બનાસકાંઠા: પાલનપુરથી અંબાજીને જોડતા મુખ્ય રોડ ઉપર મેરવાડા નજીક આવેલ પુલ ઉપર આજે અચાનક ગાબડું પડ્યું હતું. જેના કારણે એક તરફનો માર્ગ બંધ કરવામાં આવતા વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. પોલીસે બેરીકેટ લગાવીને ટ્રાફિક જામ ન સર્જાય તે રીતે એક તરફ માર્ગે વાહનોને ડાયવર્ટ કરી વાહન વ્યવહાર ચાલુ રાખ્યો હતો.
પાલનપુરથી અંબાજીને જોડતા મુખ્ય રોડ ઉપર રતનપુર મેરવાડા ગામના વચ્ચે ઉમરદશી નદી ઉપર વર્ષો જૂનો બ્રિજ આવેલા છે. આ બ્રિજ ઉપર આજે સવારે અચાનક જ ગાબડું પડ્યું હતું અને ગાબડું પડતા વાહન ચાલકોમાં જોખમી બનેલા પૂલના કારણે અકસ્માતની વીતી સેવવામાં આવી હતી. ત્યારે આ અંગેની જાણ થતાં તાત્કાલિક તાલુકા પોલીસ અને તંત્રની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી, અને એક તરફનો માર્ગ ચાલુ કરીને ટ્રાફિક જામ ન થાય તે રીતે વાહનોને ડાયવર્ટ કરી વાહન વ્યવહાર ચાલુ રાખવામાં આવ્યો હતો.
પાલનપુરથી અંબાજી સહિત રાજસ્થાન અને સાબરકાંઠાને જોડતો આ મુખ્ય માર્ગ હોવાથી રાત દિવસ આ રોડ પર ભારે વાહનોની અવરજવર હોય છે. ત્યારે એક તરફનો માર્ગ બંધ થતા વાહનોની લાંબી કતારો આજે બ્રિજ નજીક જોવા મળી હતી. જોકે પોલીસે બેરીકેટ લગાવી યોગ્ય રીતે વાહન વ્યવહાર ચાલુ રાખ્યો હતો અને તંત્ર દ્વારા JCBની મદદથી ગાબડું પુરવાની કામગીરી પુરઝડપે શરૂ કરવામાં આવી હતી.
માર્ગ મકાન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, 'બ્રિજમાં નહીં પરંતુ એપ્રોચ એટલે કે જે બ્રિજના પુરાણની જગ્યા છે ત્યાં ગાબડું પડ્યું છે જે એટલું જોખમી નથી.'
આસપાસના ગામમાં રહેતા અને સ્થાનિક લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ઉમરદશી નદી પર બનેલ આ બ્રિજ અંદાજે 65 વર્ષ જૂનો બ્રિજ છે. જે જર્જરિત અને જોખમી બનેલો છે સરકારમાં અગાઉ પણ રજૂઆત કરવામાં આવી છે ત્યારે સરકારે રજૂઆતોને ધ્યાને લઈ નવીન બ્રિજ બનાવવા માટેની મંજૂરી આપી છે. પરંતુ નવો બ્રિજ બને તે પહેલા જ અહીંયા ગાબડું પડ્યું છે. આ બ્રિજ હજુ વધુ જોખમી બને તે પહેલા આ બ્રિજ નવીન બનાવવામાં આવે તેવી માંગ કરી હતી.
જોકે વાહન ચાલકોએ પણ કહ્યું કે, આજે ગાબડું પડવાના કારણે લાંબી કતારો લાગી છે અને વાહન ચાલકોને હાલાકી મુશ્કેલીઓ પડી રહી છે તેમને વધુમાં કહ્યું કે, બ્રિજ સાંકડો હોવાના કારણે તકલીફ પડી રહી છે.
મેરવાડા નજીક આજે બ્રિજ પર પડેલા ગાબડાના કારણે વાહન ચાલકોને મુશ્કેલી બેઠવી પડી હતી કલાકો સુધી લાંબી કતારોની પરિસ્થિતિથી એક માર્ગ ઉપર વાહન વ્યવહાર ચાલુ રાખવામાં આવ્યો હતો જોકે અસહ્ય ગરમી વચ્ચે તાલુકા પોલીસ ટીમના કર્મીઓ પણ એક તરફના માર્ગ પર વાહનવ્યવહાર ડાયવર્ટ કરી સલામતી રીતે વાહન વ્યવહાર પસાર કરવામાં અથાગ મહેનત કરી હતી જ્યારે તંત્ર દ્વારા જેસીબીની મદદથી આ ગાબડું પુરવાની કામગીરી પણ શરૂ કરાઈ હતી.
આ પણ વાંચો: