બ્યુરો દ્વારા 20 જૂન, 2025 ના રોજ આરોપી ઉપવન પવન જૈનને સફળતાપૂર્વક ભારત પરત મોકલવામાં આવ્યો. જૈનને દુબઈથી દેશનિકાલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ગુજરાતના અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મોકલવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, NCB-અબુ ધાબી, CBI અને ઇન્ટરપોલના સક્રિય સમર્થનથી UAE માં તેના સ્થાનની પુષ્ટિ કરવામાં આવી હતી.
કઈ રીતે આરોપીએ કરી છેતરપિંડી:
આરોપી ઉપવન પવન જૈન અને તેના સહ-આરોપીઓ દસ્તાવેજો બનાવટી કરવામાં સામેલ હતો. જ્યારે ફરિયાદીને હેરાન કરવા માટે કાવતરું ઘડવામાં આવ્યું હતું, તે સમયે આરોપી રિયલ એસ્ટેટ એજન્ટ તરીકે કામ કરતો હતો. ફરિયાદીને ચાર અલગ અલગ મિલકતો બતાવી તે મિલકતો ખરીદવા માટે સફળતાપૂર્વક સમજાવ્યો. ત્યારબાદ તેણે તેના સહયોગીઓને ખોટી ઓળખ ધારણ કરવા અને વાસ્તવિક મિલકતના માલિકો તરીકે રજૂ કરવાની મંજૂરી આપી અને વ્યવસ્થા કરી હતી. ત્યારબાદ નકલી ઓળખ દસ્તાવેજોનો ઉપયોગ કરીને, તેઓએ વાસ્તવિક મિલકત માલિકોના નામે બેંક ખાતા ખોલ્યા. આ છેતરપિંડીમાં આરોપીએ કુલ રૂ. 3,66,73,000 વસૂલ કર્યા હતા.
ગુજરાત પોલીસની વિનંતીના આધારે 6 માર્ચ, 2023 ના રોજ ઇન્ટરપોલ દ્વારા જૈન સામે રેડ નોટિસ જારી કરવામાં આવી હતી. યુએઈમાં તેની ધરપકડ બાદ ભારત સરકારે ગૃહ મંત્રાલય અને વિદેશ મંત્રાલય દ્વારા પ્રત્યાર્પણની માંગ કરી હતી.
શું હોય છે રેડ નોટિસ ?
ઇન્ટરપોલ દ્વારા જારી કરાયેલ રેડ નોટિસનો ઉપયોગ વૈશ્વિક સ્તરે વોન્ટેડ ભાગેડુઓને ટ્રેક કરવા માટે થાય છે. ભારતમાં CBI ઇન્ટરપોલ ચેનલો દ્વારા ભારતની તમામ કાયદા અમલીકરણ એજન્સીઓ સાથે સહાય માટે સંકલન કરે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ઇન્ટરપોલ ચેનલો દ્વારા 100 થી વધુ વોન્ટેડ ગુનેગારોને ભારતમાં લાવવામાં આવ્યા છે.