વડોદરાઃ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ચોકારી ગામે કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા એક 70 વર્ષના વૃદ્ધ કુબેરભાઈ જબુરભાઈ ગોહિલની ખૂબજ નિર્દય રીતે હત્યા કરવામાં આવી છે. તેમજ હત્યારા એટલી હદ વટાવી ચુક્યા કે શરીરથી માથું અલગ કરીને સાથે લઈ ગયા હોવાનું સામે આવ્યું છે. જેને કારણે સમગ્ર પંથકમાં ભારે શોકની લાગણી પ્રસરી હતી. આ સમગ્ર ઘટના ઉપરથી લોકો એટલી હદ સુધી પહોંચી ગયા છે કે કોઈક નિર્દય ભર્યું કામ કરતાં પણ લોકોને હવે ડર રહ્યો નથી તે ફલીત થઈ રહ્યું છે.
કુબેરભાઈને ગામ લોકોને છેલ્લે શોભાયાત્રામાં જોયા હતા
પાદરા તાલુકાના ચોકારી ગામે બનેલી ઘટનામાં જાણવા મળતી માહિતી મુજબ કૃષ્ણનગરના રહેવાસી કુબેરભાઈ તેમના પુત્રના મૃત્યુ પછી ખેતરમાં ઘરમાં એકલા રહેતા હતા. તેઓ ખેતી સાથે ખેતરમાં આવતા વાંદરાઓ પાકથી બચાવવાનું કામ પણ કરતા હતા. હાલમાં ગામમાં દાજીબાવાના પરા વિસ્તારમાં ભાથીજી મહારાજના પાટોત્સવની ઉજવણી ચાલી રહી હતી. ત્યારે આ નીકળેલી શોભાયાત્રામાં કુબેરભાઈને ગામ લોકોએ છેલ્લે જોવા મળ્યા હતા. ત્યાર પછી તે ક્યાં ગયા તે પણ કોઈને ખબર હતી નહીં.
પુત્રના અવસાન બાદ એકલા રહેતા
પરિવાર પાસે મળતી માહિતી અનુસાર મૃતકના દીકરા મોજનનું 25 વર્ષની નાની વયે બિમારીથી અવસાન થયા બાદ એકલા રહેતા પિતાને મળવા ચોકારી ગામથી ત્રણ કિલોમીટર દૂર આવેલા સોમજીપુરા ગામની સીમમાં પરિવાર સાથે રહેતી દીકરી કોકીલાબેન અર્જુનભાઇ પઢીયાર પુત્ર વિજય સાથે અવારનવાર આવતી હતી. પરંતુ છેલ્લે ગત શનિવારે (12 એપ્રિલેા) તે પિતાને મળી હતી.
ઘરમાંથી કોઇ પ્રતિસાદ ના મળતા દરવાજો ખોલ્યો
આસપાસના ખેતરમાં વાંદરાઓના ઉપદ્રવને કારણે દેખરેખ રાખતા સમયે સીમ વિસ્તારમાં એકલા રહેતા કુબેરભાઈના ઘરની નજીક બૂમાબૂમ કરવામાં આવી હતી. પરંતુ ઘરમાંથી કોઇ પ્રતિસાદ ન મળતા દરવાજો ખોલીને અંદર જઈને જોતા માથા વિનાનું ધડ જોવા મળતા આસપાસના રહીશો ચોંકી ઉઠ્યા હતા. જેથી સ્થાનિક રહીશોએ વડુ પોલીસને જાણ કરાઈ હતી.

ગ્રામજનોમાં સન્નાટો છવાઈ ગયો
વડુ પોલીસ સહિત પોલીસના ઉચ્ચ અધિકારી સહિત એલસીબી, એસઓજી સહિતની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી. ડૉગ સ્ક્વોડ, ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ અને અન્ય એજન્સીઓની મદદથી તપાસ ચાલી રહી છે. પરંતુ મહત્વની વાત છે કે આ હત્યારાઓ ખૂબ જ નિર્દયતા ભયું કામ એ કયું કે મૃત્યુ પછી મૃતકનું માથું પણ સાથે લઈ ગયા છે. જેને પગલે ગ્રામજનોમાં સન્નાટો છવાઈ ગયો. મૃતક કુબેરભાઈની પુત્રીએ આ અંગે વડુ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
પોલીસે પરિવારજનોની પૂછપરછ આદરી
જાણવા મળતી માહિતી મુજબ મૃતક કુબેરભાઇ ગોહિલ સહિત ત્રણ ભાઇઓ છે. ત્રણેય ભાઇઓ વચ્ચે અઢી વિઘા જમીન હતી. ભાગ પડ્યા બાદ ત્રણેય ભાઇઓ પોતાની રીતે ખેતી કરે છે. એક ભાઇ ચંદુભાઇ ગોહિલનું અવસાન થયેલું છે. તેમના બીજા ભાઇ લક્ષ્મણભાઇ તેમના પરિવાર સાથે ચોકારી ગામની સીમમાં રહે છે. પોલીસે આ ઘટના બાબતે પરિવારજનોની પણ પૂછપરછ કરી હતી.