જૂનાગઢ: મે મહિનાના પ્રથમ પખવાડિયામાં એશિયામાં એકમાત્ર જોવા મળતા ગીરના સિંહની વસ્તી ગણતરી હાથ ધરાશે. વન વિભાગ સામાજિક સંસ્થા અને NGOની સાથે આધુનિક સાધનો કેમેરા અને વિષય નિષ્ણાંત વ્યક્તિઓની હાજરીમાં વન વિભાગ સિંહની વસ્તી ગણતરી શરૂ કરશે. જેમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 10 થી 12 ટકા જેટલા સિંહોની સંખ્યામાં સંભવત વધારો થઈ શકે છે.
મે મહિનાના પહેલા પખવાડિયામાં સિંહોની ગણતરી
પાંચ વર્ષ બાદ ફરી એક વખત મે મહિનાના પ્રથમ પખવાડિયામાં સિંહોની ગણતરી હાથ ધરાવા જઈ રહી છે. વન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે એક વખત મે મહિનાના પ્રથમ પખવાડિયામાં કે જેને ચૈત્ર મહિનાનું અજવાડીયું પણ માનવામાં આવે છે. આ મહિનામાં પૂનમની આસપાસ ગણતરી શરૂ થવાનો અંદાજ છે. આ સમય દરમિયાન ભૌગોલિક અને અન્ય પરિબળો સિંહોની સ્પષ્ટ ગણતરી કરી શકાય, તે માટે અનુકૂળ હોવાથી પણ આ સમયગાળો નક્કી કરવામાં આવી રહ્યો છે.

વન વિભાગ દ્વારા નિર્ધારિત કરેલા માનાંકો પર થશે ગણતરી
વન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે સિંહની વસ્તી ગણતરી કરવા માટે ચોક્કસ સમય નિર્ધારિત કરવામાં આવે છે. જેને ધ્યાને રાખીને પાનખર પ્રકારના જંગલોનો ફાયદો મળી શકે તેમજ ઉનાળા દરમિયાન જંગલની ગીચતા ઓછી દેખાતા કૃત્રિમ પાણીના સ્ત્રોત પર સિંહ એકદમ સહેલાઈથી જોવા મળી શકે તે માટે ચંદ્રના અજવાળામાં અજવાળીયા પક્ષમાં સિંહની ગણતરી પરંપરાગત રીતે થતી હોય છે. સિંહ નિશાચર પ્રાણી હોવાને કારણે પણ રાત્રિના સમયે ચોક્કસ પણે જોવા મળી શકે છે. વધુમાં ઓછી ગરમી હોવાને કારણે પણ રાત્રિના સમયે સિંહ અને ગણતરી સાથે જોડાયેલા અધિકારી અને કર્મચારીઓને પણ અનુકૂળતા પડે તે માટે ખાસ અજવાળીયા પખવાડિયામાં ગણતરી હાથ ધરાતી હોય છે.

માનવ બળ અને વિવિધ સાધન સંસાધનનો ઉપયોગ
વન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે સિંહની વસ્તી ગણતરીમાં આધુનિક સાધન સંસાધનોની સાથે એનજીઓ અને માનવબળનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. વન વિભાગના કર્મચારી અને અધિકારીઓની સાથે વન વિભાગમાં કામ કરી ચૂકેલા પૂર્વ ઉચ્ચ અધિકારીઓ જિલ્લા કક્ષાના અધિકારી અને પૂર્વ કર્મચારીઓની સાથે સામાજિક સંસ્થા અને આધુનિક સમયમાં ઉપયોગમાં લેવામાં આવતી ટેકનોલોજી જીપીએસ રેડીયો કોલર સેટેલાઈટ સર્વે કેમેરા સહિત બીજા કેટલાક સાધનોની મદદથી સિંહોની વસ્તી ગણતરી થનાર છે.

પૂર્વ વન સંરક્ષકે આપી વિગતો
વન વિભાગના પૂર્વ મુખ્ય વન સંરક્ષક ડૉ ઉદય વોરાએ ETV Bharatને ટેલિફોનીક વાતચીતમાં એક્સક્લુઝિવ વિગતો આપવા જણાવ્યું હતું કે, તેઓ વર્ષ 85થી લઈને 2015 સુધી સતત પાંચ વખત સિંહોની વસ્તી ગણતરીમાં સામેલ થયા છે. દર વખતે વસ્તી ગણતરીના ધારા ધોરણો લગભગ સરખા હોય છે. પરંતુ તેમાં આધુનિક સમયને અનુરૂપ ટેકનોલોજીની સાથે સાધન સંસાધનોનો ઉપયોગ દર વર્ષે યોગ્યતા અને જરુરીયાત મુજબ કરવામાં આવતો હોય છે. જેમાં આધુનિક સાધનો અને કેટલાક કિસ્સામાં સામાજિક સંસ્થાઓના અગ્રણીઓને પણ સામેલ કરવામાં આવતા હોય છે.

