નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 6 જૂનના રોજ જમ્મુ અને કાશ્મીરને રેલ દ્વારા જોડતા ઐતિહાસિક ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક પ્રોજેક્ટના બીજા મહત્વપૂર્ણ ભાગ, કટરાથી સંગલદાનનું ઉદ્ઘાટન કરશે. આ માટેની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. રેલ્વે મંત્રાલયે પ્રધાનમંત્રી કાર્યાલય અને અન્ય એજન્સીઓ સાથે બેઠક કર્યા બાદ સમગ્ર કાર્યક્રમનું આયોજન તૈયાર કર્યુ છે.
PM મોદી આપશે લીલી ઝંડી
આ અગાઉ, આ વિભાગનું ઉદ્ઘાટન 19 એપ્રિલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા થવાનું હતું, પરંતુ સુરક્ષા એજન્સીઓ તરફથી આતંકવાદી હુમલાના ઇનપુટ બાદ આ કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો હતો. ત્રણ દિવસ પછી, પહેલગામમાં પ્રવાસીઓ પર હુમલો થયો હતો. અગાઉ પણ, આ પ્રોજેક્ટનો ઉદ્ઘાટન કાર્યક્રમ ઘણી વખત મુલતવી રાખવામાં આવ્યો હતો. આતંકવાદી હુમલા બાદ, આ વખતે કડક સુરક્ષા વ્યવસ્થા રહેશે.
History in the making… Just 3 days to go!
— Dr Jitendra Singh (@DrJitendraSingh) June 3, 2025
The mighty #ChenabBridge, the world’s highest railway bridge, stands tall in #JammuandKashmir.
Part of the Udhampur-Srinagar-Baramulla Railway Link (USBRL). Built to withstand nature’s toughest tests.
PM Sh @narendramodi to… pic.twitter.com/EQnC0m1per
કેમ ખાસ છે આ રેલ્વે પ્રોજેક્ટ ?
272 કિમી લાંબા ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ પ્રોજેક્ટને દેશના સૌથી પડકારજનક અને મહત્વપૂર્ણ રેલ્વે પ્રોજેક્ટ્સમાંનો એક માનવામાં આવે છે, જેમાં 119 કિમી લાંબી રેલ્વે ટનલનો સમાવેશ થાય છે. વિશ્વનો સૌથી ઊંચો કમાન રેલ્વે બ્રિજ ચિનાબ બ્રિજ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટે રેલ્વે બ્રિજ અંજી બ્રિજ આ રૂટ પર બનાવવામાં આવ્યો છે. આ બંને પુલ એન્જિનિયરિંગના ઉદાહરણો છે.

પહેલા કટરાથી શ્રીનગર સુધી વંદે ભારત સેવા, પછી લંબાવાશે રૂટ
6 જૂને વડા પ્રધાન નરેન્દ્ર મોદી કટરા-સંગલદાન સેક્શનનું ઉદ્ઘાટન કરતાની સાથે જ કટરા અને શ્રીનગર વચ્ચે બે વંદે ભારત ટ્રેનો શરૂ કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં, વંદે ભારત ટ્રેન કટરા અને શ્રીનગર વચ્ચે ચલાવવામાં આવશે. થોડા દિવસો બાદ, વંદે ભારત ટ્રેન જમ્મુ રેલ્વે સ્ટેશનથી શ્રીનગર સુધી ચલાવવામાં આવશે જ્યારે કટરા તરફ વિસ્તરણ કરવામાં આવશે.

હાલમાં દિલ્હીથી કટરા સુધી એક ટ્રેન ચાલે છે
દિલ્હીથી કટરા પહોંચ્યા બાદ તમારે આગળ જવા માટે ટ્રેન બદલવી પડશે. રેલ્વે અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભવિષ્યમાં દિલ્હીથી બારામુલ્લા સુધી સીધી ટ્રેન ચલાવવાની યોજના છે, જેથી લોકો દિલ્હીથી કાશ્મીર સુધી ટ્રેન દ્વારા સીધી મુસાફરી કરી શકે. આનાથી કાશ્મીરમાં પર્યટનને એક નવી ગતિ મળશે.
અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન થશે
રેલવે અધિકારીઓ પાસેથી મળેલી માહિતી અનુસાર, આ રેલ સેક્શનના ઉદ્ઘાટનની સાથે જમ્મુ અને કાશ્મીરના અન્ય ઘણા વિકાસ પ્રોજેક્ટ્સનું પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરશે. જેમાં રેલવે સંબંધિત માળખાગત સુવિધાઓ, પર્યટન, સંદેશાવ્યવહાર અને પ્રાદેશિક જોડાણ માટેની યોજનાઓનો સમાવેશ થશે.