ભાવનગર: ભાવનગરના છેવાડે ભાલ વિસ્તારમાં આવેલા કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં અનેક વખત શિકાર કરતા લોકો ઝડપાઈ ચુક્યા છે. ત્યારે વન વિભાગ દ્વારા જંગલી ભૂંડની શિકાર કરતી ટોળકીને પકડી લેવામાં આવી છે.વન વિભાગે આ ટોળકીને ઝડપીને ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.
વરતેજ-કમળેજ રોડ પર ઝડપાયું વાહન
ભાવનગરની કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનની વન વિભાગની ટીમને બાતમી મળી હતી કે જુનાગઢ, ઉના અને અલંગ થી નીકળેલી અજમેર તરફ જતી કેસરી કલરની આઇસર ટ્રક ભાવનગર જિલ્લાના સનેસ રાઉન્ડ નારી બીટમાં આવતા વરતેજ કમળેજ ગામ રોડ વચ્ચે થી પસાર થતી હોય જેને બાતમીને પગલે સ્થળ ઉપરથી ઝડપી લેવામાં સફળતા મેળવી હતી. જેમાં વન્ય પ્રાણીઓ નીકળતા વન વિભાગે ધોરણસર કાર્યવાહી કરી છે.
આઇસર ટ્રકમાં જંગલી ભૂંડ બંધ અવસ્થામાં
વન વિભાગે વરતેજ કમળેજ રોડ ઉપર RJ 1GC 3683 આઇસર ટ્રકને શંકાના આધારે ઊભા રાખીને તપાસ કરતા તેમાંથી વન્યપ્રાણી જંગલી ભૂંડ ગેરકાયદેસર રીતે પકડેલા અને બંધ અવસ્થામાં રાખી અજમેર તરફ જતા હોવાનું સામે આવ્યું હતું. જેથી ડ્રાઇવર સહિત અન્ય શખ્સને ઝડપી વન્ય સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.