વોશિંગ્ટન: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હુથી વિદ્રોહીઓ સામે 'નિર્ણાયક' લશ્કરી કાર્યવાહીના આદેશ આપ્યા બાદ અમેરિકન યુદ્ધ વિમાનોએ યમનમાં હવાઈ હુમલા શરૂ કર્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શનિવારે અમેરિકાના બોમ્બ વિસ્ફોટમાં 19 લોકો માર્યા ગયા છે. ટ્રમ્પે ચેતવણી આપી છે કે લાલ સમુદ્રમાં જહાજો પર હુમલાને કારણે હુથીઓનો નાશ થશે.
હૂથી વિદ્રોહીઓએ ગાઝા પટ્ટીની નાકાબંધીના કારણે લાલ સાગરમાં ઈઝરાયેલ સાથે સંકળાયેલા જહાજો પર ફરીથી હુમલો કરવાની ધમકી આપી હતી. ત્યાર બાદ અમેરિકાએ આ કાર્યવાહી શરૂ કરી છે.
President Trump: “Today, I have ordered the United States Military to launch decisive and powerful Military action against the Houthi terrorists in Yemen. They have waged an unrelenting campaign of piracy, violence, and terrorism against American, and other, ships, aircraft, and… pic.twitter.com/26kpBll568
— Dan Scavino (@Scavino47) March 15, 2025
આ પહેલા હુથીએ કહ્યું હતું કે યમનની રાજધાની સના પર અમેરિકી હુમલામાં 13 નાગરિકો માર્યા ગયા અને નવ ઘાયલ થયા. હુથી સંચાલિત અલ-મસિરાહ ટીવીએ જણાવ્યું હતું કે, ઉત્તરીય પ્રાંત પર અમેરિકાના હુમલમાં 6 અન્ય લોકો પણ માર્યા ગયા છે. મૃતકોમાં 4 બાળકો અને એક મહિલા સામેલ છે.
બોમ્બ ધડાકામાં ચાર વિસ્તારો નાશ પામ્યા
અહેવાલ મુજબ, અમેરિકન યુદ્ધ વિમાનોએ યમનમાં બોમ્બમારો કરીને ઓછામાં ઓછા ચાર વિસ્તારોને નષ્ટ કર્યા છે, ખાસ કરીને રાજધાની સનાની ઉત્તરે રહેણાંક વિસ્તારને નિશાન બનાવ્યા છે.
હુમલાઓ પહેલા, ટ્રમ્પે હુથી બળવાખોરો સામે "નિર્ણાયક અને શક્તિશાળી" લશ્કરી કાર્યવાહીની જાહેરાત કરી હતી અને તેમની ઉપર અમેરિકન જહાજોને નિશાન બનાવીને તેમના પર ચાંચિયાગીરી, હિંસા અને આતંકવાદનો આરોપ મૂક્યો હતો.
ટ્રમ્પે 'ટ્રુથ સોશિયલ' પર લખ્યું, "આજે, મેં યુનાઇટેડ સ્ટેટ્સ સૈન્યને યમનમાં હુથી આતંકવાદીઓ વિરુદ્ધ નિર્ણાયક અને શક્તિશાળી સૈન્ય કાર્યવાહી શરૂ કરવાનો આદેશ આપ્યો છે. તેઓએ અમેરિકન અને અન્ય જહાજો, વિમાનો અને ડ્રોન વિરુદ્ધ ચાંચિયાગીરી, હિંસા અને આતંકવાદનું અભિયાન ચલાવ્યું છે."
ટ્રમ્પે જણાવ્યું હતું કે અમેરિકા હુથિઓ સામે જબરજસ્ત ઘાતક બળનો ઉપયોગ કરશે ટ્રમ્પે કહ્યું, "અમેરિકન જહાજો પર હુથી હુમલાઓ સહન કરવામાં આવશે નહીં. જ્યાં સુધી અમે અમારો ઉદ્દેશ્ય હાંસલ નહીં કરીએ ત્યાં સુધી અમે જબરજસ્ત ઘાતક બળનો ઉપયોગ કરીશું. હૂથીઓએ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ જળમાર્ગોમાંના એકમાં શિપિંગ અટકાવી દીધું છે, જેની ઉપર આંતરરાષ્ટ્રીય વેપાર અને વાણિજ્ય નિર્ભર છે "