જૂનાગઢ: ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના જનરલ સેક્રેટરી ધીરજ ગુર્જર આજે એક દિવસની જૂનાગઢ મુલાકાતે આવી પહોંચ્યા હતા. ધીરજ ગુર્જરને ખાસ જૂનાગઢ જિલ્લાના રાજકીય પ્રભારી પણ બનાવવામાં આવ્યા છે જેથી વિસાવદર વિધાનસભા બેઠક પરની પેટા ચૂંટણીને લઈને પણ ધીરજ ગુર્જરની નિમણૂંક મહત્વની માનવામાં આવે છે. જૂનાગઢ આવેલા ધીરજ ગુર્જરે પહેલગામ આતંકવાદી હુમલો કેન્દ્ર સરકારની કોઈ ભૂલને કારણે થયો છે, જેના જવાબદારો સામે પગલાં લેવા કોંગ્રેસ કમિટીએ સરકારને ખુલ્લું સમર્થન આપ્યું છે એમ જણાવ્યું હતું.
ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના જનરલ સેક્રેટરી જૂનાગઢમાં
ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના જનરલ સેક્રેટરી ધીરજ ગુર્જર આજે જૂનાગઢ આવી પહોંચ્યા હતા. ધીરજ ગુર્જરની જૂનાગઢ કોંગ્રેસના પ્રભારી તરીકે નિમણૂક થયા બાદ તેઓ પહેલી વખત જુનાગઢ આવ્યા હતા. જૂનાગઢ સર્કિટ હાઉસ ખાતે તેમણે પૂર્વ ધારાસભ્યો, ધારાસભ્યો અને પ્રદેશના નેતાઓ સાથે બેઠક યોજ્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરી હતી. જેમાં ધીરજ ગુર્જરે પહેલગામ આતંકવાદી હુમલો કેન્દ્ર સરકારની કોઈ ભૂલ કે નીતિની અમલવારી નહીં થવાને કારણે થયો હોવાનો મત પ્રગટ કર્યો હતો અને કેન્દ્રની સરકાર જવાબદારો સામે તાકિદે પગલા ભરે તેવી માંગનો પુનરોચ્ચાર પણ તેમણે કર્યો હતો. કોંગ્રેસ કમિટી પહેલગામ હુમલાબાદ કેવી કાર્યવાહીની અપેક્ષા રાખી રહી છે. તેના પ્રત્યુતરમાં ધીરજ ગુર્જરે જણાવ્યું હતું કે, ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીએ દેશની સરકારને આતંકવાદી હુમલા બાદ કોઈ પણ પ્રકારની કાર્યવાહીના સમર્થનમાં પોતાની સહમતી આપી છે. હવે કેન્દ્રની સરકારે આતંકવાદી હુમલા બાદ કોઈ ત્વરીત કાર્યવાહી કરવી જોઈએ અને સરકાર જો કોઈ પણ કાર્યવાહી કરશે તો કોંગ્રેસ તેનું ખુલ્લું સમર્થન પણ કરવાની છે.

વિસાવદર પેટા ચૂંટણીને લઈને આપ્યું નિવેદન
આગામી સમયમાં વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીની જાહેરાત પણ થશે. ત્યારે ખાસ જૂનાગઢના પ્રભારી બનેલા ધીરજ ગુર્જરે વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈને પણ તેમનું નિવેદન આપ્યું હતું. તેઓ ઉમેદવારને લઈને સ્પષ્ટ માની રહ્યા છે કે કોંગ્રેસ કમિટીના નિરીક્ષક મુકુલ વાસનીક અને પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ઉમેદવારોની પસંદગી કરશે. આ પૂર્વે ઉમેદવારોના નામને લઈને કંઈ પણ કહેવું ખૂબ મુશ્કેલ છે. આમ આદમી પાર્ટી સાથે રાષ્ટ્રીય સ્તરે ગઠબંધન આજે પણ છે. પરંતુ રાજ્યમાં ગઠબંધનને લઈને હજુ સુધી કોઈ પ્રકારની પ્રક્રિયા આગળ વધી નથી. જેથી કોંગ્રેસ પાર્ટી વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી ચોક્કસ પણે લડશે અને તેના માટે કાર્યકરોને પ્રત્યેક બૂથ માટે તૈયારીઓમાં લાગી જવા પણ પ્રદેશ સંગઠન દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે. જેના ભાગરૂપે આવતી કાલે વિસાવદરમાં કોંગ્રેસનું એક મહાસંમેલન પણ યોજવામાં જઈ રહ્યું છે.
આ પણ વાંચો: