ભાવનગર દક્ષિણા મૂર્તિ બાલમંદિરનો પ્રેરણાદાયક ઈતિહાસ, બાળકોને પ્રત્યક્ષ અનુભવથી અપાય છે શિક્ષણ
ભાવનગરનું આ બાલમંદિર આજે 105 વર્ષનું છે. ટેકરી ઉપર અને વૃક્ષોની ઘટામાં આજે પણ બાળકો અહીંયા એજ 105 જૂની પદ્ધતિથી અભ્યાસ કરે છે

Published : September 3, 2025 at 9:02 PM IST
ભાવનગર : બાળકનું ઘડતર અને તેને મળવા પાત્ર શિક્ષણ સાથે શિક્ષણ આપવાની પ્રથા 105 વર્ષ પહેલાં ભાવનગરની ધરા ઉપર શરૂ થઈ હતી. ભાવનગરનું આ બાલમંદિર આજે 105 વર્ષનું છે. ટેકરી ઉપર અને વૃક્ષોની ઘટામાં આજે પણ બાળકો અહીંયા એજ 105 જૂની પદ્ધતિથી અભ્યાસ કરે છે. ચાલો જાણીએ શિક્ષક દિવસ પર આ વિશેષ અહેવાલ
ભાવનગરના એવા શિક્ષક વિશે કે જેને ઉપનામ મુછાળી માનુ મળ્યું છે. ભાવનગરમાં 100 વર્ષ પહેલા બાલમંદિરની સ્થાપના કરનાર અને દેશની 2020ની નવી શિક્ષણ નીતિમાં પણ તેમની પદ્ધતિને કેન્દ્ર સરકારે સ્વીકારીને સ્થાન આપ્યું છે, તેવા ગીજુભાઈ બધેકાની વિશે વાત કરવી છે. આ બાલમંદિર ભાવનગર શહેરનું સૌથી પૌરાણિક બાલમંદિર છે, ત્યારે બીજું કાંઈ જીવનનું શિક્ષણ અને ઘડતર કઈ રીતે કરતા હતા. તે આજે પણ 21મી સદીમાં ચાલ્યું આવે છે.
1920માં થઈ દક્ષિણામૂર્તિ બાલમંદિરની સ્થાપના : ભાવનગર શહેરમાં આવેલા દક્ષિણા મૂર્તિ બાલ મંદિરના ટ્રસ્ટી પ્રશાંતભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે, 1910માં નાનાભાઈ ભટ્ટે દક્ષિણા મૂર્તિની સ્થાપના કરી, ત્યારે તેઓ પ્રોફેસર હતા. કોલેજમાં અપાતું શિક્ષણ અધૂરું હોવાને કારણે તેમને પ્રથમ છાત્રાલય બનાવ્યું, ત્યારબાદ વિદ્યાલયની સ્થાપના કરી હતી. જો કે ત્યારબાદ 1916માં ગિજુભાઈ તેમની સાથે જોડાયા. ગિજુભાઈને બાળકેળવણીમાં રસ વધારે હતો. આથી તેમને 1920માં બાલમંદિરની સ્થાપના કરી અને તેઓ આચાર્ય તરીકે રહ્યા હતા.

બાળ કેળવણી માટે અભ્યાસ કરી નવી પદ્ધતિ લાવ્યા : પ્રશાંતભાઈ ભટ્ટે વધુમાં જણાવ્યું કે, ગીજુભાઈ બધેકાએ બાળ કેળવણીના લઈને મેડમ મોન્ટેસરી અને અન્ય બાળક કેળવણીકારોનો અભ્યાસ કર્યો હતો. ભારતીય સંસ્કૃતિને અનુરૂપ બાળકેળવણી કેવી હોવી જોઈએ, તેના ઉપર વિચાર કરી તેમને અમલવારી કરી હતી. જેમાં મુખ્યત્વે બાળકોમાં સ્વતંત્રતા હોવી જોઈએ. બાળકો મુક્ત રીતે હોવા જોઈએ, બાળકોને ખીજાવું ના જોઈએ તેમજ બાળકોને મારવો પણ ના જોઈએ. આમ આ પ્રકારના પાયાના સિદ્ધાંતો તેમને બનાવ્યા હતા.

આજની શિક્ષણ નીતિમાં સમાવેશ : દેશમાં રહેલી નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારે તાજેતરમાં જ 2020માં નવી શિક્ષણ નીતિ અમલમાં મૂકી છે. બાલમંદિરના ટ્રસ્ટી પ્રશાંતભાઈ ભટ્ટે જણાવ્યું કે, બાળક ખીલવું જોઈએ, એ માટે ગિજુભાઈ બધેકા, મેડમ મોન્ટેસરીથી પણ આગળ એક પગલું ભરી ચૂક્યા હતા. દેશમાં તાજેતરમાં NEP નેશનલ એજ્યુકેશન પોલીસી 2020 આવી તેમાં ગિજુભાઈની બાળ કેળવણીની પદ્ધતિને 80 ટકા સ્વીકાર કરાયો છે. અમારી સંસ્થાને 115 વર્ષ થયા છે. જ્યારે આ બાલમંદિરને 105 વર્ષ થયા છે. હાલમાં આ સંસ્થામાં 700 જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે.

બાળકોને શિક્ષણ પ્રત્યક્ષ અને રમતા રમતા : દક્ષિણા મૂર્તિ શાળાની સંસ્થામાં 34 વર્ષથી જોડાયેલા અને આચાર્ય તરીકે રહેલા પ્રવિણાબેન વાઘાણીએ જણાવ્યું કે, ગિજુભાઈ બધેકાએ પાશ્ચાત્ય કેળવણીકારની સારી બાબતોને લઈને ભારતીય સંસ્કૃતિમાં લાવીને અમલ કર્યો હતો. જેમાં જીવન શિક્ષણ, રંગ ,ભાષા, આકાર ,ગણિત શિક્ષણ વિશ્વની જગતની અનેક માહિતીઓ પછી તે પ્રાણી જગત હોય, પશુ જગત હોય બધાની અનુભૂતિ પ્રત્યક્ષ કરાવવાનો પ્રારંભ કર્યો. પછી પંચમહાભૂતના તત્વો પણ હોય તો તેની અનુભૂતિ કરાવવામાં આવે છે.

બાળકોને આ સાથે યુક્તિ, પ્રયુક્તિ, સંગીત, રમત, ઉદ્યોગ, પ્રવાસ અને વિવિધ આયામ દ્વારા તેમનામાં મૂકવામાં આવ્યા. માના ખોળામાંથી શિક્ષકના ખોળામાં બાળક સરી પડે ત્યારે હૃદયના તાતણા બંધાય તેવા પ્રયત્નો કર્યા છે.

આ પણ વાંચો :

