અમદાવાદ: અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર રહેતા ઘુસણખોરોને પકડવા માટે પોલીસ દ્વારા મોડી રાત્રે તપાસ અભિયાન હાથ ધરાયું હતું. જેમાં ચંડોળા તળાવમાં અને આસપાસમાં રહેતા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને મોટી સંખ્યામાં પકડી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તમામ ડીટેઇન કરાયેલા વ્યક્તિઓનું વેરિફિકેશન કરવાની શરૂઆત થઈ. જોકે કેટલાક ડીટેઇન કરાયેલા વ્યક્તિઓના પરિવારજનોએ ક્રાઈમ બ્રાન્ચની કચેરીની બહાર હલ્લા બોલ કર્યો હતો. આ મુદ્દે પરિવારજનોએ રોપ લગાવ્યો હતો કે, જેની પાસે ભારતના નાગરિકતાના ડોક્યુમેન્ટ છે એ લોકોને પણ પકડવામાં આવ્યા છે.
'પુરાવા છે તેમને ચિંતા કરવાની જરૂર નથી'
સમગ્ર મામલે પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે, જે લોકો પાસે ભારતીય નાગરિકતા છે તેને છોડી દેવામાં આવશે. આધાર કાર્ડ સહિતના પુરાવા સ્કેન થઈ રહ્યા છે જે લોકો પાસે નાગરિકતાના પુરાવા છે તેમની ચિંતા કરવાની જરૂર નથી. ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ સાથે અમે ચર્ચા કરી છે. પોલીસે દરેકને બચાવની તક આપશે. જે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ હશે તેમને છોડવામાં નહીં આવે. પહેલા 60 વર્ષથી ઉપરના લોકોનું વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે. તેમના આધાર કાર્ડની વિગતો ચેક કરવામાં આવી રહી છે. જેમના આધાર કાર્ડ મેચ થતા નથી તેમને અન્ય ડોક્યુમેન્ટ આપવા કહેવાઈ રહ્યું છે.
ડોક્યુમેન્ટ લઈને પરિજનો ક્રાઈમ બ્રાન્ચ કચેરી પહોંચ્યા
તો બીજી તરફ કેટલાક ડિટેઈન કરાયેલા વ્યક્તિઓના પરિવારજનોએ જણાવ્યું હતું કે, અમે 30 થી 40 વર્ષથી અમદાવાદના ચંડોળા તળાવમાં વસવાટ કરી રહ્યા છીએ. અમારી પાસે આધારકાર્ડ-રેશનકાર્ડ અને તમામ પ્રકારના ડોક્યુમેન્ટ છે. તો પણ રાત્રે આવીને ઘરે ઘરેથી પોલીસે અમારા પરિવાર જનો બાળકો અને ભાઈઓને પકડીને લઈ આવ્યા .અને સવારથી અમે આ ઓફિસની બહાર ઉભા છીએ. અમે ભારતના નાગરિક છીએ અમે બાંગ્લાદેશી નથી. અમે છૂટક મજૂરી કરીને ગુજરાત ચલાવી રહ્યા છીએ. અમારી પાસે બધું પુરાવો છે. જે ખરેખર બંગલાદેશી છે એને પકડવું જોઈએ પરંતુ જે નથી એમના ઉપર કેમ કાર્યવાહી કરવામાં આવી રહી છે?

વિપક્ષ નેતાએ પણ લોકોને કરી અપીલ
આ મુદ્દે વિપક્ષ નેતા શહજાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે, અમદાવાદના ચંડોળા તળાવમાં આજે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જે બાંગ્લાદેશી લોકોની ઓળખ કરવા હતું. પોલીસનું આ એક પ્રશંસનીય પગલું છે. બહારથી આવતા બધા લોકોએ ભારતમાં કાયદેસર રીતે રહેવું જોઈએ. પણ જેઓ ગેરકાયદેસર છે. તેને ચોક્કસપણે દેશનિકાલ કરવો જોઈએ. પરંતુ આ સમય દરમિયાન, જે લોકો વર્ષોથી ચંડોળા તળાવની પાસે રહે છે અને જેમની પાસે દસ્તાવેજો છે તેમની પણ અટકાયત કરવામાં આવી છે. મેં સવારે આ બાબતે પોલીસ કમિશનર સાથે વાત કરી. ત્યારે ખાતરી આપવામાં આવી છે કે અહીં રહેતા અને ભારતના નાગરિક એવા તમામ લોકોને હેરાન કરવામાં આવશે નહીં. જેમની પાસે ભારતીય નાગરિકતાના કાગળો છે તેઓ પોતાના કાગળો બતાવે. તેમની ચકાસણી કર્યા પછી, તેમને મુક્ત કરવામાં આવશે. ચકાસણીના ભાગ રૂપે પોલીસ કાર્યવાહી કરવામાં આવી રહી છે. અને જે કોઈ ભારતીય છે. તેમને કંઈ કરવામાં આવશે નહીં. હું લોકોને આવી અપીલ કરું છું.

આ પણ વાંચો:
ઘૂસણખોરોને આશરો આપનારાઓ સામે પણ કડક પગલા લેવાનો નિર્દેશઃ ગુજરાત પોલીસ વડા
જામનગરમાંથી 30થી વધુ પાકિસ્તાનીઓને પરત મોકલાશે, વીણી વીણીને ઘરે ભેગા કરવાની કામગીરી શરૂ