ભાવનગર: જિલ્લો ડુંગળી પકવવાનું પીઠું ગણવામાં આવે છે. અહીં ખેડૂતો લાલ અને સફેદ બે પ્રકારની ડુંગળીનું વાવેતર કરે છે. ગરમીની ઋતુમાં ડુંગળીની માંગ સામાન્ય રીતે વધુ જોવા મળે છે. આ બંને પ્રકારની ડુંગળીઓ ગ્રાહકો તેમના સ્વાદ અનુસાર ખરીદતા હોય છે. જોકે મળતી માહિતી અનુસાર, ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની આવક ઘટી છે જ્યારે સફેદની આવક બમણી થઈ છે. આમ છતાં બંને ડુંગળીના બજાર ભાવમાં ઘટાડો આવ્યો છે.
હાલમાં લાલ ડુંગળીની આવક ધીરે ધીરે ઘટતી જાય છે. બીજી તરફ સફેદ ડુંગળીની આવક મહુવામાં વધતી જાય છે. લાલ ડુંગળીની આવક ઘટી ગઈ છે ત્યારે તેના ભાવમાં પણ ઘટાડવા આવી ગયો છે. પરંતુ બીજી તરફ સફેદ ડુંગળીની આવક વધારે પ્રમાણમાં હોવા છતાં પણ ભાવ ઘટી જતા ખેડૂત કલ્યાણ સંગઠનના પ્રમુખ મેદાનમાં ઉતર્યા છે. જોકે આ બંને ડુંગળીના ભાવ ઘટવા પાછળનું કારણ જાણવાનો પ્રયાસ ઈટીવી ભારતે કર્યો છે, ચાલો જાણીએ...
લાલ ડુંગળીના ભાવ અને આવક બંને ઘટ્યા: ભાવનગર જીલ્લો ડુંગળી પકવવાનું પીઠું કહેવામાં આવે છે. અહીં સૌથી વધારે પ્રમાણમાં લાલ ડુંગળીનું વાવેતર થાય છે. ત્યારે હાલમાં ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક ઘટી ગઈ છે.
યાર્ડ સેક્રેટરી અરવિંદ ચૌહાણએ જણાવ્યું હતું કે, 'ડુંગળીની આવક હાલમાં ઘટી ગઈ છે. અમારે હોળી પહેલા 55,000 થી 60,000 ગુણીની આવક થતી હતી. પરંતુ હોળી બાદ યાર્ડ શરૂ થતા ડુંગળીની આવક માત્ર 21,000 થી 25,000 ગુણી થઈ ગઈ છે. જોકે બીજી તરફ અન્ય રાજ્યોમાં નવી ડુંગળીની આવક શરૂ થવાને કારણે સ્થાનિક કક્ષાએ ડુંગળીની માંગ ઘટતા ભાવ 300 થી 325 ની વચ્ચે રહેવા પામ્યા છે. ત્યારે ઊંચા ભાવ 500 ની આસપાસ હતા. આગામી દિવસોમાં ધીરે ધીરે ડુંગળીની આવક એકદમ બંધ થઈ જશે.'

સફેદ ડુંગળીની આવક પણ ભાવ ઘટ્યા: ભાવનગર જિલ્લામાં એક માત્ર મહુવા તાલુકામાં સફેદ ડુંગળીનું વાવેતર થાય છે ત્યારે મહુવા યાર્ડમાં સફેદ ડુંગળીની આવક 1 લાખ ગુણીની આસપાસ થઈ રહી છે. તેવામાં હોળી પછી અચાનક ઘટેલા ભાવને લઈને ખેડૂત કલ્યાણ સંગઠન મેદાનમાં આવી ગયું છે.
ખેડૂત કલ્યાણ સંગઠનના પ્રમુખ ભરતસિંહ વાળાએ જણાવ્યું હતું કે, 'ડુંગળીના ભાવ 250 થી 300 રૂપિયા હતા. રાતોરાત 200 થી 215 થઈ ગયા. એક રાતમાં એવી શું અછત ઊભી થઈ એ પ્રશ્ન છે. કારણ કે સફેદ ડુંગળી માત્ર મહુવાના ડિહાઇડ્રેશન પ્લાન્ટમાં જ ઉપયોગમાં લેવામાં આવે છે અન્ય જગ્યાએ તેની કોઈ માંગ રહેતી નથી. આમ છતાં ભાવ ઘટવા પાછળનું કારણ શું ? અમે ખેડૂત કલ્યાણ સંગઠન વતી યાર્ડમાં જઈએ ત્યારે અચાનક જ ભાવ વધારી દેવામાં આવે છે. પરંતુ ત્યારબાદ ભાવ ઉતરી જતા હોય છે જેને લઈને અમે વિરોધ વ્યક્ત કર્યો છે. અમારો આક્ષેપ છે કે ભાવ દબાવી દેવામાં આવી રહ્યો છે.

મહુવા યાર્ડના ચેરમેને કર્યો ખુલાસો: ખેડૂત કલ્યાણ સંગઠનના આક્ષેપને પગલે મહુવા માર્કેટિંગ યાર્ડના ચેરમેન ગભરુભાઈ સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, 'ડુંગળીના ભાવ ઊંચા નીચા રહેતા હોય છે. એને ક્યારેય કોઈ પદાધિકારીઓ દબાવી શકે નહીં. ભરતસિંહ વાળાનો આક્ષેપ કરવાનો પહેલેથી સ્વભાવ છે. માંગ ન રહેતી હોવાથી ભાવ ઘટતા હોય છે. પરંતુ હાલમાં તો ડિહાઇડ્રેશન વાળાને તાતી જરૂરિયાત હોવાથી તે લોકો ખરીદી કરી રહ્યા છે. એવું બને કે ક્યારેક વેપારીઓ દ્વારા થોડો ઘણો ભાવ દબાવવામાં આવે પરંતુ મોટાપાયે દબાવી શકાય એ અશક્ય બાબત છે. હાલમાં સફેદ ડુંગળીની આવક 1 લાખથી 1.25 લાખ આસપાસ થઈ રહી છે. જેના ભાવ 200 થી 250 ખેડૂતોને મળી રહ્યા છે. જ્યારે લાલ ડુંગળીની આવક 70,000 થી 80,000 ગુણ હતી તે ઘટીને હવે 30,000 થી 35,000 થઈ છે તેમાં પણ ઊંચા ભાવ 250 થી 350ની વચ્ચે મળી રહ્યા છે.
આ પણ વાંચો: