ભરૂચ: ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનાર આરોપી રામુ પ્રભુદયાલ રાજપૂતને અંકલેશ્વરની એડિશનલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ સ્પેશ્યલ પોક્સો કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. સાથે જ બાળકીને ગુજરાત વિક્ટિમ કમ્પેન્સેશન સ્કીમ હેઠળ રૂ. 7 લાખ વળતર ચૂકવવા તેમજ રૂ.1 લાખનો દંડ આદાય કરવાનો પણ હુકમ કર્યો છે. દંડ નહીં ભરે તો આરોપીને વધુ બે મહિના સુધી કેદમાં રહેવું પડશે.
શું હતી સમગ્ર ઘટના?
આ ઘટના 19 ઓગષ્ટ, 2023ના રોજ અંકલેશ્વર ખાતે બની હતી. આરોપી રામુ પ્રભુદયાલ રાજપૂત (ઉ. વ. ૫૦), મૂળ ઉત્તર પ્રદેશનો નિવાસી અને હાલ અંકલેશ્વરમાં રહેતો હતો. જેણે પોતાના પડોશમાં રહેતી માત્ર ત્રણ વર્ષની બાળકી સાથે રમાડવાના બહાને તેને નજીકના નવા બંધાતા મકાનમાં લઈ ગયો હતો. જ્યાં તેણે બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું.
જ્યારે બાળકીના પરિવારજનોએ ઘટનાની જાણકારી મેળવી, ત્યારે તેમણે તાત્કાલિક અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા પોક્સો એક્ટ સહિત દુષ્કર્મની વિવિધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારપછી ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી હતી.
સાક્ષી-પુરાવાના આધારે કોર્ટે ફટકારી સજા
આ કેસની સુનાવણી અંકલેશ્વરની એડિશનલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ સ્પેશ્યલ પોક્સો કોર્ટના નામદાર ન્યાયમૂર્તિ એસ.ડી. પાંડેની અધ્યક્ષતામાં થઇ હતી. સરકારી વકીલ પિયુષ રાજપૂતે જુબાની સાક્ષી, મેડિકલ પુરાવા અને પોલીસ તપાસના આધારે આરોપીની વિરુદ્ધ મજબૂત દલીલો આપી હતી. જે બાદ કોર્ટે રામુ રાજપૂતને આજીવન કેદની સજા ફટકારી હતી.
ન્યાય માટેની લડતના મહત્ત્વના મુદ્દા: સરકારી વકીલ પિયુષ રાજપૂતે જણાવ્યું હતું કે, "આપણે ન્યાય માટે લડી રહ્યા હતા, માત્ર ગુનેગારને સજા માટે નહીં પરંતુ નિર્દોષ બાળકીના ભવિષ્ય માટે પણ. આ ચુકાદો સમાજમાં કડક સંદેશો આપે છે કે નાબાલિકો પર આવા જઘન્ય ગુનાઓ કરવા વાળાને રાહત નહીં મળે."
આ પણ વાંચો: