અમદાવાદ : હેરિટેજ સિટી અમદાવાદ સતત વિકાસ કરતું રહે અને શહેરીજનોની સુવિધામાં વધારો કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિવિધ યોજનાઓ ચલાવી રહ્યું છે. હાલમાં જ યોજાયેલ અમદાવાદ મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં આવા જ મહત્વપૂર્ણ કાર્યોને સમીક્ષા કરી મંજૂરી આપવા આવી છે.
શહેરીજનોના હિતલક્ષી નિર્ણય : અમદાવાદ મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં RMC પ્લાન્ટ, બોરવેલ અને શહેર વ્યવસ્થાપન માટે ચોમાસા પહેલાની તૈયારીથી લઈને શહેરમાં ફાયર સ્ટેશન બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી અને કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયા છે. અમદાવાદ મનપાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે માહિતી આપી હતી.
બંધ બોરવેલ કાર્યરત કરવા મનપા કરશે મદદ : અમદાવાદ મનપાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું કે, સોસાયટીઓમાં વરસાદી પાણીનો યોગ્ય રીતે નિકાલ થાય તે માટે, જે સોસાયટીમાં બોરવેલ બંધ હાલતમાં છે તે તમામ બોરવેલને ફરી ચાલુ કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન મદદ કરશે. બંધ રહેલા બોરવેલ ચાલુ કરવા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અરજી કરવાની રહેશે.
RMC પ્લાન્ટ શહેરની બહાર ખસેડવા સૂચના : અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં બાંધકામ સાઈટની બાજુમાં રેસીડેન્સીયલ વિસ્તારમાં RMC પ્લાન્ટ બિલ્ડરો દ્વારા બનાવવામાં આવતા હોય છે. આ તમામ RMC પ્લાન્ટને હવે શહેરની બહાર ખસેડવા માટેની સૂચના આપવામાં આવી છે. બાંધકામ સાઇટની બાજુમાં જ બનાવેલ RMC પ્લાન્ટથી થતા પ્રદૂષણના કારણે આજુબાજુમાં લોકોને હેરાનગતિનો સામનો કરવો પડે છે. આથી નાના ચિલોડા, હેબતપુર અને ભાડજ જેવા દૂર વિસ્તારમાં આ પ્લાન્ટ લગાવવાની સૂચના આપવામાં આવી છે.
દર દસ કિલોમીટરે બનશે ફાયર સ્ટેશન :
અમદાવાદ શહેરના દર દસ કિલોમીટરના વિસ્તારમાં ફાયર સ્ટેશન બનાવી અને સ્ટાફની ભરતી કરવા અંગે સ્ટેન્ડિંગ કમિટીમાં સૂચના આપવામાં આવી છે. તાજેતરમાં જ ઇન્દ્રા બ્રિજ સર્કલ પાસે આવેલા ફ્લેટમાં આગ લાગવાની ઘટના બની, પરંતુ આસપાસમાં ફાયર સ્ટેશન ન હોવાથી દૂરના ફાયર સ્ટેશનની મદદ લેવી પડી હતી. આવનારા સમયમાં શહેરમાં દર દસ કિલોમીટરમાં ફાયર સ્ટેશન બનાવવા જગ્યા શોધી અને ઝડપી ટેન્ડર પ્રક્રિયા માટે સૂચના અધિકારીઓને આપવામાં આવી છે. શહેરમાં અત્યારે કુલ 25 જેટલા ફાયર સ્ટેશન છે અને નવા પાંચ જેટલા ફાયર સ્ટેશન બની રહ્યા છે.
ચોમાસા પહેલા વિકાસકાર્યો પૂર્ણ કરવા તાકીદ
ચોમાસાને ધ્યાનમાં રાખીને શહેરમાં ચાલી રહેલા કામોને 15 જૂન સુધીમાં પૂરા કરી દેવાની સૂચના આપી દેવામાં આવી છે. આ ઉપરાંત જૂન સુધી જે કામગીરી થાય તે કરવી અને બાદમાં જો વરસાદ શરૂ થાય તો કામગીરી તત્કાલ બંધ કરી દેવાની પણ સૂચના આપવામાં આવી છે. અમદાવાદ શહેરમાં અત્યારે કેટલીક જગ્યાએ ડ્રેનેજ કે પછી ટ્રીટેડ વોટર કે પછી રોડના કામો ચાલી રહ્યા છે. આ કામગીરી ચોમાસા પહેલા પૂર્ણ કરવામાં આવશે.