બારડોલી:બારડોલી નગરપાલિકામાં નવા બની રહેલા સ્પોર્ટ્સ સંકૂલનું કામ પૂર્ણ થવાની તૈયારીમાં છે. નામકરણનો વિવાદ સામે આવતા ભાજપનું જ આંતરિક રાજકારણ ગરમાયું છે. ગત ટર્મના ભાજપ શાસકોએ સરદાર પટેલનું નામ ભૂંસી અન્ય નામનો ઠરાવ કરી દેતાં હવે જ્યારે નામકરણની તૈયારી શરૂ થતાં આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે. સરદારની કર્મભૂમિ પર જ સરદારનું નામ ભૂંસવાનો પ્રયાસ કરવામાં આવતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સરદારની કર્મભૂમિઃબારડોલીએ સરદારની કર્મભૂમિ છે. ઐતિહાસિક બારડોલી સત્યાગ્રહ બાદથી જ વલ્લભાઇ પટેલને સરદારની ઉપાધિ મળી હતી. હવે તેમના નામને ભૂંસવા માટે ભાજપનું એક જુથ સક્રિય થયું છે. ગતટર્મના શાસકોએ સ્ટેડિયમ બને તે પહેલા જ તેનું નામકરણનો ઠરાવ કરી દીધો હતો. ભૂતકાળમાં આ મેદાન સરદાર પટેલ સ્ટેડિયમ તરીકે જ ઓળખાતું હતું. તેમ છતાં ભાજપા શાસકોએ નામ બદલવાની ચેષ્ટા કરી હતી. જો કે હવે આ ઠરાવ હમણાં ધ્યાનમાં આવતા સમગ્ર પ્રકરણને લઈને વિવાદ શરૂ થઈ ગયો છે.
આવેદનપત્ર અપાયુઃસરદાર પટેલ સંઘર્ષ સમિતિ પણ આ મુદ્દાને લઈને મેદાનમાં આવી છે. સરદાર પટેલનું નામ સ્ટેડિયમથી અલગ ન થાય તે માટે સંઘર્ષ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. તેમણે આવેદનપત્રમાં જણાવ્યુ હતું કે, બારડોલીમાં રમતગમતના એકમાત્ર સરદાર પટેલ સ્ટેડિયમ સંકૂલના ઉદ્ઘાટનનો સમય નજીક છે ત્યારે આ સ્ટેડિયમનું નામ બદલવાનો જે કારસો રચવામાં આવ્યો છે તેને ડામી દેવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી.
મોટું નિવેદનઃસમગ્ર મુદ્દે નારી શકિત પુરષ્કાર વિજેતા અને સ્વરાજ આશ્રમના માનદ મંત્રી નિરંજનાબેન કલાર્થીનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, હું કોઈ વાદ વિવાદમાં પાડવા માંગતી નથી. સ્ટેડિયમનું નામ સરદાર રહેવું જોઈએ. એવું હું પ્રમાણિકપણે માનું છું. વલ્લભભાઇ જન્મ્યા કરમસદ અને સરદાર જન્મ્યા બારડોલીમાં એટલે બારડોલીમાં જ્યારે સ્ટેડિયમ તૈયાર થઈ રહ્યું છે. તો તેનું નામ પણ સરદાર જ રહેવું જોઈએ એવું મારુ માનવું છે. આ અંગે બારડોલી નગરપાલિકા પ્રમુખ ફાલ્ગુની દેસાઇએ નામ બાબતે કોઈ વિવાદ ન હોવાનું જણાવ્યુ હતું. હાલ માત્ર સ્ટેડિયમના કામ પર જ ધ્યાન આપવામાં આવી રહ્યું હોવાનું તેમણે કહ્યું હતું.