પૂર્વ મુખ્યવન સંરક્ષકે આપી વિગતો
પૂર્વ મુખ્ય વન સંરક્ષક ડૉ. ડી.ટી વસાવડાએ ETV Bharat સાથે ટેલિફોનીક વિગતો આપતા જણાવ્યું હતું કે, વર્ષ 2020 માં થયેલી છેલ્લી સિંહની વસ્તી ગણતરી કોરોના સંક્રમણને કારણે માત્ર પૂનમ અવલોકન થકી કરવામાં આવી હતી. જેમાં સિંહોની સંખ્યા 523થી વધીને 674 જેટલી નોંધાઇ હતી. જેમાં પાણીના કુંડા નજીક સિંહોની ગણતરી કરવી એકદમ સરળ અને ચોક્કસ માનવામાં આવે છે. આ સિવાય જંગલ અને રેવન્યુ બીટમાં વન વિભાગના કર્મચારીઓનું યુનિટ બનાવીને સિંહોની ગણતરી થતી હોય છે. ખાસ કરીને પીવાના પાણીની જગ્યા પર એક માચડો બનાવીને ત્યાં મુખ્ય ગણતરી કારની સાથે બે સહાયક ગણતરીકાર હાજર રાખવામાં આવે છે. આ સિવાય એ.સી.એફ, ડી.સી.એફ અને સરકાર સમગ્ર ગણતરી પ્રક્રિયા પર ખાસ અને ચોક્કસ નજર રાખતી હોય છે.
સિંહોની અવરજવર દિશા અને ખાસ નિશાનો થકી ગણતરી
સિંહની વસ્તી ગણતરી એકદમ પ્રાકૃતિક રીતે થતી હોય છે. જેમાં સિંહોના ગ્રુપમાં સિંહ એકલો છે કે કેમ? જંગલમાં જોવા મળેલો સિંહ નર છે કે માદા? આ સિવાય સિંહની સંખ્યા કેટલી અને બચ્ચા ક્યાંથી આવ્યા? કઈ દિશામાં ગયા, સિંહોના શરીર પર જોવા મળતા કેટલાક કુદરતી અને અકુદરતી નિશાનો જેવા કે શરીર પર કોઈ ઈજા, કાન અથવા શરીરના અન્ય ભાગ પર કોઈ મોટું નિશાન. અથવા તો ઇન ફાઇટ દરમિયાન શરીરમાં થયેલી કાયમી ઈજાનું નિશાન. આ બધી ઓળખ સિંહની વસ્તી ગણતરીમાં ખૂબ જ ઉપયોગી બનતી હોય છે.
તમામ વિગતો બાદ વન વિભાગ અંતિમ આંકડો કરશે જાહેર
જે વિસ્તારમાં સિંહની હાજરી નોંધાઈ છે, આ તમામ જગ્યા પર સિંહોની વસ્તી ગણતરી થયા બાદ ત્યાંથી પ્રાપ્ત થયેલી વિગતોનું એનાલિસિસ વન વિભાગ દ્વારા કરવામાં આવશે. ત્યારબાદ જો કોઈ સિંહની ગણતરી અથવા તો તેની હાજરી એક કરતાં વધારે જગ્યા પર નોંધાઈ હશે, તો તેને દૂર કરીને સંભવત એક સિંહની એક જ વખત ગણતરી થાય તે પ્રકારના ડેટાનું એનાલિસિસ કરીને અંતે રાજ્યની સરકાર 2025 માં સિંહની સંખ્યાનો કોઈ અંતિમ આંકડો જાહેર કરશે.
30,000 ચોરસ કિલો મીટર કરતા વધુમાં હાથ ધરાશે ગણતરી
વર્ષ 2020 માં 30 હજાર ચોરસ કિલોમીટર જેટલા વિસ્તારમાં સિંહની ગણતરી હાથ ધરવામાં આવી હતી જે વર્ષ 2015 માં થયેલી વસ્તી ગણતરીના 36 ટકા કરતાં વધારે જમીન વિસ્તારમાં હાથ ધરવામાં આવી હતી. 2015માં સિંહોની સંખ્યા 523 હતી જેમાં 2020 માં વધારો થઈને 674 જેટલી નોંધાઈ હતી. ટકાવારીની દ્રષ્ટિએ પણ અત્યાર સુધીમાં સૌથી વધારે કહી શકાય તેવો 28.87 ટકા જેટલો વધારો 2020 માં સિંહની સંખ્યામાં થયો હતો. આ વર્ષે પણ સરેરાશ 25 થી 28% જેટલો સિંહોની સંખ્યામાં વધારાને સંભવત માનવામાં આવી રહ્યો છે.
પાછલા ત્રણ દસકામાં સિંહોની સંખ્યા
પાછલા ત્રણ દસકામાં સિંહની ગણતરી બાદ સંખ્યા પર નજર કરીએ તો વર્ષ 1990માં સિહોની સંખ્યા 284 નોંધાઇ હતી. ત્યારબાદ 1995માં 304, 2001માં 327, વર્ષ 2005 માં 359, 2010 માં 411, 2015માં 523 અને વર્ષ 2020 માં સૌથી વધારે 28.87% ના વધારા સાથે 674 જેટલા સિંહો ગીર વિસ્તારમાં નોંધાયા હતા.
આ પણ વાંચો: