ભરૂચ : અંકલેશ્વર અને હાંસોટ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભૂંડના ત્રાસના કારણે ખેડૂતો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે. ભૂંડના ટોળેટોળા ખેડૂતોના ઉભા પાકને નુકસાન પહોંચાડી રહ્યા છે, જેના કારણે ધરતીપુત્રોએ આર્થિક નુકશાન સહન કરવાનો વારો આવી રહ્યો છે.
ભરૂચમાં ભૂંડનો ત્રાસ : ધરતીના તાત માટે હવે ખેતી કરી જીવન નિર્વાહ કરવો અત્યંત મુશ્કેલ થઈ પડ્યો છે. ક્યારેક કમોસમી વરસાદ, તો ક્યારેક પાકમાં રોગ આવી જવો અને ક્યારેક પાકનો પોષણ સંભભાવ ન મળવો, આ તમામ સમસ્યા તો ઉભી છે. ત્યાં એક નવી જ સમસ્યા જોવા મળી રહી છે. અંકલેશ્વર હાંસોટ પંથકમાં ખેડૂતો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને તેનું કારણ છે, જંગલી ભૂંડ અને નીલગાય.
ઉભા પાકનો ડાટ વાળ્યો : અંકલેશ્વરના બોરભાઠા સજોદ, ધંતુરીયા, નવા તરિયા તો હાંસોટના શેરા સુણેવ, સાહોલ અને ઇલાવ સહિતના ગામોમાં જંગલી ભૂંડનો ત્રાસ એટલી હદે વધી ગયો છે કે ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ છે. જંગલી ભૂંડ ઝુંડ બનાવી ખેતરમાં પ્રવેશે છે અને શેરડી, શાકભાજી સહિતના પાકનો દાટ વાળી દે છે.
ફેન્સીંગ પણ ફેલ થયા : માદા ભૂંડ એક સાથે 8થી 10 બચ્ચાને જન્મ આપે છે અને તેમાં મૃત્યુદર પણ ઘણો ઓછો હોય છે, જેના કારણે જંગલી ભૂંડનો ત્રાસ દિનપ્રતિદિન વધી રહ્યો છે. આ અંગે ખેડૂતોના જણાવ્યા અનુસાર તેમના ખેતરમાં કાંટાવાળા તારની ફેંસીંગ કરવામાં આવી છે. આ ઉપરાંત ઝાટકા મશીનનો પણ ઉપયોગ કરવા છતા તેઓના પાકનું રક્ષણ થઈ શકતું નથી.
ખેડૂતોના જીવને પણ ખતરો : ખેડૂતોના ખેતરોને જંગલી ભૂંડના ટોળાએ ઘર બનાવી લીધું છે અને ખેડૂતોના ઉભા પાકનો નાશ કરી રહ્યા છે. જંગલી ભૂંડ સામે બાથ ભીડવામાં ખેડૂતોને જાનનો ખતરો પણ છે. તાજેતરમાં જ અંકલેશ્વરના પારડી ગામે ભૂંડના હુમલામાં એક વ્યક્તિનું પણ નીપજ્યું હતું.
સરકાર આપી રહી છે સહાય : આ અંગે ભરૂચ જિલ્લા ખેતીવાડી અધિકારી કુલદીપ વાળાએ જણાવ્યું હતું કે, જંગલી પશુઓ સામે રક્ષણ માટે સરકાર ખેડૂતોને કાંટાળી વાડ અને ઝાટકા મશીન મૂકવા સહાય આપી રહી છે. જે અંતર્ગત ગત વર્ષે રૂ. 1 કરોડ કરતા વધુની સહાય આપવામાં આવી છે.