રાજ્યમાં બે દિવસ રવિ કૃષિ મહોત્સવ, CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગોધરામાં થશે રાજ્યકક્ષાની ઉજવણી
રાજયમાં 14થી 15 ઓક્ટોબર એમ બે દિવસીય રવિકૃષિ મહોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે. CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગોધરામાં રાજ્યકક્ષાની ઉજવણી થશે.

Published : October 13, 2025 at 12:21 PM IST
પંચમહાલ: પંચમહાલ જિલ્લાના ગોધરાના છબનપુર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આવતીકાલે એટલે કે, 14 ઓક્ટોબર મંગળવારના રોજ રવિ કૃષિ મહોત્સવની રાજ્યકક્ષાની ઉજવણી થશે. જેને લઈને સઘન તૈયારીઓ કરવામાં આવી છે.
રાજ્યકક્ષાના આ મહત્વપૂર્ણ કાર્યક્રમની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરવા માટે રાજ્યના અધિક મુખ્ય સચિવ (કૃષિ) ડૉ.અંજુ શર્માએ કાર્યક્રમ સ્થળની મુલાકાત લીધી હતી. આ તકે, તેમણે સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજીને હાલમાં ચાલી રહેલી કામગીરીનો તાગ મેળવ્યો હતો અને તૈયારીઓની સમીક્ષા કર્યા બાદ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને ઉપયોગી સૂચનો આપ્યા હતા.
આ અગાઉ ઉકત કાર્યક્રમના સફળ આયોજન માટે જિલ્લા કલેકટર અજય દહિયાએ તાજેતરમાં જિલ્લાની સંબંધિત વિભાગ,કચેરીઓના અધિકારીઓ સાથે બેઠક યોજી કાર્યક્રમની વિસ્તૃત રૂપરેખા અને સમયસર આયોજન સુનિશ્ચિત કરવા તેમજ મંચ, ધ્વનિ, તમામ માળખાગત સુવિધાઓ અને બેઠક વ્યવસ્થા, વીજ પુરવઠો ગોઠવવા જરૂરી સૂચનો આપ્યા હતા.

ઉપરાંત સલામતીના ભાગરૂપે, કાયદો અને વ્યવસ્થા જાળવવા સઘન સુરક્ષા બંદોબસ્ત ગોઠવવા તેમજ ફાયર સેફ્ટી અને તબીબી સહાયતા (એમ્બ્યુલન્સ સહિત)ની વ્યવસ્થાઓને સજ્જ રાખવા પણ અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.હાલ ડોમ બનાવીને આખરી ઓપ આપવામા આવી રહ્યો છે.


ઉલ્લેખનીય છે કે રાજ્યના ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકોની આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુસર રાજયના તમામ તાલુકાઓમાં તા.14 ઓક્ટોબર ૨૦૨૫ થી 15 ઓક્ટોબર એમ બે દિવસીય રવિકૃષિ મહોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે.

