ગાંધીનગરઃમુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનો ઉત્તર ગુજરાતના બે અતિ સૂકા તાલુકાઓને પાણી પહોંચાડવાનો એક મહત્વપૂર્ણ નિર્ણય લોકો માટે ઉપયોગી પુરવાર થશે. 61 કિ.મી.ની મુખ્યપાઇપ લાઈન સહિત 196 કી.મી.લંબાઈની પાઇપ લાઈન દ્વારા 200 થી વધુ તળાવો નર્મદા જળથી ભરવા 1411 કરોડ રૂપિયાના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે.
સિંચાઈને મળશે લાભઃ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના બે અતિ સૂકા તાલુકા એવા થરાદ અને ધાનેરા તાલુકાના ગામોના તળાવો નર્મદાના પાણીથી ભરવાનો મહત્વપૂર્ણ સંવેદનાસભર નિર્ણય કર્યો છે. મુખ્ય પ્રધાને આ બેય તાલુકાઓમાં ઉદવહન પાઈપલાઈનનું આયોજન કરીને સિંચાઇથી વંચિત એવા આ વિસ્તારોમાં ભૂગર્ભ જળ ઊંચા લાવવાનો ખેડૂત હિતકારી અભિગમ અપનાવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના આ બે તાલુકાઓમાં કોઇ મોટી સિંચાઇ વ્યવસ્થા ઉપલબ્ધ નથી.
200 તળાવ ભરાશેઃ થરાદ તાલુકાનો પૂર્વ તરફનો ઉપરનો વિસ્તાર સિંચાઇ વિહોણો છે. થરાદ અને ધાનેરા તાલુકાઓને સિંચાઇ માટે પૂરતું પાણી મળી રહે તેની અતિ આવશ્યકતાને ધ્યાનમાં લઇને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ બે તાલુકાઓના ગામોના 200 થી વધારે સરકારી પડતર તળાવોને નર્મદા નહેર આધારિત ઉદવહન પાઇપલાઇનથી આવરી લેવાના દિશાનિર્દેશો આપ્યા છે.
3 પમ્પિગ સ્ટેશન બનશેઃકુલ 135 કિ.મી. લાંબી પેટા લાઈન દ્વારા 200 ક્યુસેક્સ પાણી ઉદવહન કરવા માટે આશરે 3 પમ્પીંગ સ્ટેશન બનાવવા સહિતની સમગ્ર યોજનાકીય કામગીરી માટે 1411 કરોડ રૂપિયાની રકમ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. નર્મદા મુખ્ય નહેર આધારિત પ્રગતિ હેઠળની ર અને પૂર્ણ થયેલી 12 એમ કુલ 14 ઉદવહન પાઇપલાઇનોની કુલ ક્ષમતા 3375 ક્યુસેક્સ દ્વારા મહત્તમ 0.60 MAF પાણી ઉપાડવામાં આવે છે. નર્મદાના વધારાના 1 MAF પાણીના ઉદવહન માટે સ્થાપિત ક્ષમતા વધારવી પડે તેમ છે.