અમદાવાદ: શહેરના એસ.જી હાઈવે પર કર્ણાવતી ક્લબની સામે આવેલી ખાણી-પીણીની દુકાનો સામે દક્ષિણ-પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ અને નગર વિકાસ ખાતા દ્વારા સીલિંગની કાર્યવાહી કરવામાં આવી હતી. AMCના એસ્ટેટ વિભાગે ઈસ્કોન ગાંઠિયા, ગજાનંદ પૌઆ હાઉસ સહિતની 12 જેટલી દુકાનેને સીલ મારી દીધી હતી. આ ધંધાકીય એકમોન પાસે પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી રોડ પર આડેધડ પાર્કિંગથી ટ્રાફિકની સમસ્યા સર્જાતા આ કાર્યવાહી કરવામાં આવી છે.

ધંધાકીય એકમોને અગાઉ AMCએ પાઠવી હતી નોટિસ
આ અંગે એસ્ટેટ વિભાગે દુકાનો પર લગાવેલી નોટિસમાં જણાવ્યું છે કે, કર્ણાવતી ક્લબની સામે આવેલા આ ધંધાકીય એકમોમાં આવતા મુલાકાતીઓ જાહેર રસ્તા પર પાર્કિંગ કરતા હોવાથી જાહેર જનતાને અવર-જવરમાં મુશ્કેલીઓ પડે છે. આ અંગે 2017માં નોટિસ પાઠવામાં આવી હતી. ત્યારે આ એકમો દ્વારા નોટરાઈઝ બાંહેધરી આપવામાં આવી હતી કે, તેઓ ગ્રાહકોનું પાર્કિંગ ખુલ્લા પ્લોટમાં કરાવશે અને આ માટે સિક્યોરિટી ગાર્ડ પણ રાખશે અને દુકાન આગળ પાર્કિંગ કરાવીશું નહીં.

રોડ પર આડેધડ પાર્કિંગથી ટ્રાફિકની સમસ્યા સર્જાતી
જોકે તેમ છતાં આ ધંધાકીય એકમો દ્વારા બાંહેધરીનું પાલન કરવામાં નહોતું આવ્યું. આ બાદ 2023માં પણ લેખિત જાણ કરાઈ હતી અને અવાર-નવાર મૌખિક સૂચના અપાઈ હોવાનું પણ AMCની નોટિસમાં કહેવાયું છે. જોકે તેમ છતાં રોડ પર આડેધડ વાહનો પાર્ક થતા હોવાથી આજે એસ્ટેટ વિભાગ દ્વારા 12 જેટલી દુકાનોને સીલ મારી દેવામાં આવી હતી. જેમાં ઇસ્કોન ગાંઠિયા, કર્ણાવતી સ્નેકસ, રજવાડી ચા, ગાત્રાળ ટી સ્ટોલ, ગજાનંદ પૌંઆ હાઉસ, બાદશાહ બોમ્બે વડાપાઉં, મયુર ધૂધરા તથા વિનાયક પરોઠા હાઉસ વિગેરે ધંધાકીય પ્રવૃત્તિ કરતા એકમોના નામ છે.


આ પણ વાંચો: