રાજકોટના ધોરાજી નજીક મીની બસ પલટી, એક વદ્ધાનું મોત, 15થી વધુ ઈજાગ્રસ્ત
લૌકિક ક્રિયામાં હાજરી આપીને પરત ધોરાજી ફરી રહેલા દેવીપુજક સમાજના લોકોની બસને ધોરાજી પાસે અકસ્માત નડ્યો હતો, જેમાં 1 વૃદ્ધાનું મોત નીપજ્યું છે.
Published : March 28, 2026 at 7:39 AM IST
|Updated : March 28, 2026 at 7:51 AM IST
રાજકોટ: ધોરાજી નજીક રાત્રિના એક વાગ્યાની આસપાસ એક મીની બસ પલટી મારી જવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં 15 કરતાં વધારે મુસાફરોને ઇજાઓ થવા પામી હતી. જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા 60 વર્ષના વૃદ્ધાનું મોત નીપજ્યું હતું.
ડ્રાઇવરને ઝોંકુ આવી જતા બસ પલટી ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. બસમાં દેવીપુજક સમાજના 20 કરતા વધારે લોકો સવાર હતા, જેઓ રાધનપુર ખાતે લૌકિક ક્રિયા પૂર્ણ કરીને પરત ધોરાજી ફરી રહ્યા હતા, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.
રાજકોટ જિલ્લાના ધોરાજી નજીક ગતરાત્રિના 12 થી 1:00 વાગ્યાના સમય દરમિયાન એક ખાનગી મીન બસ અચાનક પલટી જતા રોડ પર પલટી ગઈ હતી, બસમાં સવાર 20 કરતા વધારે લોકોને ઈજાઓ થઈ હતી. ડ્રાઇવિંગ કરી રહેલા વ્યક્તિને ઝોંકુ આવી જતા બસ અચાનક પલટી મારી ગઈ અને આ ગંભીર અકસ્માત સર્જાયો હતો, આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા તમામ લોકોને ઉપલેટા અને ધોરાજીની 108 એમ્બ્યુલન્સ મારફતે જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા, જ્યાં 60 વર્ષના બબીબેન રાઠોડ નામના વૃદ્ધાનું ગંભીર ઇજાઓના કારણે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 15 કરતાં વધારે લોકોને નાની-મોટી ઇજાઓ થઈ હતી. કેટલાકને માથાના ભાગે તો કેટલાકના હાથ-પગમાં ફ્રેક્ચર થવા પામ્યું છે.
ધોરાજીનો દેવીપુજક સમાજ બનાસકાંઠાના રાધનપુર ખાતે કોઈ લૌકિક ક્રિયામાં હાજરી આપીને પરત ધોરાજી ફરી રહ્યા હતા. આ દરમિયાન રાત્રિના સમયે બસના ચાલકને અચાનક ઝોકું આવતા આ અકસ્માત સર્જાયો હતો. જે પરિવાર લૌકિક ક્રિયા પૂર્ણ કરીને પરત ફરી રહ્યો હતો તે જ પરિવારમાં અકસ્માતથી 60 વર્ષના બબીબેનનું મોત થતા ફરી એક વખત શોકનું મોજું ફરી વળ્યું છે.
હાલ જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 15 જેટલા બસમાં મુસાફરી કરી રહેલા વ્યક્તિઓને કોઈ ગંભીર ઇજાઓ થવા પામી નથી, જુનાગઢ સિવિલ હોસ્પિટલના ફરજ પરના તબીબે મોટા ભાગના મુસાફરોને ભયમુક્ત જાહેર કર્યા છે, આ તમામને આગામી 24 કલાક દરમિયાન પણ સારવાર આપવામાં આવે તેવી શક્યતાઓ છે.