એકતા નગર: બ્રેઈનડેડ થવાના બનાવોમાં અંગદાતા પરિવાર દ્વારા સ્વજનના કિડની, લીવર, હૃદયના દાનથી હજારો જરૂરિયાતમંદ નાગરિકોને નવજીવન મળે છે, ત્યારે અંગદાન પ્રત્યે મહત્તમ લોકો જાગૃત્ત થાય એ ઉદ્દેશથી અંગદાન મહાદાન જનજાગરણ અભિયાનના પ્રણેતા દિલીપદાદા દેશમુખના માર્ગદર્શનમાં વિશ્વના અગ્રણી પ્રવાસન સ્થળ એવી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સુરત નવી સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા અંગદાન જાગૃત્તિનો સંદેશ આપતી 401 મીટર લાંબી સાડી તેમજ પોસ્ટરો, પ્લેકાર્ડસ અને બેનરો સાથે પ્રવાસીઓને અંગદાન પ્રત્યે જાગૃત્ત કરવામાં આવ્યા હતા.
નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીના માધ્યમથી સમગ્ર રાજ્ય અને દેશમાં અંગદાન પ્રત્યે સમજ કેળવાય અને બ્રેઈનડેડ નાગરિકોમાં કિસ્સાઓમાં અવશ્ય ઓર્ગન ડોનેટ થાય એવો ઉમદા પ્રયાસના ભાગરૂપે નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલાએ આયોજિત કરેલા પહેલરૂપ કાર્યક્રમમાં સુરતની નવી સિવિલની ટીમ, નર્સિંગ વિદ્યાર્થીઓ, નર્સિંગ સ્ટાફ, સ્થાનિક પોલીસ, આરોગ્યકર્મીઓના સહયોગથી 401 મીટર સાડી વડે દેશમાં પ્રથમવાર અંગદાન માટેની લોકજાગૃતિની વિશેષ પહેલ કરાઈ હતી. ઉપસ્થિત સૌએ સરદાર સાહેબની પ્રતિમા સામે અંગદાનની જ્યોતને ઘર-ઘર સુધી જલાવવા અને દેશભરમાં પ્રજ્વલિત કરવા સાથે બ્રેઈનડેડ થવાના કિસ્સાઓમાં અચૂક અંગદાન થાય એવા સામૂહિક સંકલ્પ ગ્રહણ કર્યા હતા.
નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલાએ જણાવ્યું હતું કે, અંગદાન મહાદાન અભિયાનનો સંદેશ ઘર-ઘર સુધી સંદેશો પહોંચે અને તે જનઆંદોલનમાં પરિવર્તિત થાય, તેમજ બ્રેઈનડેડ થવાના બનાવોમાં અચૂક અંગદાન થાય એવો અમારો આ પ્રયાસ છે. કારણ કે બ્રેઈન ડેડ વ્યક્તિના હૃદય, ફેફસાં સહિત 25 અંગ અન્ય જરૂરિયાત લોકો માટે કામમાં આવે છે. એક બ્રેઈનડેડ વ્યક્તિના પરિજનો સ્વજનના અંગો દાન કરી એક સાથે નવ લોકોને જીવનદાન આપી શકે છે.
આ પણ વાંચો: